કપૂર ખાનદાનની 17મી વ્યક્તિનું બોલિવૂડમાં ડેબ્યૂ:રિદ્ધિમા કપૂરે 45ની ઉંમરે 'દાદી કી શાદી'થી ફિલ્મમાં ઝંપલાવ્યું; આમિરે રણબીર કપૂર કરતાં ચડિયાતી ગણાવી
છેલ્લા 90 વર્ષથી વધુ સમયથી કપૂર ખાનદાન સતત હિન્દી સિનેમામાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યુ છે. પૃથ્વીરાજ કપૂરથી શરૂ થયેલી આ લેગેસીને હવે તેમના ખાનદાનની 17મી વ્યક્તિ, એટલે કે રિદ્ધિમા કપૂર આગળ વધારવા તૈયાર છે. દિવંગત એક્ટર રિશી કપૂર અને પીઢ એક્ટ્રેસ નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂરે 'દાદી કી શાદી' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. 45 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું ‘દાદી કી શાદી’માં રિદ્ધિમા માતા નીતુ સિંહ અને કોમેડિયન કપિલ શર્મા સાથે સ્ક્રીન શેર કરશે. રિદ્ધિમાં કપૂર ખાનદાનની 17મી વ્યક્તિ હોવા ઉપરાંત સૌથી મોટી ઉંમરે એટલે કે 45 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનારી પહેલી વ્યક્તિ બની ગઈ છે. તેની ફિલ્મ આજે, 8 મે 2026ના રોજ રિલીઝ થઈ છે. આમિર ખાને રણબીર કપૂરથી ચડિયાતી એક્ટર ગણાવી તાજેતરમાં 'દાદી કી શાદી'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું. તેમાં આમિર ખાન પણ સામેલ થયો હતો. ફિલ્મ જોયા બાદ આમિરે સ્ટારકાસ્ટના ખૂબ વખાણ કર્યા હતા. આમિરે કહ્યું હતું કે, ''દાદી કી શાદી' 8 મેના રોજ રિલીઝ થઈ રહી છે. આ એક ખૂબ જ સુંદર ફેમિલી ફિલ્મ છે. તેમાં ભાવનાઓ અને હ્યુમરનું સારું મિશ્રણ છે. આ ફિલ્મ તમને હસાવશે પણ અને તમારા હૃદયને સ્પર્શી પણ જશે.' આમિરે ખાસ કરીને રિદ્ધિમાના કામની પ્રશંસા કરી અને રણબીર કપૂરનો ઉલ્લેખ કરતા રમુજી અંદાજમાં કહ્યું કે, 'રિદ્ધિમાએ રણબીર કરતાં પણ સારું કામ કર્યું છે.' આમિરે કપિલ શર્માના કામને પણ 'લાજવાબ' ગણાવ્યું અને નીતુ કપૂર તથા શરતકુમારના પર્ફોર્મન્સની પણ પ્રશંસા કરી. આમિરની બહેન નિખત પણ ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં આમિરની બહેન નિખત ખાન પણ આ ફિલ્મમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તેણે જ ફિલ્મની ટીમ માટે પોતાના ઘરે સ્ક્રીનિંગ અને ડિનરનું આયોજન કર્યું હતું. આ ખાસ અવસરે નીતુ કપૂર, કપિલ શર્મા, સાદિયા ખતીબ, રિદ્ધિમા કપૂર સાહની અને ડિરેક્ટર આશિષ આર મોહન સહિત ફિલ્મની આખી ટીમ હાજર હતી. સ્ક્રીનિંગ પછી બધાએ સાથે ડિનર કર્યું. કપૂર પરિવારના 16 સભ્યોએ બોલિવૂડમાં નસીબ અજમાવ્યા લેજેન્ડરી પૃથ્વીરાજ કપૂર અને તેમના ભાઈ ત્રિલોક કપૂરે બોલિવૂડમાં પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપ્યું. ત્યારબાદ પૃથ્વીરાજ કપૂરના ત્રણેય દીકરાઓ: રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂરે બોલિવૂડમાં એન્ટ્રી કરી. તેમના બાળકોઃ રણધીર, રિશી, રાજીવ, કુણાલ, કરણ અને સંજના કપૂરે પણ હિન્દી સિનેમામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. અત્યારસુધી પૃથ્વીરાજ કપૂરના વારસાને તેમના દીકરા અને પૌત્રોએ આગળ વધાર્યો હતો, પણ ત્યારબાદ કપૂર પરિવારની દીકરીઓ કરિશ્મા કપૂર અને કરીના કપૂરે આ લેગેસીને આગળ વધારી. રણબીર કપૂરે દાદા રાજ કપૂર અને પિતા રિશી કપૂરનું સ્ટારડમ જાળવ્યું, જ્યારે શશી કપૂરના પૌત્ર ઝહાને એક્ટિંગનો વારસો જાળવ્યો. હવે કપૂર પરિવારની 17મી વ્યક્તિ અને ત્રીજી દીકરી રિદ્ધિમાએ બોલિવૂડમાં ડગલાં માંડ્યા છે. સિનેમાની ઝાકમઝોળથી દૂર રહી જ્વેલરી ડિઝાઈનર બની રિદ્ધિમા કપૂર સાહની મૂળ પ્રખ્યાત જ્વેલરી ડિઝાઈનર અને બિઝનેસવુમન છે. તેણે આટલા વર્ષો સુધી સિનેમાથી દૂર રહીને દિલ્હીમાં પોતાનું કરિયર બનાવ્યું છે. આ ઉપરાંત રિદ્ધિમા થોડા સમય પહેલા OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સના રિયાલિટી શો 'ફેબ્યુલસ લાઇવ્સ વર્સિસ બોલિવૂડ વાઇવ્સ' સીઝન-3માં જોવા મળી હતી, જે મહીપ કપૂર, ભાવના પાંડે, સીમા સજદેહ અને નીલમ કોઠારી સોનીની ગ્લેમરસ લાઇફસ્ટાઇલ પર આધારિત હતો. રિદ્ધિમા એક્ટ્રેસ બનતી, તો રિશી કપૂર આત્મહત્યા કરી લેતા રિશી કપૂરની આત્મકથા 'ખુલ્લમ ખુલ્લા'માં નીતુ કપૂરે જણાવ્યું હતું કે, રિદ્ધિમા કપૂરે જાણીજોઈને એક્ટ્રેસ ન બનવાનો નિર્ણય લીધો હતો. નીતુએ કહ્યું હતું કે, 'રિદ્ધિમા એવા વિચાર સાથે મોટી થઈ હતી કે, જો તેણે ક્યારેય તેના પિતાને એમ કહ્યું હોત કે તે એક્ટ્રેસ બનવા માંગે છે, તો તેઓ આત્મહત્યા કરી લેત.' નીતુએ વધુમાં જણાવ્યું કે, 'તે ખૂબ જ ટેલેન્ટેડ અને સુંદર છોકરી છે. તે એક શાનદાર મિમિક (નકલ કરનાર) છે અને કોઈ પણ એક્ટ્રેસને ટક્કર આપી શકે તેમ હતી. પરંતુ બાળપણથી જ તે જાણતી હતી કે, જો તેણે એક્ટ્રેસ બનવાનો નિર્ણય કર્યો, તો તેના પિતાને કેટલું ખરાબ લાગશે. તેઓ એક્ટ્રેસિસ વિશે ખરાબ નહોતા વિચારતા કે તેમને એવું પણ નહોતું લાગતું કે છોકરીઓએ ફિલ્મોમાં કામ ન કરવું જોઈએ, પરંતુ તેઓ પોતાની પત્ની અને બાળકોને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ હતા.' તેમને ડર હતો કે તેમની દીકરી ક્યાંક ફસાઈ ન જાય નીતુએ આગળ કહ્યું, 'આની પાછળનું કારણ એ હતું કે આ ક્ષેત્ર જેટલું ગ્લેમરસ છે, એટલું જ પડકારજનક પણ છે. સ્ટારડમની 'ડાર્ક સાઈડ' (અંધારી બાજુ)થી મારા પતિ પરેશાન રહેતા હતા અને તેઓ નહોતા ઈચ્છતા કે તેમની દીકરી તેમાં ફસાય. આ ચિંતા રિદ્ધિમા મોટી થઈ ત્યાં સુધી તેમની સાથે રહી, જ્યાં સુધી તેણે ભરત સાથે લગ્ન ન કરી લીધા. તેના સેટલ થયા પછી રિશી કપૂરને શાંતિ થઈ અને રિદ્ધિમા સાથે તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો.' સંબંધો અને ડ્રામાની વાર્તા
‘દાદી કી શાદી’ એક એવી ફિલ્મ છે, જે ઘરની અંદરના સંબંધો, ઘોંઘાટ, રહસ્યો અને પ્રેમને દર્શાવે છે. ફિલ્મનું ડિરેક્શન આશિષ આર. મોહને કર્યું છે. આ ફિલ્મ ઇમોશનલ સ્ટોરીટેલિંગની સાથે સંગીત અને કોમેડીનું એક સંપૂર્ણ પેકેજ માનવામાં આવી રહી છે. મેકર્સનો દાવો છે કે, આ એક 'હોલસમ ફેમિલી એન્ટરટેનર' છે, જે દરેક ઉંમરના દર્શકોને પસંદ આવશે. ફિલ્મમાં નીતુ કપૂર સાથે શરતકુમાર પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે.
Read Original Article →