ભગવાન શિવના રોલમાં જોવા મળશે રણવીર સિંહ:અમિષ ત્રિપાઠીના પુસ્તક 'ધ ઇમોર્ટલ્સ ઓફ મેલુહા'ના રાઇટ્સ ખરીદ્યા
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પોતાના કરિયરના વધુ એક મોટા પ્રોજેક્ટની તૈયારીમાં છે. રિપોર્ટ્સ અનુસાર તેણે પોતાના પ્રોડક્શન બેનર ‘મા કસમ ફિલ્મ’ હેઠળ અમિશ ત્રિપાઠીની લોકપ્રિય પુસ્તક ‘ધ ઇમોર્ટલ્સ ઓફ મેલુહા’ના ફિલ્મી રાઇટ્સ મેળવી લીધા છે. આ સ્ટોરીને એક ભવ્ય ટ્રાયોલોજીના રૂપમાં મોટા પાયે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે રણવીરે બિરલા સ્ટુડિયોઝ સાથે ભાગીદારી પણ કરી છે. હાલમાં ફિલ્મનું લેખન કાર્ય શરૂઆતના તબક્કામાં છે અને સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. મેકર્સ પહેલા વાર્તા અને વિઝનને સંપૂર્ણપણે તૈયાર કર્યા પછી ડિરેક્ટર અને બાકીની ટીમને ફાઇનલ કરશે. સૌથી ખાસ વાત એ છે કે સમાચારો અનુસાર, રણવીર આ ટ્રાયોલોજીમાં ભગવાન શિવનો રોલ ભજવતા જોવા મળી શકે છે. જોકે, અન્ય મુખ્ય પાત્રો માટે કાસ્ટિંગ હજુ નક્કી થયું નથી. આ પ્રોજેક્ટના રાઇટ્સ મેળવવા માટે રણવીરે મોટી રકમ ખર્ચી છે, જોકે, તેની પુષ્ટિ હજુ કરવામાં આવી નથી. ‘ધુરંધર’ની સફળતા પછી આ પ્રોજેક્ટ રણવીરના કરિયરનું સૌથી મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત, રણવીર સિંહ પાસે અન્ય ફિલ્મો પણ છે. તે માર્ચ 2027માં આદિત્ય ધરની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે.
Read Original Article →