ઈરાન યુદ્ધમાં ટ્રમ્પના 5 હેતુઓ કેટલા સફળ:પહેલા જ દિવસે ખામેનીની હત્યા, મિસાઈલ ઈન્ડસ્ટ્રી તબાહ; પરંતુ પરમાણુ જોખમ ટળ્યું નથી
અમેરિકા અને ઇઝરાયલે મળીને 28 ફેબ્રુઆરીએ ઇરાન પર હુમલો કર્યો હતો. તેના થોડા સમય પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક 8 મિનિટનો વીડિયો જાહેર કરીને આ યુદ્ધના કેટલાક ટારગેટ જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમનો હેતુ અમેરિકાના લોકોનું રક્ષણ કરવાનો અને ઇરાનથી આવતા જોખમોને ખતમ કરવાનો છે. હવે તે જ લક્ષ્યો મુજબ સમજીએ કે અમેરિકાને યુદ્ધમાં અત્યાર સુધી કેટલી સફળતા મળી છે. શું મળ્યું છે અને શું હજુ પણ અધૂરું રહી ગયું છે. 1. મિસાઈલ અને હથિયાર ઈન્ડસ્ટ્રી ખતમ કરવી અમેરિકા અને ઇઝરાયેલનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ઇરાનની મિસાઇલ તાકાતને નબળી પાડી દેવામાં આવે, જેથી તે દૂર સુધી હુમલો ન કરી શકે. આ માટે બંને દેશોએ બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરનારા ઠેકાણાં (લોન્ચર), મિસાઇલ બનાવતી ફેક્ટરીઓ, મિસાઇલ સ્ટોર કરવાના ગોડાઉન અને કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર પર હુમલા કર્યા. આ હુમલાઓથી ઇરાનની મિસાઇલ ક્ષમતાને ઘણું નુકસાન થયું છે. ઘણા લોન્ચર અને ફેક્ટરીઓ નષ્ટ થઈ ગઈ છે, જેનાથી તેની નવી મિસાઇલ બનાવવાની ગતિ ધીમી પડી છે. પરંતુ હજુ પણ ઇરાન પાસે ઘણી મિસાઇલો બચી છે અને તે હુમલા કરી રહ્યું છે. સાથે જ, તે ડ્રોનનો પણ ઉપયોગ કરી રહ્યું છે. ઇરાને પોતાની મિસાઇલો અલગ-અલગ જગ્યાએ છુપાવીને રાખી છે. ઘણા ઠેકાણાં જમીનની નીચે (અંડરગ્રાઉન્ડ) બનેલા છે, જેને સંપૂર્ણપણે નષ્ટ કરવા મુશ્કેલ છે. કેટલાક મોબાઇલ લોન્ચર હોય છે, જેને ઝડપથી જગ્યા બદલીને ઉપયોગમાં લઈ શકાય છે. ઇરાન હવે માત્ર મિસાઇલો પર નિર્ભર નથી, પરંતુ મોટી સંખ્યામાં ડ્રોન (માનવરહિત વિમાન)નો પણ ઉપયોગ કરી રહ્યું છે. 2. નૌકાદળનો ખાતમો કરવો અમેરિકા અને ઇઝરાયલનું લક્ષ્ય હતું કે ઈરાનના નૌકાદળને નબળું પાડી દેવામાં આવે અથવા લગભગ ખતમ કરી દેવામાં આવે, જેથી તે સમુદ્ર માર્ગે કોઈ મોટો હુમલો કે અવરોધ ન ઊભો કરી શકે. આ માટે યુદ્ધ જહાજો, સબમરીન, નૌકાદળના થાણાં અને બંદરો અને હથિયારો તથા મિસાઈલો લઈ જતાં જહાજોને નિશાન બનાવવામાં આવ્યા. માર્ચની શરૂઆતમાં અમેરિકી સબમરીને ટોર્પિડો છોડીને શ્રીલંકા નજીક હાજર ઈરાની યુદ્ધ જહાજ IRIS દેનાને ડુબાડી દીધું. આ જહાજ પર લગભગ 180 લોકો સવાર હતા. પ્રારંભિક અહેવાલ મુજબ, ઓછામાં ઓછા 80 લોકોના મોત થયા. આ હુમલો એટલા માટે મહત્વનો હતો કારણ કે આ જહાજ લાંબા અંતર સુધી ઓપરેશન કરવામાં સક્ષમ હતું અને હાલમાં ભારત સાથેના એક નૌકાદળ અભ્યાસમાં પણ સામેલ થયું હતું. આ હુમલાઓથી ઈરાનના ઘણા મોટા જહાજો અને સંસાધનો નષ્ટ થઈ ગયા. સમુદ્રમાં તેની તાકાત પહેલાથી જ નબળી પડી ગઈ. લાંબા અંતર પર ઓપરેશન કરવાની ક્ષમતા ઘટી ગઈ. જોકે તે હજુ પણ સમુદ્રમાં ખતરો ઉભો કરવાની ક્ષમતા ધરાવે છે. ઈરાન પાસે નાની-નાની ઝડપી બોટ (સ્પીડ બોટ્સ) છે, જેનો ઉપયોગ તે હજુ પણ કરી શકે છે. તે સમુદ્રમાં બારૂદી સુરંગ (માઈન) પાથરવા જેવી રણનીતિ અપનાવી શકે છે જે હોર્મુઝ જેવા સાંકડા દરિયાઈ માર્ગોમાં નાની તાકાત પણ મોટી અસર કરી શકે છે. 