પીઆઇની બદલીમાં ભલામણને સ્થાન નહીં:બદલી થઈને આવેલા PIને કામગીરી, ઇનામ અને વર્તણુંકને આધારે અને વિવાદિતને સાઈડ પોસ્ટિંગ અપાશે

Gujarat4/7/2026, 6:35:00 PM
પીઆઇની બદલીમાં ભલામણને સ્થાન નહીં:બદલી થઈને આવેલા PIને કામગીરી, ઇનામ અને વર્તણુંકને આધારે અને વિવાદિતને સાઈડ પોસ્ટિંગ અપાશે
અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ માટે વગદાર અને વહીવટદારોની ગોઠવણ ચાલી રહી છે, પરંતુ હવે તેના પર બ્રેક લાગી છે. બદલી સાથે અમદાવાદ આવેલા પીઆઇની તેમની ભૂતકાળની કામગીરી, ઇનામ, વર્તણૂંક અને સીઆર જોઈને પોસ્ટિંગ આપવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે. જેને પગલે બદલીની કામગીરી સંપૂર્ણ નિષ્પક્ષ રીતે થશે. કમિશનર ઓફિસના સ્પષ્ટ વલણને લઈને પોતાના અધિકારીઓને પોસ્ટિંગ કરાવવા માટે વહીવટદારો અને વગદારોએ કમિશનર કચેરીએ ફોન કરવાનું ટાળ્યું છે. અગાઉ વિવાદમાં આવેલા પીઆઇને સાઇડ પોસ્ટિંગ આપવામાં આવશે. PIની પોસ્ટિંગમાં વચેટિયાઓની મહત્વની ભૂમિકા કેટલાક અધિકારીઓને બાદ કરતાં અમદાવાદ શહેરમાં જ્યારે પણ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ થાય કે પછી તેમને પોસ્ટિંગ આપવામાં આવે, ત્યારે વચેટિયાની ભૂમિકા મુખ્ય રહેતી હતી. વચેટિયા પોતાના પીઆઇને ચોક્કસ પોલીસ મથકમાં પોસ્ટિંગ અપાવે પછી તેની મરજી મુજબ જ PIને કામગીરી કરવી પડે. બીજી તરફ જે તે વિસ્તારના વગદાર માણસો પોતાની પસંદગીના PIને પોતાના વિસ્તારમાં પોસ્ટિંગ અપાવે એટલે તેનું વર્ચસ્વ વધતું જાય. ટ્રેક રેકોર્ડને આધારે પોસ્ટિંગથી કેટલાક નારાજ તો કેટલાક ખુશ આ તમામ પરિબળોને દૂર રાખીને પીઆઇની કામગીરી તેમનો ટ્રેક રેકોર્ડ જોઈને તેમની યોગ્યતા મુજબ પોસ્ટિંગ આપવાની પ્રથા હાલ ચાલી રહી છે. જેને કારણે કેટલાક અધિકારીઓ નારાજ છે તો કેટલાક મોટા ભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખુશ છે. જે તે પોલીસ મથકમાં ચોક્કસ કર્મચારીઓ અનિવાર્ય બની ગયા હતા અને તેમનું વર્ચસ્વ વધતાં 3 વર્ષ કે તેથી વધારે સમયથી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓની બદલીઓ કરી દેવામાં આવી હતી. પીઆઇનના પોસ્ટિંગમાં ભલામણને સ્થાન નહીં હવે તાજેતરમાં જ રાજ્યના સાડા પાંચસો કરતાં વધુ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના 65 ઇન્સ્પેક્ટરોનો સમાવેશ થયો છે. બદલી સાથે અમદાવાદ આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને ગણતરીના કલાકોમાં પોસ્ટિંગ આપી દેવાશે. કમિશનર કચેરી દ્વારા કોઈ પણ PIના પોસ્ટિંગ માટે ભલામણ કરનારને “સોરી” કહી દેવામાં આવી રહ્યું છે. અધિકારીને તેની યોગ્યતા મુજબ જ પોસ્ટિંગ મળે તેવી કવાયત ચાલી રહી છે. વિવાદિત પીઆઇને સાઇડ પોસ્ટિંગ અગાઉ કોઈ વિવાદમાં આવ્યા હોય અથવા કામગીરી નબળી હોય તેવા પીઆઇને કંટ્રોલ રૂમ કે ટ્રાફિકમાં મૂકવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં હાલમાં ફરજ બજાવતા કેટલાક પીઆઇને આંતરિક બદલી આવે તેવી પણ શક્યતા છે. મહત્વનું છે કે બદલી બાદ અમદાવાદ શહેરના નારોલ, નરોડા, વટવા, માધવપુરા, બોડકદેવ, નવરંગપુરા, વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિતના પોલીસ સ્ટેશન ઊંચાઈ પીઆઇથી ચાલી રહ્યા છે, જ્યાં ટૂંક સમયમાં પોસ્ટિંગ આપવામાં આવશે.
Read Original Article →