નરોડા નકલી પોલીસ તોડકાંડ:ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી વસૂલનાર મહિલા આરોપી નસરીન પટેલની જામીન અરજી સિટી સેશન્સ કોર્ટે ફગાવી

Gujarat6/5/2026, 4:43:17 PM
નરોડા નકલી પોલીસ તોડકાંડ:ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી વસૂલનાર મહિલા આરોપી નસરીન પટેલની જામીન અરજી સિટી સેશન્સ કોર્ટે ફગાવી
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં કાકા ભાજીપાંઉના વેપારીને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી પડાવવાના ચકચારી કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ ગુનાની મહિલા આરોપી નસરીન પટેલે જેલમુક્તિ માટે નિયમિત જામીન અરજી દાખલ કરી હતી, જેને અદાલતે ગુનાની ગંભીરતા અને આરોપીના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખીને સખત શબ્દોમાં નકારી કાઢી છે. ‘હેતલ પટેલ’ નામ ધારણ કરી વેપારીને જાળમાં ફસાવી હતી પોલીસ ફરિયાદની વિગતો મુજબ, ઘાટલોડિયામાં રહેતા દિલીપ પટેલ નાના ચિલોડા વિસ્તારમાં ‘કાકા ભાજીપાંઉ’ નામે જાણીતી દુકાન ધરાવે છે. ચાલુ વર્ષે આરોપી મહિલા નસરીન પટેલ પોતાનું અસલી નામ છુપાવી ‘હેતલ પટેલ’ નામ ધારણ કરીને વેપારી દિલીપ પટેલની દુકાને પહોંચી હતી. ત્યારબાદ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે અન્ય ચાર આરોપીઓ પિયુષ ગોસ્વામી, રવિન્દ્ર હળવદિયા, અશફાક શેખ અને ચિરાગ જાદવ પણ પોલીસનો યુનિફોર્મ (ડ્રેસ) પહેરીને ત્યાં ધસી આવ્યા હતા. આ નકલી પોલીસ ટોળકીએ વેપારી દિલીપ પટેલની ગેરકાયદેસર અટકાયત કરી લીધી હતી અને તેમને ડ્રગ્સના કેસમાં અંદર કરી દેવાની ધમકી આપી રૂ. 30 લાખની પઠાણી માંગણી કરી હતી. ડરી ગયેલા વેપારી પાસેથી આરોપીઓએ સ્થળ પર જ રોકડા રૂ. 3 લાખ પડાવી લીધા હતા અને બાકીના રૂ. ૫ લાખ આંગડિયા મારફતે મોકલી આપવા સતત દબાણ કરતા હતા. “ચાર્જશીટ થઈ ગઈ હોવાથી જેલમાં રાખવા અન્યાય” જામીન મેળવવા માટે અરજદાર મહિલાના વકીલ તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આ આખો કેસ માત્ર શંકાના આધારે ઊભો કરાયેલો કાલ્પનિક કેસ છે. આ ગુનામાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને કોર્ટમાં ચાર્જશીટ પણ ફાઇલ થઈ ગઈ છે. કાયદાકીય જોગવાઈ મુજબ આ ગુનામાં મહત્તમ 10 વર્ષ સુધીની સજા હોવાથી કોર્ટ ટ્રાયલ લાંબો સમય ચાલશે. આવા સંજોગોમાં ચુકાદા પહેલાં જ અરજદારને લાંબો સમય જેલમાં રાખવા તે સજા સમાન છે અને તેનાથી તેમનું ભવિષ્ય બગડશે. સરકારી વકીલનો કડક વિરોધ સામે પક્ષે સરકારી વકીલે જામીન આપવાનો સખત વિરોધ કરતા તપાસ અધિકારીનું સોગંદનામું રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આરોપી નસરીન પટેલ ગુનાહિત માનસિકતા ધરાવે છે અને આવા ગુના કરવાની ટેવ ધરાવે છે. વેપારી પાસેથી પડાવેલા ખંડણીના મુદ્દામાલ (રોકડ રકમ)ની રિકવરી હજુ સુધી થઈ શકી નથી. આરોપી મહિલાના રહેઠાણનું કોઈ ચોક્કસ અને કાયમી ઠેકાણું નથી, જેથી જામીન મળતા જ તે ફરાર થઈ શકે છે. ઓળખ પરેડમાં પાપ છતું થયું, કોર્ટે જામીન નકાર્યા સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલો અને કાયદાકીય પાસાઓની સમીક્ષા કર્યા બાદ નોંધ્યું હતું કે, અરજદાર સામેના આક્ષેપો અત્યંત ગંભીર પ્રકૃતિના છે. આરોપીઓએ કાયદાના રક્ષક એવા પોલીસના સ્વાંગમાં આવીને એક નિર્દોષ વેપારીને ધમકાવી રૂ. 3 લાખની ખંડણી વસૂલી છે. પોલીસ દ્વારા યોજાયેલી સત્તાવાર ‘ઓળખ પરેડ’ (Identity Parade) માં ભોગ બનનાર વેપારીએ આ મહિલા આરોપીને સ્પષ્ટપણે ઓળખી બતાવી છે. કોર્ટે આદેશમાં સ્પષ્ટ કર્યું કે, ભલે કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ગઈ હોય, પરંતુ જે પદ્ધતિથી પૂર્વ આયોજિત કાવતરું રચીને ગુનો આચરવામાં આવ્યો છે તેની સમાજ પર વ્યાપક નકારાત્મક અસર પડે છે. મુદ્દામાલની રિકવરી પણ બાકી હોવાથી આરોપીને જામીન પર મુક્ત કરવા ન્યાયના હિતમાં યોગ્ય નથી.
Read Original Article →