એક ફિલ્મના ₹275 કરોડ લેનાર થલાપતિ આજે તમિલનાડુના CM!:પિતા સાથે વિવાદ, છૂટાછેડા બાદ એક્સ્ટ્રામેરિટલ અફેરની ચર્ચા, જાણો વિજયના જીવનની 'ફિલ્મી' સ્ટોરી
સાઉથ સુપરસ્ટાર થાલાપથી વિજયની કહાની માત્ર ફિલ્મોની સફળતા સુધી મર્યાદિત નથી, પરંતુ સંઘર્ષ, આલોચના, પારિવારિક વિવાદ અને રાજકારણ સુધી પહોંચવાની વાર્તા પણ છે. કરિયરની શરૂઆતમાં તેમના લુક્સ, અવાજ અને એક્ટિંગની જોરદાર મજાક ઉડાવવામાં આવી હતી. સતત ફ્લોપ ફિલ્મો પછી એવી હાલત પણ આવી જ્યારે વિજય એક્ટિંગ છોડવાનું વિચારવા લાગ્યા હતા. પરંતુ ધીમે-ધીમે તેમણે પોતાની જાતને લવર બોયની ઇમેજમાંથી બહાર કાઢીને ફેમિલી સ્ટાર અને પછી તમિલ સિનેમાના સૌથી મોટા માસ સુપરસ્ટાર તરીકે સ્થાપિત કરી દીધા. ઘિલ્લી, થુપ્પાક્કી અને સરકાર જેવી ફિલ્મોમાં રાજકીય અને સામાજિક સંદેશાઓએ તેમની અલગ ઓળખ બનાવી. આ દરમિયાન પિતા એસ.એ. ચંદ્રશેખર સાથે રાજકીય સંગઠનને લઈને વિવાદ પણ ચર્ચામાં રહ્યો. બાદમાં વિજયે પોતાની પાર્ટી તમિલાગા વેત્રી કઝગમ (TVK) લોન્ચ કરી અને હવે તેઓ તમિલનાડુના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. આજની સક્સેસ સ્ટોરીમાં જાણીએ થલાપતિ વિજયના કરિયર અને અંગત જીવન સાથે જોડાયેલી વાતો. વિજયનું બાળપણ અને પારિવારિક પૃષ્ઠભૂમિ સાઉથ સિનેમાના સૌથી મોટા સિતારાઓમાં ગણાતા થલાપતિ વિજયનું પૂરું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે. તેમનો જન્મ 22 જૂન 1974ના રોજ ચેન્નઈમાં થયો હતો. વિજય એવા પરિવારમાંથી આવે છે, જેનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે ઊંડો સંબંધ રહ્યો છે. તેમના પિતા એસ.એ. ચંદ્રશેખર તમિલ ફિલ્મોના જાણીતા દિગ્દર્શક રહ્યા છે, જ્યારે માતા શોભા ચંદ્રશેખર સિંગર, રાઇટર અને પ્રોડ્યુસર રહ્યા છે. ઘરમાં ફિલ્મી માહોલ હોવાને કારણે વિજય બાળપણથી જ કેમેરા અને સિનેમાની દુનિયાની નજીક રહ્યા. જોકે તેમનું બાળપણ સંપૂર્ણપણે ગ્લેમરથી ભરેલું ન હતું. પરિવાર પર તે સમયે મોટું દુઃખ આવી પડ્યું, જ્યારે તેમની નાની બહેન વિદ્યાનું નાની ઉંમરે અવસાન થઈ ગયું. કેટલાય ઇન્ટરવ્યૂ અને તમિલ મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટના પછી વિજય ખૂબ જ શાંત અને ઇન્ટ્રોવર્ટ થઈ ગયા હતા. ફેન્સ માને છે કે વિજયે પોતાની બહેનની યાદમાં પછીથી ઘણા અંગત પ્રોજેક્ટ્સમાં વિદ્યા નામનો ઉપયોગ પણ કર્યો હતો. અભ્યાસ અધૂરો છોડ્યો, એક્ટિંગ પસંદ કરી વિજયે પ્રારંભિક અભ્યાસ ચેન્નઈની ફાતિમા મેટ્રિક્યુલેશન હાયર સેકન્ડરી સ્કૂલ અને બાલોક મેટ્રિક્યુલેશન સ્કૂલમાંથી કર્યો હતો. ત્યારબાદ તેમણે લોયોલા કોલેજમાં વિઝ્યુઅલ કોમ્યુનિકેશન કોર્સમાં એડમિશન લીધું હતું. પરંતુ તે જ સમય દરમિયાન ફિલ્મોમાં તેમની વ્યસ્તતા વધવા લાગી. ધીમે-ધીમે તેમણે