ફિનલેન્ડ-લક્ઝમબર્ગના વિઝા આપવાના નામે ડીસાના યુવક પાસેથી ₹3 લાખ પડાવ્યા:અમદાવાદની 'દા બિઝનેસ કન્સલ્ટન્સી'ના 3 એજન્ટો સામે છેતરપિંડીની ફરિયાદ

Gujarat6/4/2026, 6:56:04 AM
ફિનલેન્ડ-લક્ઝમબર્ગના વિઝા આપવાના નામે ડીસાના યુવક પાસેથી ₹3 લાખ પડાવ્યા:અમદાવાદની 'દા બિઝનેસ કન્સલ્ટન્સી'ના 3 એજન્ટો સામે છેતરપિંડીની ફરિયાદ
વિદેશ જવા ઈચ્છતા યુવકોને લલચાવીને લાખો રૂપિયા પડાવતી બોગસ વિઝા કન્સલ્ટન્સીઓનો આતંક રાજ્યમાં સતત વધી રહ્યો છે. આવી જ એક ઘટનામાં બનાસકાંઠાના ડીસામાં રહેતા એક યુવક સાથે વિદેશના વિઝા અપાવવાના બહાને ₹3,00,000 ની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં લક્ઝમબર્ગ અને ત્યારબાદ ફિનલેન્ડના વિઝા આપવાનું કહીને કન્સલ્ટન્સીના એજન્ટોએ યુવક પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ભોગ બનનારે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો સામે સત્તાવાર છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. એક પછી એક દેશના વિઝા આપવાની લાલચ: આખો ઘટનાક્રમ પોલીસ સૂત્રો પાસેથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, બનાસકાંઠાના ડીસા વિસ્તારમાં રહેતા ચિંતન બારોટ નામના યુવકને અભ્યાસ અથવા નોકરી અર્થે વિદેશ જવું હોવાથી તેણે વિઝા કન્સલ્ટન્સીની શોધ આદરી હતી. ચિંતન તેના એક મિત્ર મારફતે અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી ‘દા બિઝનેસ કન્સલ્ટન્સી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ’ની ઓફિસે પહોંચ્યો હતો. જ્યાં તેની મુલાકાત એજન્ટ અખિલ ચતુર, નીતાબેન ચતુર અને ઉમંગી મોદી સાથે થઈ હતી. આ ત્રણેય એજન્ટોએ ભેગા મળીને ચિંતનને શરૂઆતમાં યુરોપિયન દેશ લક્ઝમબર્ગના વિઝા અપાવવાની મોટી-મોટી વાતો કરી વિશ્વાસમાં લીધો હતો. તેના પ્રોસેસિંગના નામે એજન્ટોએ ચિંતન પાસેથી ₹1,00,000 પડાવી લીધા હતા, પરંતુ લાંબો સમય વીતવા છતાં વિઝા આપ્યા નહોતા. ચિંતને આ અંગે પૂછપરછ કરતાં એજન્ટોએ બહાનાબાજી કરી લક્ઝમબર્ગના બદલે ફિનલેન્ડના વિઝા કરાવી આપવાની નવી લાલચ આપી હતી. પોલીસ ફરિયાદની ધમકી આપતાં ₹1 લાખ પરત કર્યા, બાકીના ઓળવી ગયા ફિનલેન્ડના વિઝાની ફાઈલ આગળ ધપાવવા માટે એજન્ટોએ ચિંતન પાસેથી બીજા ₹3,00,000 મેળવ્યા હતા. આમ, કન્સલ્ટન્સીએ ચિંતન પાસેથી કુલ ₹4,00,000 ની રકમ વસૂલ કરી લીધી હતી. જો કે, મહિનાઓ સુધી રાહ જોયા બાદ પણ ફિનલેન્ડના વિઝા ન આવતાં ચિંતનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. ચિંતને ઓફિસે જઈને પોતાના આખા પૈસા પરત માંગ્યા અને પોલીસ ફરિયાદ કરવાની કડક ધમકી આપી, ત્યારે ગભરાયેલા એજન્ટોએ તેને ₹1,00,000 પરત ચૂકવી દીધા હતા. પરંતુ બાકી રહેતા ₹3,00,000 આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. અંતે, પોતાની કાયદેસરની રકમ પરત ન મળતાં ચિંતન બારોટે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ (અખિલ ચતુર, નીતા ચતુર અને ઉમંગી મોદી) વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે ગુનો નોંધી કન્સલ્ટન્સીની ઓફિસના દસ્તાવેજો અને બેંક એકાઉન્ટ્સની વિગતો મેળવી આગળની તપાસ તેજ કરી છે.
Read Original Article →