પનીર અંગેનું બોર્ડ ન લગાવતા ભૈરવનાથ પંજાબી તડકા સીલ:અમદાવાદમાં 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો AMC ફૂડ વિભાગે જપ્ત કર્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી તમામ હોટલો અને રેસ્ટોરેન્ટ તેમજ ઉત્પાદકો અને પનીરનો ઉપયોગ કરનાર તમામ ફુડ બિઝનેસ ઓપરેટરોને મિલ્ક પનીર/એનાલોગ પનીર (નોન ડેરી પ્રોડક્ટ)ના ઉપયોગ અંગે સ્પષ્ટપણે દર્શાવવા સૂચના આપી છે. AMC ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વસ્ત્રાલ વિસ્તારમાં ભૈરવનાથ પંજાબી તડકા નામની રેસ્ટોરન્ટ દ્વારા પનીર અંગેનું મેનુ કાર્ડ પ્રદર્શિત કર્યું નહોતું તેમજ ફૂડ સેફ્ટી લાઇસન્સ નહોતું જેથી તેને સીલ કરવામાં આવ્યું હતું, જ્યારે નવરંગપુરા પોલિટેકનિક પાસે પંજાબદી મહેક નામની રેસ્ટોરન્ટમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જીવતો અને રસોડામાં ગંદકી જોવા મળી હતી તેમજ અનહાઇજેનિક કન્ડિશન મળી આવતા તેને સીલ કરવામાં આવી હતી. 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, પનીરના નામે એનાલોગ પનીરનું વેચાણ કરનારા તેમજ નાગરિકોને ગેરમાર્ગે દોરનારા લોકો તેમજ બિન આરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ કરનારા વિરુદ્ધ અમે કાર્યવાહી કરીશું. ગોતા વિસ્તારમાં વિશ્વાસ સિટી 6 નામના કોમ્પલેક્ષમાં ક્રિષ્ના ડેરીમાંથી 140 કિલો અને નરોડા વિસ્તારમાં સુતરના કારખાનાની સામે મધુસૂદન બિઝનેસ હબમાં આવેલી રાધે ડેરીમાંથી 104 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 199 કિલો અને 318 લિટર અખાદ્ય જથ્થો નાશ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા 3 એપ્રિલથી 7 એપ્રિલ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પનીરના 69, દૂધની બનાવટના 52, નોનવેજ પ્રોડક્ટ્સના 25, બેકરી પ્રોડક્ટસના 6, શેરડીના રસના ત્રણ અને અન્ય 29 એમ અલગ અલગ કુલ 188 જેટલા ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા છે. 452 ધંધાકીય એકમોમાં તપાસ કરવામાં આવી છે જેમાંથી 235ને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 199 કિલો અને 318 લિટર અખાતે જથ્થો નાશ કરવામાં આવ્યો છે.
Read Original Article →