અનુભવ્યું કે તેમનું પૂરું ધ્યાન એક્ટિંગ પર જઈ રહ્યું છે. આ જ કારણે તેમણે કોલેજનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો. વિજય પાસે કોઈ મોટી પ્રોફેશનલ ડિગ્રી નથી, પરંતુ પછીના વર્ષોમાં ઘણી સંસ્થાઓએ તેમને માનદ સન્માન આપ્યા. તે સમયે કદાચ જ કોઈએ વિચાર્યું હશે કે અભ્યાસ અધૂરો છોડનારો આ છોકરો આગળ જતાં કરોડો લોકોનો સુપરસ્ટાર બનશે. પિતાની ફિલ્મથી ડેબ્યૂ, પણ શરૂઆત મુશ્કેલ રહી વિજયે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે વેટ્રી, કુટુમ્બમ, નાન સિગપ્પુ મનિથન, વસંત રાગમ, સત્તમ ઓરુ વિલયાટ્ટુ, ઇધુ એંગાલ નીતી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આમાંથી મોટાભાગની ફિલ્મોનું નિર્દેશન તેમના પિતા એસ.એ. ચંદ્રશેખરે કર્યું હતું. ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યા પછી, વિજયે 1992માં ફિલ્મ 'નાલૈયા થીરપુ'થી લીડ એક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. લુક્સ અને અવાજની મજાક ઉડાવવામાં આવી જોકે શરૂઆત તેમના માટે ખૂબ જ મુશ્કેલ રહી. શરૂઆતની ફિલ્મો ફ્લોપ થવાની સાથે-સાથે વિજયને તેમના લુક્સ, અવાજ અને એક્ટિંગ માટે પણ આલોચના સહન કરવી પડી. તે સમયની ઘણી મેગેઝિન્સમાં લખવામાં આવ્યું હતું કે તે હીરો મટીરિયલ નથી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલો અનુસાર, વિજયે પછીથી પોતાના સંઘર્ષને યાદ કરતાં કહ્યું હતું કે લોકો તેમના લુક્સ અને અવાજની મજાક ઉડાવતા હતા. એક્ટિંગ છોડવા સુધીનું મન બનાવી લીધું હતું વિજયના પિતા એસ.એ. ચંદ્રશેખરે પણ ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ વિજયને લોન્ચ કરવાના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા. સતત આલોચનાથી વિજય એટલા પરેશાન થઈ ગયા હતા કે તેમણે એક્ટિંગ છોડવા સુધીનું મન બનાવી લીધું હતું. પરંતુ પરિવારે, ખાસ કરીને તેમના પિતાએ તેમને હિંમત આપી અને મહેનત ચાલુ રાખવાની સલાહ આપી. બહેનના મોતથી સ્વભાવ બદલાઈ ગયો વિજયની જીંદગીમાં તેમની બહેન વિદ્યાનું મોત સૌથી મોટો ભાવનાત્મક ઝટકો માનવામાં આવે છે. પરિવારના નજીકના લોકોના જણાવ્યા અનુસાર, પહેલા વિજય ખૂબ જ તોફાની હતા, પરંતુ બહેનના અવસાન પછી તેમનામાં ગંભીરતા આવી ગઈ. આ જ સમયગાળામાં તેમનો ફિલ્મો અને પુસ્તકો તરફ જુકાવ વધ્યો. ઘણા ફિલ્મ વિવેચકોનું માનવું છે કે વિજયની ફિલ્મોમાં દેખાતી ઇમોશનલ ડેપ્થ ક્યાંક ને ક્યાંક તેમના અંગત સંઘર્ષો સાથે જોડાયેલી રહી છે. ઇન્ડસ્ટ્રીમાં શરૂઆતના રિજેક્શન અને આલોચના છતાં વિજય તૂટ્યા નહીં. તેમણે સતત પોતાની જાત પર કામ કર્યું- ડાન્સ, સ્ક્રીન પ્રેઝન્સ, બોડી લેંગ્વેજ અને ડાયલોગ ડિલિવરી પર મહેનત કરી. આ જ મહેનત આગળ જતાં તેમની ઓળખ બની. ‘લવર બોય’ માંથી બન્યા ફેમિલી