ઈરાનના વિદેશ મંત્રી ઈસ્લામાબાદના પ્રવાસે રવાના થયા:અરાઘચી પાકિસ્તાની અધિકારીઓ સાથે મિટિંગ કરશે, અમેરિકાથી કુશનર અને વિટકોફ પણ પહોંચી રહ્યા છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી ઈસ્લામાબાદના પ્રવાસે રવાના થઈ ગયા છે. તેઓ ત્યાં પહોંચીને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાતચીત કરશે. આ બેઠક અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત મંત્રણાની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. બીજી તરફ, અમેરિકાથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશનર પણ પાકિસ્તાન જવા રવાના થઈ ગયા છે. આ અગાઉ અરાઘચીએ આજે બપોરે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અને વિદેશ મંત્રી મોહમ્મદ ઈશાક ડાર સાથે અલગ-અલગ વાતચીત કરી હતી. જેમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) જાળવી રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાન આ સમગ્ર મામલે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે અને તેને આશા છે કે આ બેઠક બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીતનો રસ્તો ખુલી શકે છે. ઈરાની મીડિયા IRNA મુજબ, પાકિસ્તાન પછી અરાઘચી ઓમાનની રાજધાની મસ્કટ અને ત્યારબાદ રશિયા જશે. હાલમાં આ સમગ્ર મામલે અમેરિકા અને ઈરાન બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. શું ટ્રમ્પ 60 દિવસની મર્યાદા તોડી શકે છે એક વધુ મોટો સવાલ એ છે કે શું ટ્રમ્પ આ સમય મર્યાદાને અવગણી શકે છે. અમેરિકાના ઘણા રાષ્ટ્રપતિઓ પહેલા પણ આ દલીલ કરતા રહ્યા છે કે બંધારણ તેમને સેનાના પ્રમુખ તરીકે ઘણા મોટા અધિકારો આપે છે, તેથી આ પ્રકારની કાનૂની મર્યાદાઓ સંપૂર્ણપણે લાગુ પડતી નથી. ઉદાહરણ તરીકે, 2011માં રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ લિબિયામાં 60 દિવસથી વધુ સમય સુધી સૈન્ય કાર્યવાહી ચાલુ રાખી હતી અને કહ્યું હતું કે આ કાયદો લાગુ પડતો નથી કારણ કે ત્યાં 'સતત લડાઈ' જેવી સ્થિતિ નહોતી. ટ્રમ્પે પણ તેમના પહેલા કાર્યકાળમાં 2019માં એક પ્રસ્તાવને વીટો કરી દીધો હતો, જેમાં યમન યુદ્ધમાં અમેરિકાની ભૂમિકા સમાપ્ત કરવાની વાત હતી. તેમણે તેને પોતાના બંધારણીય અધિકારોને નબળા પાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો. પરંતુ જો આ વખતે ટ્રમ્પ 60 દિવસની સમય મર્યાદાને અવગણશે, તો તે રિપબ્લિકન પાર્ટી માટે પણ રાજકીય રીતે મુશ્કેલી ઊભી કરી શકે છે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ 1. ઇઝરાયલ-લેબનાન સીઝફાયર વધારાયું: ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઇઝરાયલ અને લેબનાનના રાજદૂત સ્તરની બીજી વાતચીત પછી બંને દેશો વચ્ચે સીઝફાયરને ત્રણ અઠવાડિયા માટે વધારવાની જાહેરાત કરી. 2. ભારતની એડવાઇઝરી: ભારત સરકારે પોતાના નાગરિકોને ઈરાનની યાત્રા ન કરવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા લોકોએ ત્યાં જવાનું ટાળવું જોઈએ. 3. હોર્મુઝમાં ટોલ વસૂલી: ઈરાને ગુરુવારે પહેલીવાર હોર્મુઝમાં જહાજો પાસેથી ટોલ વસૂલ્યો છે. તેને બેંકમાં જમા પણ કરાવી દેવામાં આવ્યો છે. જોકે, રકમનો ખુલાસો કર્યો નથી. 4. નિર્વાસિત ક્રાઉન પ્રિન્સનો વિરોધ: ઈરાનના નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવી પર બર્લિનમાં એક પ્રેસ કોન્ફરન્સમાંથી બહાર નીકળતી વખતે લાલ રંગ ફેંકવામાં આવ્યો. 5. ટ્રમ્પની તાકાત ઘટાડવામાં વિપક્ષ નિષ્ફળ: અમેરિકી સેનેટમાં ટ્રમ્પની યુદ્ધ કરવાની તાકાત ઘટાડવાનો પ્રસ્તાવ પાંચમી વાર ફગાવી દેવામાં આવ્યો. તેની વિરુદ્ધ 51 વોટ પડ્યા, જ્યારે સમર્થનમાં 46 વોટ મળ્યા. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
Read Original Article →