PoKમાં આતંકવાદી હમઝા બુરહાનની ગોળી મારીને હત્યા:પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો, આતંકી ઝાકિર મુસા-બુરહાન વાનીનો ખાસ હતો

International5/21/2026, 9:46:48 AM
PoKમાં આતંકવાદી હમઝા બુરહાનની ગોળી મારીને હત્યા:પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો, આતંકી ઝાકિર મુસા-બુરહાન વાનીનો ખાસ હતો
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં પુલવામા આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદી હમઝા બુરહાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એવું કહેવાય છે કે PoKના મુઝફ્ફરાબાદમાં અજાણ્યા હુમલાખોરોએ હમઝા બુરહાનને નિશાન બનાવીને અનેક ગોળીઓ ચલાવી હતી. હમઝાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ભારતે 2022માં હમઝા બુરહાનને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રતિબંધ) અધિનિયમ UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. તેને 2019ના પુલવામા આતંકવાદી હુમલાના કાવતરાખોરોમાંનો એક માનવામાં આવતો હતો. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. ભારતથી પાકિસ્તાન ગયો, પછી આતંકવાદી સંગઠન સાથે જોડાયો સરકારના મતે, અર્જુમંદ ગુલઝાર ડાર ઉર્ફે હમઝા બુરહાન ઉર્ફે ડોક્ટર પુલવામાના રત્નીપોરા વિસ્તારનો રહેવાસી હતો. 23 વર્ષનો હમઝા, આતંકવાદી સંગઠન અલ બદ્ર સાથે જોડાયેલો હતો. અલ બદ્રને સરકારે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. સરકારી દસ્તાવેજો મુજબ તે કાયદેસર રીતે પાકિસ્તાન ગયો હતો. ત્યાં જઈને તે અલ બદ્રમાં સામેલ થઈ ગયો અને બાદમાં સંગઠનનો સક્રિય આતંકવાદી અને કમાન્ડર બની ગયો. હાલ તે પાકિસ્તાનથી જ કામ કરી રહ્યો હતો. તેના પર આરોપ છે કે તે યુવાનોને અલ બદ્રમાં સામેલ થવા માટે ઉશ્કેરે છે અને સંગઠનની આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ પણ પૂરું પાડે છે. તપાસ એજન્સીઓ અનુસાર તે પુલવામામાં વિસ્ફોટક જપ્તીના કેસો, 18 નવેમ્બર 2020ના રોજ CRPF જવાનો પર થયેલા ગ્રેનેડ હુમલા અને યુવાનોને આતંકવાદી સંગઠનમાં ભરતી કરાવવા જેવી ગતિવિધિઓમાં સામેલ રહ્યો છે. હમઝા બુરહાન વાનીનો નજીકનો હતો રિપોર્ટ્સ અનુસાર, હમઝા બુરહાન લાંબા સમયથી પાકિસ્તાન અને PoKમાં સક્રિય હતો. બુરહાન મુઝફ્ફરાબાદની AIMS કોલેજની બહાર માર્યો ગયો. તે અબુ દુજાના, અબુ કાસિમ, બુરહાન વાની અને ઝાકિર મૂસાનો નજીકનો સહયોગી હતો. બુરહાન વાની 8 જુલાઈ 2016 ના રોજ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યો ગયો હતો. તેના મૃત્યુ પછી કાશ્મીરમાં લાંબા સમય સુધી હિંસા અને વિરોધ પ્રદર્શનો થયા હતા. બુરહાન વાનીના મૃત્યુ પછી ઝાકિર મૂસા હિઝબુલનો કમાન્ડર બન્યો હતો. તે 23 મે 2019ના રોજ પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળોના ઓપરેશનમાં માર્યો ગયો હતો. પુલવામા હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા 14 ફેબ્રુઆરી 2019નો દિવસ હતો. દુનિયા વેલેન્ટાઇન ડે ઉજવી રહી હતી. તે જ દિવસે CRPFનો એક કાફલો શ્રીનગર-જમ્મુ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. ટ્રક પુલવામા પાસે પહોંચ્યો હતો, ત્યારે જ એક સુસાઇડ અટેકર 200 કિલો RDX ભરેલી મારુતિ ઇકો કાર લઈને ઘૂસી ગયો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સુરક્ષા દળોને લઈ જતી 2 બસોના ફુરચા ઉડી ગયા. 10 કિમી દૂર સુધી ધમાકાનો અવાજ સંભળાયો. આ હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા. આ કાશ્મીરમાં 30 વર્ષથી ચાલી રહેલા આતંકવાદના સમયગાળાનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો હતો. આ હુમલાને 5 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે.
Read Original Article →