સ્ટાર 1996માં રિલીઝ થયેલી 'પૂવે ઉનાક્કાગા' વિજયના કરિયરનો પહેલો મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. તેમના કરિયરની આ પહેલી મોટી બ્લોકબસ્ટર અને ઐતિહાસિક ફિલ્મ છે. આ રોમેન્ટિક-ડ્રામા ફિલ્મે વિજયને રાતોરાત તમિલ સિનેમાના એક મોટા સ્ટાર બનાવી દીધા અને તેમની છબી એક સ્થાપિત રોમેન્ટિક હીરો તરીકે બદલી નાખી. આ ફિલ્મે તેમને ફેમિલી ઓડિયન્સ અને યુવાનોમાં લોકપ્રિય બનાવી દીધા. ત્યારબાદ તેમણે સતત ઘણી રોમેન્ટિક અને ફેમિલી ફિલ્મો કરી. ધીમે-ધીમે તેમની ઇમેજ લવર બોય સ્ટાર તરીકે બનવા લાગી. તે સમયગાળામાં વિજયની સૌથી મોટી તાકાત તેમની સરળતા અને સ્વચ્છ છબી માનવામાં આવતી હતી. તેઓ બાકીના સ્ટાર્સની જેમ વધુ વિવાદોમાં રહેતા નહોતા અને મીડિયા સાથે પણ મર્યાદિત વાતચીત કરતા હતા. બિહાઇન્ડવુડ્સના એક જૂના ઇન્ટરવ્યૂમાં વિજયે પોતે કહ્યું હતું- ‘હું બહુ બોલવા વાળો માણસ નથી.’ આ જ રિઝર્વ્ડ પર્સનાલિટી આગળ જતાં તેમની પબ્લિક ઇમેજનો મહત્વનો હિસ્સો બની ગઈ. ઘિલ્લી અને થુપ્પાક્કીએ બનાવ્યો ‘માસ સુપરસ્ટાર’ 2003ની થિરુમલાઈ અને પછી 2004ની બ્લોકબસ્ટર ઘિલ્લીએ વિજયની ઇમેજ પૂરી રીતે બદલી નાખી. હવે તેઓ માત્ર રોમેન્ટિક હીરો ન રહ્યા, બલ્કે માસ એક્શન સ્ટાર બની ગયા. તેમની એન્ટ્રી, ડાન્સ સ્ટેપ્સ અને પંચ ડાયલોગ્સ યુવાનોમાં જબરદસ્ત લોકપ્રિય થવા લાગ્યા. ત્યારબાદ થુપ્પાક્કી, મર્સલ, માસ્ટર અને લિયો જેવી ફિલ્મોએ તેમના સ્ટારડમને નવી ઊંચાઈ પર પહોંચાડી દીધું. ખાસ વાત એ રહી કે વિજયે આલોચનાઓનો જવાબ ક્યારેય વિવાદોથી આપ્યો નથી. તેમણે માત્ર પોતાના કામથી લોકોની વિચારસરણી બદલી નાખી. વિજય અત્યાર સુધી 68 ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. તેમની 69મી ફિલ્મ 'જન નાયકન' છે. આ ફિલ્મ પછી વિજયે એક્ટિંગમાંથી સંન્યાસ લઈ લીધો. આ ફિલ્મ 9 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર અને અન્ય વિવાદોને કારણે તે ટળી ગઈ. કેટલાક અહેવાલોમાં વિજયના બર્થડે 22 જૂન 2026ના રોજ સંભવિત રિલીઝ ડેટ હોવાનું કહેવાયું છે, પરંતુ હજુ સુધી સત્તાવાર ફાઇનલ ડેટ અનાઉન્સ થઈ નથી. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર તેઓ ભારતના બીજા સૌથી મોંઘા પેડ એક્ટર છે. એક ફિલ્મ માટે તેઓ 130 થી 275 કરોડ રૂપિયા સુધીની ફી લે છે. ફિલ્મોમાં રાજકીય સંદેશ અને વધતી લોકપ્રિયતા વિજયની ઘણી ફિલ્મોમાં સિસ્ટમ, ભ્રષ્ટાચાર અને રાજકારણ સાથે જોડાયેલા મુદ્દાઓ જોવા મળ્યા. મર્સલમાં GST અને મેડિકલ સિસ્ટમ પર કરવામાં આવેલી ટિપ્પણી ચર્ચામાં રહી, જ્યારે સરકારમાં વોટિંગ અને રાજકીય ભ્રષ્ટાચાર પર ફોકસ કરવામાં આવ્યું હતું. બીબીસી ન્યૂઝના અહેવાલો અનુસાર, આ ફિલ્મોના ડાયલોગ્સ અને સીન રાજકીય ચર્ચાનો હિસ્સો બની ગયા હતા. આનાથી