વિરમગામમાં સગા પુત્ર અને પત્નીએ જ કરી પિતાની હત્યા:અકસ્માત દર્શાવી ગુનો છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ, ભાણેજની શંકાથી ખુલ્યું હત્યાનું રહસ્ય

Gujarat6/8/2026, 4:12:50 PM
વિરમગામમાં સગા પુત્ર અને પત્નીએ જ કરી પિતાની હત્યા:અકસ્માત દર્શાવી ગુનો છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ, ભાણેજની શંકાથી ખુલ્યું હત્યાનું રહસ્ય
વિરમગામમાં થોડા દિવસો પહેલાં સીડી પરથી પડી જવાથી થયેલા શંકાસ્પદ મોતના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં જેને અકસ્માત ગણવામાં આવતો હતો, તે હકીકતમાં એક ક્રૂર અને પ્લાનિંગ પૂર્વક કરવામાં આવેલી હત્યા હોવાનું બહાર આવ્યું છે. વિરમગામ ટાઉન પોલીસે ટેક્નિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરીને આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે અને મૃતકની પત્ની તથા પુત્રની અટકાયત કરી લીધી છે. ઘટના અને પોલીસની પ્રાથમિક તપાસ મૃતક દીપકકુમાર રાધનપુરાના મોતને પરિવાર દ્વારા સીડી પરથી પડી જવાથી થયેલું મોત ગણાવીને મામલો રફાદફા કરવાનો પ્રયાસ કરાયો હતો. વિરમગામની એમ.જી. ગાંધી હોસ્પિટલ ખાતેથી પોલીસ સ્ટેશનમાં વર્ધી મળતા જ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મેડિકલ ઓફિસરની રૂબરૂમાં જ્યારે ઇન્કવેસ્ટ પંચનામું કરવામાં આવ્યું, ત્યારે મૃતકના શરીર પરના ઘા જોઈને પોલીસને શંકા ગઈ હતી. પરિણામે, સત્ય જાણવા માટે દીપકકુમારના મૃતદેહને ફોરેન્સિક પેનલ પીએમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. ભાણેજની શંકાથી ખુલ્યું હત્યાનું રહસ્ય આ સમગ્ર મામલામાં મૃતક દીપકભાઈના ભાણેજ રાજનની સતર્કતાને કારણે આખો ગુનો પ્રકાશમાં આવ્યો છે. રાજને પોતાના નિવેદનમાં જણાવ્યું કે શનિવારે મને મારી મમ્મી પર માસાનો ફોન આવ્યો કે મામા સીડી પરથી પડી ગયા છે અને તેમની સ્થિતિ ગંભીર છે. અમે તરત જ અમદાવાદથી વિરમગામ પહોંચ્યા. જ્યારે અમે તેમનો ચહેરો જોયો, તો માથા પર, કપાળ પર અને મોઢા પર બહુ મોટી ઈજાઓ થયેલી હતી. સીડી પરથી સામાન્ય રીતે પડી જવાથી કોઈ વ્યક્તિને આટલી હદે વાગે નહીં. અમને શંકા જતાં અમે 100 અને 112 નંબર પર કૉલ કરીને પોલીસને જાણ કરી અને પોસ્ટમોર્ટમની માંગણી કરી. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ બાદ ખુલાસો કર્યો કે દીપકભાઈને કોઈ તીક્ષ્ણ હથિયાર કે બોથડ પદાર્થથી માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ કોઈ અકસ્માત નહીં, પણ સુનિયોજિત કાવતરું હતું. પિતાની હત્યા પાછળનું મુખ્ય કારણ DySP તપન ડોડીયાના જણાવ્યા અનુસાર, આ હત્યા પાછળ પારિવારિક વિવાદ અને લાંબા સમયથી ચાલતા મતભેદો મુખ્ય કારણ હતા. મૃતક દીપકભાઈ વેપાર કરતા હતા. તેમનો 22 વર્ષનો પુત્ર ઉદય અવારનવાર દુકાન પર સમયસર પહોંચતો ન હતો, જેના કારણે પિતા તેને ઠપકો આપતા હતા.પરિવારની અંદર પુત્રની સગાઈ બાબતે અને પિતૃ કરવા બાબતે પણ અવારનવાર પ્રશ્નો અને મનદુઃખ ચાલતા હતા. બપોરે આશરે 2:30 થી 3:00 વાગ્યાની આસપાસ જ્યારે દીપકકુમાર દુકાન બંધ કરીને જમવા માટે ઘરે આવ્યા, ત્યારે પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડામાં માતા દિવ્યાનીબેને પુત્રનો પક્ષ લીધો હતો. ઉશ્કેરાટમાં આવીને પત્ની અને પુત્ર બંનેએ મળીને દીપકકુમાર પર હુમલો કરી તેમનું મોત નીપજાવ્યું હતું. માતા-પુત્ર બંને આરોપીઓની અટકાયત પોલીસે ગુનામાં સામેલ બંને આરોપીઓ 45 વર્ષીય દિવ્યાનીબેન અને 22 વર્ષીય ઉદયની અટકાયત કરી લીધી છે અને તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને આરોપીઓનો કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ નથી. હાલમાં વિરમગામ ટાઉન પોલીસ દ્વારા આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે.
Read Original Article →