'નોકરી કરનારી વ્યક્તિ ઓછી મહત્વાકાંક્ષી નથી':પોડકાસ્ટર રાજ શમાનીએ સ્ટાર્ટઅપ યુગની આડઅસર સમજાવી, ટેકનોલોજીને 'મલ્ટિપ્લાયર' ગણાવી

Lifestyle4/29/2026, 9:18:00 AM
'નોકરી કરનારી વ્યક્તિ ઓછી મહત્વાકાંક્ષી નથી':પોડકાસ્ટર રાજ શમાનીએ સ્ટાર્ટઅપ યુગની આડઅસર સમજાવી, ટેકનોલોજીને 'મલ્ટિપ્લાયર' ગણાવી
પ્રખ્યાત યુટ્યુબર અને પોડકાસ્ટર રાજ શમાનીએ યુવાનો અને ટેકનોલોજી વિશે ખૂલીને વાત કરી હતી. તેણે કહ્યું, 'અવારનવાર મને પૂછવામાં આવે છે કે, શું આજનો યુવા ભારત ભાવનાત્મક રીતે પહેલાં કરતાં વધુ જાગૃત બન્યો છે? મારો જવાબ અલગ છે. મને લાગે છે કે આપણે જાગૃત થવા કરતાં ક્યાંય વધુ 'મુખર' થયા છીએ. સાચું કહું તો, જાગૃતિ અને મુખરતા વચ્ચેનો આ જ તફાવત સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યો છે.' 'ઇમોશનલ ઇન્ટેલિજન્સ ગ્લેમરસ નથી હોતી' 'ભાવનાત્મક જાગૃતિનો અર્થ એ નથી કે તમે તમારી સ્થિતિને એક ફેન્સી 'લેબલ' આપી દો. તેનો સાચો અર્થ એ છે કે જ્યારે તમે કોઈ અસ્વસ્થતાભરી સ્થિતિમાં હોવ, ત્યારે તમે તેની સાથે બેસી શકો અને સમજી શકો કે તમારા મનમાં ખરેખર શું ચાલી રહ્યું છે. આજની પેઢી પાસે પોતાની ભાવનાઓનું વર્ણન કરવા માટે ભાષા અને શબ્દો તો છે, પણ તેમને પ્રોસેસ કરવા માટે સાધનો નથી. ફક્ત એ જાણી લેવું કે તમે 'એન્ગ્ઝાયટી' અનુભવી રહ્યા છો, તે પૂરતું નથી.' 'સાચો પ્રશ્ન એ છે કે તમે તે ભાવના સાથે શું કરો છો? વાસ્તવિક 'ઇમોશનલ ઇન્ટેલિજન્સ' (EI) ગ્લેમરસ હોતી નથી, તે ઘણું કંટાળાજનક કામ છે. તે ધીમે ધીમે જીવનને બહેતર બનાવે છે. જે યુવાનો આ તફાવતને સમજી જશે, તેઓ ભવિષ્યમાં અવિશ્વસનીય રીતે શક્તિશાળી બનવાના છે.' સ્ટાર્ટઅપ યુગની આડઅસર આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં 'ઉદ્યોગસાહસિકતા'નું એટલું બધું મહિમામંડન થઈ ગયું છે કે સ્થિર નોકરી કરનાર વ્યક્તિ પોતાને ઓછો મહત્વાકાંક્ષી અનુભવવા લાગ્યો છે. આ સ્ટાર્ટઅપ યુગની સૌથી ઝેરી આડઅસર છે. આપણે એવી વ્યવસ્થા ઊભી કરી દીધી છે, જ્યાં 'ફાઉન્ડર' હોવું એ જ સૌથી મોટો પુરસ્કાર છે...નોકરી કરવી જાણે કે સાંત્વના પુરસ્કાર. આ વિચાર ખોટો છે. મહત્વાકાંક્ષા બિઝનેસ મોડેલ નથી, તે તો પ્રગતિ તરફનો તમારો એક દૃષ્ટિકોણ છે.' 'હું એવા લોકોને ઓળખું છું, જેઓ કોઈ કંપનીમાં ઓપરેશન્સ સંભાળે છે અને પોતાની કાર્યક્ષમતાથી આખા ડિવિઝનનો દેખાવ બદલી નાખે છે. તેમના વિશે કોઈ લિંક્ડઇન પોસ્ટ લખતું નથી, પણ તેમની વિચારસરણીની ગુણવત્તા કોઈપણ સંઘર્ષરત સ્ટાર્ટઅપ ફાઉન્ડર કરતાં ઘણી સારી છે.' 