મેયર સહિતના પદાધિકારીઓની સમીક્ષા:ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટની કામગીરી 15 જૂન સુધીમાં પૂર્ણ કરવા સૂચના, પૂર્વના તળાવો ઇન્ટરલિંકિંગ કરાશે
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મુખ્ય પદાધિકારીઓની નિમણૂક બાદ આજે 27 મેના રોજ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓએ ખારીકટ કેનાલના પ્રોજેક્ટ સહિત પૂર્વ વિસ્તારમાં ચાલતી વિવિધની કામગીરીઓને લઈને વસ્ત્રાલ ખાતે સમીક્ષા કરી હતી. વસ્ત્રાલ આરટીઓ રોડ અને પૂર્વ વિસ્તારમાં તળાવ ઇન્ટરલિન્કિંગની ચાલતી કામગીરી બાબતે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. પૂર્વ વિસ્તારના કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે બેઠક કરીને કામો ઝડપી પૂર્ણ થાય તેના માટે સૂચના આપી હતી. ખારીકટ કેનાલ પ્રોજેક્ટના કામગીરીની સમીક્ષા કરી
મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આજે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વસ્ત્રાલ આરટીઓ પાસે ખારીકટ કેનાલ પ્રોજેક્ટના કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે કામગીરી અધુરી હતી. 15 જૂન સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ઝડપથી તમામ કામોનો નિકાલ થાય તેના માટેની સૂચના આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં ચાલતા અન્ય પ્રોજેક્ટની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. ચોમાસામાં વરસાદના પાણીનો પ્રશ્ન ના થાય તે માટે અધિકારીઓ સાથે સંકલન કરી કામગીરી કરવામાં આવશે. 10 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના
અમદાવાદનો સૌથી મોટો પ્રોજેક્ટ કેનાલ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી હજી સુધી પૂર્ણ થઈ નથી. માત્ર 45 મીટરની કેનાલની કામગીરી હજી સુધી અધૂરી છે, જેને આગામી 10 દિવસમાં પૂર્ણ કરવાની સૂચના નવનિયુક્ત મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા અધિકારીઓને આપવામાં આવી છે. પૂર્વ વિસ્તારના આવેલા તળાવોના ઇન્ટરલિંકીંગ માટે હાથીજણ વિસ્તારમાં મોટી ડકલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેને લઈને પણ સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓ સાથે પૂર્વ વિસ્તારમાં ચાલતા કામો અંગે ચર્ચા
વિરાટનગર ખાતે આવેલી પૂર્વ ઝોનની ઓફિસ ખાતે મેયર હિતેશ બારોટ સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની સાથે પૂર્વ ઝોનમાં આવતાં વસ્ત્રાલ, રામોલ-હાથીજણ, નિકોલ, ઓઢવ, વિરાટનગર, ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડના કોર્પોરેટરોએ પૂર્વ ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ મમતા હિરપરા તેમજ અધિકારીઓ સાથે પૂર્વ વિસ્તારમાં ચાલતા કામો અંગે ચર્ચા કરી હતી. વિસ્તારમાં જે કામો ચાલી રહ્યા છે તે તમામ કામો ઝડપી પૂરા કરવા સૂચના આપી હતી. નવા કોર્પોરેટરો સાથે પણ મેયર સહિતના પદાધિકારીઓએ બેઠક કરી કામોના બજેટ લખવાની અને સિનિયર કોર્પોરેટરોને નવા કોર્પોરેટરોને કોર્પોરેશનની કામગીરી અંગે શાંતિ આપી અને કામ શીખવાડવા જણાવ્યું હતું.
Read Original Article →