3. ઈરાન સમર્થિત મિલિશિયાને નબળા પાડવા અમેરિકા અને ઇઝરાયલ ઇચ્છતા હતા કે ઈરાન જે સશસ્ત્ર જૂથોને સમર્થન આપે છે, તેમને નબળા પાડી દેવામાં આવે. આ જૂથો અલગ-અલગ દેશોમાં ઈરાન માટે કામ કરે છે અને જરૂર પડ્યે હુમલા પણ કરે છે. તેથી તેમને 'પ્રોક્સી' તાકાત કહેવામાં આવે છે. યુદ્ધ દરમિયાન તેમને નિશાન બનાવવામાં આવ્યા. ઇઝરાયલે ખાસ કરીને લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઘણા હુમલા કર્યા. ઘણા કમાન્ડરો અને લડવૈયાઓને પણ મારી નાખવામાં આવ્યા. આનાથી તેમની તાકાત પર અસર પડી છે, પરંતુ આ અસર તેમને સંપૂર્ણપણે ખતમ કરનારી રહી નથી. ખરેખર સમસ્યા એ છે કે આ મિલિશિયા કોઈ એક દેશ કે એક જગ્યા પૂરતા મર્યાદિત નથી. ઇરાક, લેબનાન, સીરિયા અને યમન જેવા અલગ-અલગ વિસ્તારોમાં તેમના નેટવર્ક ફેલાયેલા છે. તેમની પાસે સ્થાનિક સમર્થન પણ હોય છે અને તેમની પોતાની અલગ વ્યવસ્થા પણ હોય છે. ઉપરથી ઈરાન તેમને મદદ કરતું રહે છે, જેના કારણે તેઓ ઝડપથી ફરીથી સક્રિય થઈ જાય છે. આ જ કારણોસર, હુમલાઓ છતાં તેઓ સંપૂર્ણપણે ખતમ થયા નથી. ઇરાકમાં હજુ પણ કેટલાક જૂથો અમેરિકી ઠેકાણાઓ પર રોકેટ હુમલા કરી રહ્યા છે. હિઝબુલ્લાહ પર સતત હુમલા થયા છે, પરંતુ તે હજુ પણ એક મજબૂત તાકાત બની રહ્યા છે અને સંપૂર્ણપણે ખતમ થયા નથી. 4. ઈરાનને પરમાણુ હથિયારો બનાવતા રોકવું અમેરિકાનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ હતો કે ઈરાન કોઈપણ ભોગે પરમાણુ હથિયાર ન બનાવી શકે. ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યા છે કે ઈરાન પાસે ક્યારેય પરમાણુ બોમ્બ ન હોવો જોઈએ. અમેરિકાએ ગયા વર્ષે ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હુમલા કર્યા, જેનાથી તેમને ભારે નુકસાન થયું. તેમ છતાં અમેરિકી અધિકારીઓનું માનવું છે કે કેટલુંક સમૃદ્ધ યુરેનિયમ હજુ પણ જમીનની અંદરની સુરંગોમાં રહેલું છે. આ યુરેનિયમ જમીનની નીચે ઊંડી સુરંગો અથવા બંકર જેવા સ્થળોએ છુપાયેલું હોઈ શકે છે, જ્યાં સુધી હવાઈ હુમલાઓની અસર સંપૂર્ણપણે પહોંચી શકતી નથી. જો તેમને સંપૂર્ણપણે નષ્ટ કરવા હોય, તો જમીન પર સેના મોકલવી પડી શકે છે, જે અત્યંત જોખમી પગલું હશે અને યુદ્ધને વધુ મોટું બનાવી શકે છે. 5. ઈરાનમાં સત્તા પરિવર્તન ટ્રમ્પે ઈરાનની જનતાને સરકાર વિરુદ્ધ ઊભા થવાની અપીલ પણ કરી હતી. પરંતુ અત્યાર સુધી આવું કોઈ મોટું જન આંદોલન થયું નથી. જોકે ટ્રમ્પનો દાવો છે કે તેમણે રેજીમ ચેન્જ એટલે કે સત્તા પરિવર્તન કરી દીધું છે, કારણ કે હુમલાઓમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેની અને ઘણા મોટા અધિકારીઓ માર્યા ગયા. પરંતુ જમીન પર અલગ સ્થિતિ જોવા મળે છે. હવે નવા સર્વોચ્ચ નેતા મુજતબા ખામેનેઈ બન્યા છે, જેઓ કડક વલણવાળા માનવામાં આવે છે અને સેનાના શક્તિશાળી હિસ્સાની નજીક છે. કુલ મળીને, ઈરાનની સરકાર હજુ પણ પહેલા જેવી જ છે. ઈરાનની સરકાર હજુ પણ ધાર્મિક અને કડક નિયંત્રણવાળી છે, અને અમેરિકા વિરુદ્ધ તેનું વલણ પણ પહેલા જેવું જ છે.
Read Original Article →