વિજયની પોલિટિકલી અવેયર સ્ટાર (રાજકીય રીતે જાગૃત સ્ટાર) વાળી ઇમેજ વધુ મજબૂત થઈ. આ દરમિયાન તેમનું ફેન નેટવર્ક ‘વિજય મક્કલ ઇયક્કમ’ પણ ઝડપથી સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય થવા લાગ્યું. બ્લડ ડોનેશન કેમ્પ, ગરીબોને ભોજન વિતરણ અને એજ્યુકેશન સપોર્ટ જેવા કાર્યક્રમોએ વિજયને માત્ર એક એક્ટર જ નહીં, પરંતુ સામાજિક ચહેરો પણ બનાવી દીધા. પિતા સાથેના વિવાદે મચાવી હલચલ 2020માં વિજય અને તેમના પિતા એસ.એ. ચંદ્રશેખરના સંબંધો સાર્વજનિક વિવાદના કારણે હેડલાઇન્સમાં આવ્યા હતા. એસ.એ. ચંદ્રશેખરે ‘ઓલ ઇન્ડિયા થલાપતિ વિજય મક્કલ ઇયક્કમ’ નામે રાજકીય સંગઠન રજીસ્ટર કરાવ્યું હતું. આ પછી વિજયે સત્તાવાર નિવેદન બહાર પાડીને સ્પષ્ટ કર્યું કે તેમનો તે સંગઠન સાથે કોઈ સંબંધ નથી. ઇન્ડિયા ટુડેના અહેવાલો અનુસાર, વિજય નહોતા ઈચ્છતા કે તેમની રાજકીય ઓળખ અન્ય કોઈના નિર્ણયથી નક્કી થાય. આ ઘટના પછી પિતા-પુત્રના સંબંધોમાં તણાવના સમાચાર સામે આવવા લાગ્યા. જોકે પાછળથી એસ.એ. ચંદ્રશેખરે પોતે સ્વીકાર્યું હતું કે સંબંધોમાં ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ સમય સાથે બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું. 2023માં બંને ફરી એકસાથે જોવા મળ્યા હતા. માતા શોભા ચંદ્રશેખર બન્યા સૌથી મોટો સહારો આ પારિવારિક તણાવ વચ્ચે વિજયના માતા શોભા ચંદ્રશેખર હંમેશા તેમની સાથે ઊભા રહ્યા. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, તેમણે પિતા અને પુત્ર વચ્ચે સમાધાન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિજય તેમની માતાની ખૂબ નજીક છે. તેમના માટે ચેન્નઈમાં સાંઈ બાબાનું મંદિર બનાવવાની ખબર પણ ખૂબ ચર્ચામાં રહી હતી. રાજકારણમાં એન્ટ્રી: લોન્ચ કરી TVK ફેબ્રુઆરી 2024માં વિજયે પોતાની રાજકીય પાર્ટી તમિલાગા વેત્રી કઝગમ એટલે કે TVK લોન્ચ કરી દીધી. 'ધ હિન્દુ'ના રિપોર્ટ અનુસાર, પાર્ટી લોન્ચ કરતી વખતે વિજયે કહ્યું હતું કે રાજકારણ તેમના માટે લોક-કેન્દ્રિત સેવા છે. તેમણે એમ પણ કહ્યું કે ભ્રષ્ટાચાર, જ્ઞાતિ આધારિત રાજકારણ અને ડિવિસિવ પોલિટિક્સ (ભાગલાવાદી રાજનીતિ) વિરુદ્ધ કામ કરવું તેમનું લક્ષ્ય રહેશે. રાજકીય વિશ્લેષકોના મતે, વિજય લાંબા સમયથી પોતાની રાજકીય જમીન તૈયાર કરી રહ્યા હતા. તેમનું ફેન નેટવર્ક પહેલાથી જ ગ્રાઉન્ડ લેવલ પર સક્રિય હતું અને 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સમર્થિત ઉમેદવારોના વિજયે તેની તાકાત બતાવી દીધી હતી. ‘પૈસા માટે વોટ ન વેચો’ 2023માં વિદ્યાર્થીઓ અને બોર્ડ ટોપર્સને સન્માનિત કરવાના એક કાર્યક્રમમાં વિજયનું એક નિવેદન ખૂબ વાઇરલ થયું હતું. 'ધ હિન્દુ'ના અહેવાલો અનુસાર, તેમણે યુવાનોને કહ્યું હતું- ‘પૈસા માટે તમારો વોટ ન વેચો.’ આ નિવેદનને તેમની રાજકીય એન્ટ્રીનો મોટો સંકેત માનવામાં આવ્યો હતો. વિજય સતત યુવાનો સાથે ફર્સ્ટ ટાઇમ વોટર્સ અને ક્લીન પોલિટિક્સ વિશે વાત કરતા હતા. વિશ્લેષકોનું માનવું છે કે વિજય પોતાની જાતને માત્ર સ્ટાર જ નહીં, પરંતુ 'યુથ-સેન્ટ્રિક લીડર' તરીકે રજૂ કરવા માંગતા હતા. સીએમ કેવી રીતે બન્યા વિજય? વિજયની રાજકારણમાં એન્ટ્રી પછી TVK એ ઝડપથી પોતાનો જનાધાર વધાર્યો. યુવાનો, ફર્સ્ટ ટાઇમ વોટર્સ અને તેમના મજબૂત ફેન નેટવર્કે પાર્ટીને ગ્રાઉન્ડ લેવલ પર ફાયદો પહોંચાડ્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન વિજયે ભ્રષ્ટાચાર, શિક્ષણ, બેરોજગારી અને ક્લીન પોલિટિક્સને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. ચૂંટણીમાં TVK ને મોટી સફળતા મળી અને પાર્ટી તમિલનાડુની સત્તા સુધી પહોંચવામાં સફળ રહી. આ પછી TVK ધારાસભ્ય દળની બેઠકમાં વિજયને સર્વસંમતિથી નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. ત્યારબાદ તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી પદના શપથ લીધા. મુખ્યમંત્રી બન્યા પછી વિજયે કહ્યું કે તેમની રાજનીતિનો હેતુ જનતા માટે કામ કરવાનો છે અને તેઓ યુવાનો તેમજ સામાન્ય લોકોના મુદ્દાઓને પ્રાથમિકતા આપશે. તમિલનાડુની રાજનીતિમાં ફિલ્મ સ્ટાર્સનો લાંબો ઇતિહાસ રહ્યો છે. એમ. જી. રામચંદ્રન, જે. જયલલિતા અને એન. ટી. રામા રાવ જેવા સિતારાઓ સત્તા સુધી પહોંચી ચૂક્યા છે. લગ્ન, પરિવાર અને છૂટાછેડાની ચર્ચાઓ વિજયે 25 ઓગસ્ટ 1999ના રોજ સંગીતા સોરનલિંગમ સાથે લગ્ન કર્યા હતા. અહેવાલો અનુસાર, સંગીતા યુકે બેસ્ડ શ્રીલંકન તમિલ પરિવારમાંથી હતી અને પહેલા વિજયની બહુ મોટી ફેન હતી. બંનેને બે બાળકો છે- જેસન સંજય (પુત્ર) અને દિવ્યા શાશા (પુત્રી). તેમનો પુત્ર જેસન સંજય ફિલ્મમેકિંગ અને ડાયરેક્શનમાં રસ ધરાવે છે. લાંબા સમય સુધી વિજયની ઇમેજ ફેમિલી મેન સ્ટાર તરીકેની રહી, પરંતુ 2026માં તેમના સંબંધોને લઈને છૂટાછેડા (તલાક) ના સમાચારે જોર પકડ્યું. અહેવાલો મુજબ, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે સંગીતાએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છે. કેટલાક અહેવાલોમાં એક્સ્ટ્રામેરિટલ અફેર અને લાંબા સમયથી અલગ રહેવા જેવી બાબતો પણ સામે આવી. જોકે, આ દાવાઓ પર સત્તાવાર સ્તરે સંપૂર્ણ પુષ્ટિ થઈ નથી અને વિજય તરફથી પણ મર્યાદિત સાર્વજનિક પ્રતિક્રિયા આવી છે. સોશિયલ મીડિયા અને Reddit પર આ મુદ્દાને લઈને ઘણી ચર્ચા થઈ. કેટલાક લોકોએ તેને તેમની રાજકીય છબી સાથે જોડીને જોયું, જ્યારે ઘણા ફેન્સે તેમનું સમર્થન કર્યું. પત્નીથી છૂટાછેડાના સમાચાર સિવાય પણ વિજયનું નામ કેટલાક અન્ય વિવાદો સાથે જોડાયેલું છે.
Read Original Article →