પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર મિસાઈલ હુમલો, 7ના મોત:75 ઘાયલ; 6 પાકિસ્તાની સૈનિકોના મોત બાદ જવાબી હુમલો

International4/28/2026, 7:48:12 AM
પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર મિસાઈલ હુમલો, 7ના મોત:75 ઘાયલ; 6 પાકિસ્તાની સૈનિકોના મોત બાદ જવાબી હુમલો
અફઘાનિસ્તાનના પૂર્વીય પ્રાંત કુનારમાં સોમવારે થયેલા હુમલાઓમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા, જ્યારે 75થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘાયલોમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, બાળકો અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. બીબીસી મુજબ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે રાજધાની અસદાબાદમાં ઘરોની સાથે-સાથે સૈયદ જમાલુદ્દીન અફઘાની યુનિવર્સિટીને પણ નિશાન બનાવવામાં આવી હતી. તાલિબાન સરકારના ઉપ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે આરોપ લગાવ્યો છે કે આ હુમલા પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે સોમવારે બપોરે લગભગ 2 વાગ્યે શરૂ થયેલા આ હુમલાઓમાં મોર્ટાર અને રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ પાકિસ્તાને આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. પાકિસ્તાનના સૂચના મંત્રાલયનું કહેવું છે કે યુનિવર્સિટી અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવાની વાત સંપૂર્ણપણે ખોટી છે. સોશિયલ મીડિયા પર આ ઘટના સંબંધિત તસવીરો વાયરલ છે… પાકિસ્તાનના 6 સૈનિકોના મોત, એક બંધક આ પહેલા રવિવારે અફઘાનિસ્તાનના કંધાર વિસ્તારમાં પાકિસ્તાન સાથેની સરહદ પર ફરી હિંસક અથડામણની ઘટના બની હતી. ખામા પ્રેસે સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે સ્પિન બોલ્ડક વિસ્તારમાં રાત્રિ દરમિયાન બંને પક્ષો વચ્ચે ફાયરિંગ થયું હતું. જેમાં પાકિસ્તાનના 6 સૈનિકો માર્યા ગયા. તાલિબાની લડવૈયાઓ એક સૈનિકને બંધક બનાવીને લઈ ગયા. પાકિસ્તાની સૈનિકોના હથિયારો પણ લઈ ગયા. જોકે, આ દાવાઓની હજુ પુષ્ટિ થઈ નથી. કહેવામાં આવી રહ્યું છે કે મોડી રાત્રે પાકિસ્તાન તરફથી સરહદ પાર ફાયરિંગ થયું, જેમાં એક સ્થાનિક બાળકનું મોત થયું. આ પછી તાલિબાને જવાબી હુમલો કર્યો. સોશિયલ મીડિયા પર આનાથી સંબંધિત એક વીડિયો પણ વાયરલ છે… માર્ચમાં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો બંને દેશો વચ્ચે પહેલેથી જ તણાવ પ્રવર્તી રહ્યો છે. પાકિસ્તાને માર્ચમાં રાજધાની કાબુલમાં એક નશા મુક્તિ કેન્દ્ર પર પણ હુમલો કર્યો હતો, જેમાં 400થી વધુ લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચે માર્ચમાં યુદ્ધવિરામ થયો હતો, જેનાથી ઘણા અઠવાડિયાથી ચાલી રહેલી લોહિયાળ અથડામણો અટકી હતી, પરંતુ હવે સ્થિતિ ફરી બગડતી જોવા મળી રહી છે. ચીન ઉપરાંત તુર્કી, કતાર, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરબ પણ આ વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કરી ચૂક્યા છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આ વર્ષે સંઘર્ષની શરૂઆત 22 ફેબ્રુઆરીએ થઈ હતી. પાકિસ્તાને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં એરસ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનના નાયબ ગૃહમંત્રી તલાલ ચૌધરીએ દાવો કર્યો હતો કે સરહદી વિસ્તારોમાં TTPના ઠેકાણાઓ પર કાર્યવાહીમાં ઓછામાં ઓછા 70 લડવૈયાઓ માર્યા ગયા. બાદમાં પાકિસ્તાની અખબાર ડોને આ સંખ્યા 80 સુધી પહોંચવાનો દાવો કર્યો હતો. તેના જવાબમાં અફઘાનિસ્તાને 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાન પર હુમલો કર્યો. અફઘાન રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાનને 'યોગ્ય સમયે સખત જવાબ' આપવામાં આવશે. મંત્રાલયે આ હુમલાઓને દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પર દબાણ કરતું રહ્યું છે કે તે પોતાની જમીનનો ઉપયોગ કોઈ પણ આતંકવાદી સંગઠનને ન કરવા દે. ઇસ્લામાબાદનો આરોપ છે કે TTP અફઘાનિસ્તાનથી કાર્યરત છે, જ્યારે તાલિબાન સરકાર આ આરોપોનો સતત ઇનકાર કરતી રહી છે. પાકિસ્તાન અને TTP વચ્ચે લડાઈ શા માટે? 2001માં અમેરિકાના અફઘાનિસ્તાન પર હુમલા પછી પાકિસ્તાને અમેરિકાનો સાથ આપ્યો. આનાથી TTP નારાજ થઈ ગયું, તે તેને ઇસ્લામ વિરુદ્ધ માનતું હતું. TTPનું માનવું છે કે પાકિસ્તાન સરકાર સાચા ઇસ્લામને માનતી નથી, એટલે તે તેની વિરુદ્ધ હુમલો કરે છે. TTPનો અફઘાન તાલિબાન સાથે ગાઢ સંબંધ છે. બંને જૂથ એકબીજાને સમર્થન આપે છે. 2021માં અફઘાન તાલિબાન સત્તામાં આવ્યા પછી પાકિસ્તાને TTPને નિશાન બનાવીને અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા. PAK-અફઘાન સંઘર્ષ સંબંધિત આ સમાચાર પણ વાંચો… અફઘાન ક્રિકેટરો કાબુલ એરસ્ટ્રાઈક પર ભડક્યા: નવીને કહ્યું- પાકિસ્તાન અને ઇઝરાયલમાં કોઈ ફરક નથી; રાશિદે કહ્યું- અમે ફરીથી બેઠા થઈશું પાકિસ્તાને સોમવારે રાત્રે ફરી એકવાર અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાની એરફોર્સના ફાઈટર પ્લેનોએ રાજધાની કાબુલના અનેક વિસ્તારોને નિશાન બનાવ્યા, જેમાં એક હોસ્પિટલ પણ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ, તેમાં 400 લોકોના મોત થયા છે, જ્યારે 250થી વધુ ઘાયલ છે. પાકિસ્તાને ઈસ્લામાબાદમાં 2 વિસ્ફોટક ડ્રોન તોડી પાડ્યા:અફઘાનિસ્તાને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા; પહેલા PAKએ કાબુલ પર એરસ્ટ્રાઈક કરી પાકિસ્તાનમાં ગયા અઠવાડિયે શુક્રવારે રાજધાની ઇસ્લામાબાદ પર વિસ્ફોટકોથી ભરેલા બે ડ્રોનથી હુમલો થયો હતો, જેને સુરક્ષા એજન્સીઓએ તોડી પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક ડ્રોન ફૈઝાબાદ વિસ્તાર નજીક પડ્યું હતું, જ્યારે બીજું I-9 સેક્ટરમાં તોડી પાડવામાં આવ્યું હતું.
Read Original Article →