સલીમ કુમારના અંતિમ સંસ્કારમાં પાપરાઝી પર ભડક્યો પુત્ર:કહ્યું- અમને શાંતિથી અંતિમ વિદાય આપવા દો; કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું હતું
નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા મલયાલમ એક્ટર સલીમ કુમારના અંતિમ સંસ્કાર રવિવારે કેરળના એર્નાકુલમ જિલ્લામાં આવેલા તેમના નિવાસસ્થાને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. સલીમ કુમારનું નિધન શનિવારે થયું હતું. અંતિમ સંસ્કાર દરમિયાન ત્યાં ભારે ભીડ અને પાપારાઝીની હાજરીથી તેમનો મોટો દીકરો ચંદુ અસ્વસ્થ થઈ ગયો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો અનુસાર, ચંદુએ ત્યાં હાજર ફોટોગ્રાફર્સ અને કેમેરામેન પર નારાજગી વ્યક્ત કરી. તેણે મીડિયાને પાછળ હટવા અને પરિવારને શાંતિથી અંતિમ વિદાય આપવા અપીલ કરી. અંતિમ સંસ્કાર સમયે કેમેરામેન પર ભડક્યો પુત્ર
સલીમ કુમારના નિધન બાદ તેના અંતિમ દર્શન માટે સંબંધીઓ, નજીકના મિત્રો અને પ્રશંસકોની મોટી ભીડ ઉત્તરી પરવૂર સ્થિત તેના ઘરે એકઠી થઈ હતી. આ દરમિયાન ત્યાં મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓ પણ હાજર હતા. સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ભીડ અને કેમેરાથી ઘેરાયેલા હોવાને કારણે એક્ટરનો મોટો દીકરો ચંદુ ખૂબ જ પરેશાન થઈ ગયો. તેણે ત્યાં હાજર ફોટોગ્રાફર્સને અંતર રાખવા કહ્યું. ચંદુએ મોટા અવાજે મીડિયાને અપીલ કરી કે તેઓ પાછળ હટી જાય જેથી પરિવારના સભ્યો શાંતિથી અંતિમ સંસ્કારની વિધિઓ પૂરી કરી શકે. પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
પીએમ મોદીએ એક્ટર સલીમ કુમારને એક એવા ઉત્તમ કલાકાર તરીકે યાદ કર્યા જેઓ દરેક પ્રકારના રોલમાં સરળતાથી ભળી જતા હતા. એક્સ (ટ્વિટર) પર પોતાની વાત શેર કરતા વડાપ્રધાને કહ્યું: "દિગ્ગજ અભિનેતા શ્રી સલીમ કુમાર જીના નિધનથી મને ઊંડું દુઃખ થયું છે. તેમની શાનદાર કારકિર્દી દરમિયાન, તેમણે અલગ-અલગ પ્રકારની ભૂમિકાઓ ભજવીને અને તેમના યાદગાર અભિનયથી લોકોના દિલ પર એક ખાસ છાપ છોડી. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને તેમના અસંખ્ય ચાહકો સાથે છે. ઓમ શાંતિ." શનિવારે નિધન થયું હતું
સલીમ કુમારનું 56 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે શનિવારે રાત્રે નિધન થયું હતું. તેઓ અસ્વસ્થ થયા બાદ કોચી (કેરળ)ની અમૃતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે ‘આદામિન્ટે મકન અબુ’, ‘પુલિવાલ કલ્યાણમ’, ‘અચનુરંગથા વીડુ’, ‘મીસા માધવન’ અને ‘માયાવી’ જેવી ઘણી મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું હતું. રવિવારે પારાવુર ટાઉન હોલમાં તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને સલીમ કુમારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. જ્યારે કેરળ સરકારે અંતિમ સંસ્કાર અને તેનાથી સંબંધિત તમામ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો. 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું સલીમ કુમાર મલયાલમ સિનેમાના પ્રખ્યાત અભિનેતા હતા. તેમણે ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેમણે મુખ્યત્વે મલયાલમ ફિલ્મોમાં અભિનય કર્યો. સાથે જ કેટલીક તમિલ અને ઓડિયા ફિલ્મોમાં પણ જોવા મળ્યા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કોમિક રોલથી કરી અને તેમની કોમિક ટાઈમિંગ, એક્સપ્રેશન અને ડાયલોગ ડિલિવરી માટે જાણીતા થયા. પાછળથી તેમણે પોતાને કેરેક્ટર એક્ટર તરીકે સ્થાપિત કર્યા. કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કારથી પણ સન્માનિત થયા સલીમ કુમારને 2010માં ‘આદામિન્ટે મકન અબુ’માં અબુની ભૂમિકા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતાનો સન્માન મળ્યો. આ ઉપરાંત ‘અચનુરંગથા વીડુ’ (2005) માટે દ્વિતીય શ્રેષ્ઠ અભિનેતા, ‘અયાલુમ ન્જાનુમ થમ્મિલ’ (2013) માટે શ્રેષ્ઠ હાસ્ય અભિનેતા અને ‘કરુથા જૂથન’ (2017) માટે શ્રેષ્ઠ વાર્તાનો કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો. સલીમ કુમારના પરિવારમાં તેમની પત્ની સુનીતા, બે પુત્રો ચંદુ સલીમ કુમાર અને આરોમલ સલીમ કુમાર છે. ચંદુ સલીમ કુમાર પણ અભિનેતા છે. ચંદુ સુપરહિટ ફિલ્મ મંજુમ્મેલ બોયઝ (2024) માં જોવા મળ્યા હતા. ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું સલીમ કુમારે ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. તેમણે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓશાના’ માં નેરેટર તરીકે પોતાનો અવાજ આપ્યો હતો. જ્યારે, ‘યુટોપિયાયિલે રાજાઉ’ માં તેમણે એક કાગડાના પાત્રને અવાજ આપ્યો. ફિલ્મ ‘અલમારા’ માં તેમણે લાકડાની કબાટના પાત્ર માટે ડબિંગ કર્યું હતું. આ ઉપરાંત ‘કેશુ ઈ વીડિન્ટે નાધન’ માં તેમણે નેરેટરની ભૂમિકા ભજવી. જ્યારે, ‘મુકુંદન ઉન્ની એસોસિએટ્સ’ માં તેમણે મુખ્ય પાત્ર મુકુંદનના દાદાનો અવાજ આપ્યો હતો.
Read Original Article →