ભાસ્કર એક્સક્લુસિવ:જૈન પાઠશાળામાં નિયમિત ન આવી શકતાં બાળકો માટે `લર્ન ફ્રોમ હોમ’ની યોજના શરૂ
જૈન સમાજમાં બાળકો નાનપણથી જ ધાર્મિક વિચાર ધરાવતાં થાય, ધર્મસૂત્રોની સમજણ સાથેનું શિક્ષણ મેળવે એ માટે મોટા ભાગના જૈનસંઘોમાં પાઠશાળા ચલાવાતી હોય છે. તેમાં માત્ર બાળકો જ નહીં પરંતુ વયસ્કો પણ જૈન ધર્મનાં સૂત્રોનું પઠન કરવા આવતા હોય છે. પરંતુ અત્યારના સમયમાં બાળકો શાળા-કૉલેજ, ટ્યૂશન ક્લાસીસ, ઇતર પ્રવૃત્તિઓ અને સામાજિક પ્રસંગોને કારણે પાઠશાળામાં નિયમિત રીતે આવી શકતાં નથી હોતાં. આ કારણે બાળકો અને વયસ્કો પણ ધર્મસૂત્રોથી દૂર ન થઈ જાય તે માટે પૂજ્ય પન્યાસ શ્રી મનોભૂષણ મહારાજ સાહેબે ફેબ્રુઆરીથી વચલો રસ્તો જેવી ‘લર્ન ફ્રોમ હોમ’ યોજના અમલમાં મૂકી છે. મ.સા. વિહારમાં જે સંઘમાં પધારે ત્યાં આ યોજના સમજાવે છે. અમદાવાદમાં અંદાજે 100 પાઠશાળા છે, તેમાંથી અંદાજે 14 જેટલી પાઠશાળામાં આ યોજના અમલમાં મુકાઈ છે અને 325 જેટલાં બાળકો લાભ લઈ રહ્યાં છે. આ માટે સંઘોએ પોતપોતાની રીતે પ્રભાવના પણ નક્કી કરી છે. ભાસ્કર ફર્સ્ટ પર્સન
બદલાતા કાળ પ્રમાણે પરિવર્તન લાવવું આવશ્યક છે
સમુદ્રના કિનારા બદલાય એટલે નકશાએ પણ બદલવું પડે. આક્રમણનાં શસ્ત્રો બદલાય એટલે સંરક્ષણનાં સાધનો પણ બદલવા પડે. હવે દિન પ્રતિદિન લેસન, ટ્યુશન, ઇતર પ્રવૃચ્ચિઓ, મોબાઇલ ફોન જેવાં ગેઝેટ્સનો ઉપયોગ, સ્કૂલમાં દર 3 મહિને પરીક્ષા, 1 લગ્ન સાથે 3થી 5 કાર્યક્રમો - આ બધાં કારણોસર પાઠશાળામાં આવતાં બાળકોની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે. આ સંજોગોમાં દરેક સંઘમાં નવી ‘લર્ન ફ્રોમ હોમ’ યોજના અમલમાં મૂકી છે. બાળક ભલે ઘરે ગાથા ગોખે પરંતુ અઠવાડિયામાં 1 દિવસ અવશ્ય પાઠશાળા આવીને ગાથા પાઠશાળાના શિક્ષકને સંભળાવે. આ યોજનાને કારણે નિયમિત આવતાં બાળકો બંધ થઈ જશે, એ ભીતિ સામે ઉકેલ કાઢ્યો છે કે પ્રભાવના વગેરેના લાભો લર્ન ફ્રોમ હોમ કરતાં બાળકોને નહીં પરંતુ નિયમિત આવનારાં બાળકોને જ મળે. તે અનુસાર મોટા સૂત્ર પ્રમાણે સંઘ અમુક રકમ નક્કી કરે અને એ રકમ આ બધાં બાળકોને મળે. સાથેસાથે વંદિતુ સૂત્રના 500 રૂપિયાની અનુમોદના નક્કી કરી હોય તો બાળક પહેલી વાર આ સૂત્ર સંભળાવે ત્યારે 125 રૂપિયા મળે, મહિના પછી ફરીથી સંભળાવે ત્યારે બીજા 125 રૂપિયા મળે. એમ 4 મહિને તેને પૂરી રકમ મળે. - પૂ. પં. શ્રી મનોભૂષણ મ.સા.
એક્સક્લુસિવ
Read Original Article →