'આપણે પદનું નહીં, પરંતુ તે 'ગુણવત્તા'ની ઉજવણી કરવી જોઈએ, જે કોઈ વ્યક્તિ પોતાની ભૂમિકામાં લાવે છે. ભારતની વધતી જતી વસ્તી અને યુવાનો પાસે રોજગારની તકોને લઈને અવારનવાર ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. મારું માનવું છે કે વસ્તી ત્યારે જ એક સંપત્તિ છે, જ્યારે તે 'કુશળ' હોય.' નાનકડા શહેરનો યુવાન વિદેશમાં ખ્યાતિ મેળવી શકે છે તેણે વાતને આગળ વધરાતા કહ્યું, 'આપણે જેટલી ઝડપથી ગ્રેજ્યુએટ્સ પેદા કરી રહ્યા છીએ, તેટલી ઝડપથી તેમને સમાવી શકે તેવી પ્રણાલીઓ બની રહી નથી, પરંતુ ભારતીય ઇતિહાસમાં આ પહેલી એવી પેઢી છે, જેને તકો માટે સંસ્થાઓ કે સરકારોની રાહ જોવાની જરૂર નથી. ઇન્દોરનો એક 22 વર્ષનો છોકરો પોતાની બ્રાન્ડ બનાવીને દુનિયાભરમાં ડોલરમાં કમાણી કરી શકે છે.' 'આજે મૂળભૂત માળખું એટલું સસ્તું છે કે અડચણ ‘તક’ની નથી, પરંતુ આ વિચારની છે કે આપણને કંઈક કરવા માટે કોઈની ‘મંજૂરી’ જોઈએ. આપણે ઉદ્યોગસાહસિકોને પણ આગામી પેઢીને તાલીમ આપવાનું ફરજિયાત બનાવવું પડશે. અમે ‘ફિગરિંગ આઉટ એકેડમી’ દ્વારા આ જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.' 'એક પરંપરાગત ભારતીય મૂલ્ય જેને આપણે કોઈપણ ભોગે જાળવી રાખવું જોઈએ, તે છે... 'કર્તા'. હિંદુ અવિભાજિત પરિવારમાં કર્તાનો અર્થ તાનાશાહ હોવો નહીં, પરંતુ પરિવારનું રક્ષણ કરવું અને જવાબદારી ઉઠાવવી છે. તેનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે તેના લોકો ચિંતામુક્ત રહે.' નાના શહેરોના યુવાનો ભવિષ્ય માટે આ રીતે તૈયારી કરે 'ટેકનોલોજીથી ગભરાવવાને બદલે દરરોજ ફક્ત એક વીડિયો કે પોડકાસ્ટથી શીખવાની શરૂઆત કરો. બધું જ શીખવાની હોડ છોડીને તમારો એક દૃષ્ટિકોણ વિકસાવો, જેને ટેકનોલોજી ક્યારેય બદલી શકતી નથી. નાના શહેરો પાસે એવા અનુભવો અને વાર્તાઓ છે, જે કોઈ ડેટાસેટમાં નહીં મળે. ટેકનોલોજી ફક્ત એક 'મલ્ટિપ્લાયર' છે; જો તમે સ્પષ્ટ વિચાર લાવશો, તો તે તેને અનેક ગણો વધારી દેશે.' 'જો આપણે આ માનસિકતાને સમુદાયો, સ્ટાર્ટઅપ્સ અને સમાજમાં લાવીએ કે, 'હું અહીં મારા લોકોનું રક્ષણ કરવા અને તેમના માટે વ્યવસ્થા કરવા માટે છું,' તો આપણને તે પશ્ચિમી સમાજો પર ઘણી મોટી લીડ મળી જશે, જે આજે તૂટેલા અને એકલા છે. ભલે તે પરિવાર હોય કે ઓફિસ, તે વ્યક્તિ જે ઊભા રહીને કહે છે કે 'હું આ સંભાળી લઈશ' તે જ સૌથી મૂલ્યવાન હોય છે.' 'મારા માટે એક સાર્થક જીવનનો અર્થ છે- 'મોટા પાયે લોકોનો વિશ્વાસ જીતવો'. હું મારી જાતને અવારનવાર એક જ પ્રશ્ન પૂછું છું કે, જ્યારે હું આ દુનિયામાં નહીં હોઉં, ત્યારે શું મારા શેર કરેલા વિચારો લોકોના વિચારવાની અને કાર્ય કરવાની રીતને બદલી શકશે? હું બસ આ જ એક અસર છોડવા માંગુ છું.' 'પૈસા તો માત્ર એક સાધન છે અને ખ્યાતિ કામ સાથે મળતી વધારાની વસ્તુ છે. પરંતુ સાચો અર્થ તો તે વિશ્વાસનો છે, જે પ્રામાણિકતા, ઊંડી વિચારસરણી અને લોકોના જીવનમાં આપેલા સાચા યોગદાનથી કમાવવામાં આવ્યો હોય. મારા મતે સાર્થક જીવન તે જ છે, જ્યાં તમે એટલો વિશ્વાસ કમાવી લીધો હોય કે તમારા હોવાથી આ દુનિયા થોડી વધુ સમજદાર અને મહત્વાકાંક્ષી બની શકે.'
Read Original Article →