આર. માધવન પદ્મશ્રીથી સન્માનિત:ફૌજી બનવાનું સ્વપ્ન અધુરું રહ્યું, સર્જરીએ 3 વર્ષ સુધી કારકિર્દી પર બ્રેક માર્યો; 'ધુરંધર' એક્ટરની સંઘર્ષ-સફળતાની ગાથા
હિન્દી અને તમિલ સિનેમા જગતમાં આર. માધવન આજે માત્ર એક સ્થાપિત એક્ટર જ નહીં, પરંતુ જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યુસર પણ છે. 25 મેના રોજ તેને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયો છે. ચાલો જાણીએ તેની સંઘર્ષથી સફળતાની કહાણી… જમશેદપુરમાં 1 જૂન 1970ના રોજ એક મધ્યમવર્ગીય તમિલ પરિવારમાં જન્મેલા આર. માધવનનું જીવન આર્થિક અને શારીરિક સંઘર્ષો તથા કારકિર્દીના પડકારોથી ભરેલું રહ્યું છે. માધવન કોલેજના દિવસોમાં શ્રેષ્ઠ NCC કેડેટ હતો. સેનામાં ઓફિસર બનવાનું તેનું સપનું હતું, પરંતુ ઉંમર સંબંધિત નિયમોને કારણે તેને પરીક્ષામાં અયોગ્ય ઠેરવવામાં આવ્યો. સંઘર્ષ -ગુજરાન ચલાવવા માટે કોચિંગ આપ્યું, ફિલ્મોમાં રિજેક્શન સહન કર્યા 1993માં માધવન મુંબઈ આવ્યો, ત્યારે તેની પાસે પૈસા નહોતા. તે પબ્લિક સ્પીકિંગની કોચિંગ અને નાની-મોટી મોડેલિંગથી ગુજરાન ચલાવતો હતો. તમિલ ફિલ્મ "ઇરુવર" માટેના સ્ક્રીન ટેસ્ટમાં મણિરત્નમે તેને રિજેક્ટ કર્યો. ચોકલેટી છબીને કારણે તેને ગંભીર ભૂમિકાઓ માટે ઘણા રિજેક્શન સહન કરવા પડ્યા. માધવન જ્યારે કારકિર્દીના શિખર પર હતો, ત્યારે થ્રી ઇડિયટ્સના શૂટિંગ દરમિયાન તેના ઘૂંટણમાં ઈજા થઈ. ડોકટરોની સલાહને અવગણીને, તે તમિલ ફિલ્મનું શૂટિંગ કરવા લાગ્યો અને ફરીથી તે જ ઘૂંટણમાં એટલી ગંભીર ઈજા થઈ કે તેને ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં બે સર્જરી કરાવવી પડી. આ કારકિર્દીનો સૌથી ખરાબ સમય હતો. 3 વર્ષ સુધી તે ફિલ્મોથી દૂર રહ્યો. પછી "રોકેટ્રી"ના શૂટિંગ દરમિયાન કોરોના આવી ગયો. માધવન જણાવે છે કે, ત્યારે ચાર વર્ષ સુધી તેની કોઈ કમાણી થઈ ન હતી. સફળતા - તમિલ સિનેમાથી ચમક્યો, ‘રહેના હૈ’ થી બન્યો સ્ટાર
માધવન એવા ગણ્યા-ગાંઠ્યા એક્ટરમાંનો એક છે, જેણે અંગ્રેજી, હિન્દી અને દક્ષિણ ભારતીય ભાષાઓમાં 70થી વધુ ફિલ્મો કરી છે. સૌથી પહેલા 1997માં માધવને અંગ્રેજી ફિલ્મ "ઇન્ફર્નો"માં નાનકડી ભૂમિકા ભજવી હતી. આ પહેલા તે ટીવી એડ અને ધારાવાહિક કરતો હતો. 1998માં "શાંતિ, શાંતિ, શાંતિ"થી કન્નડ ડેબ્યૂ કર્યું. 2000માં તમિલ બ્લોકબસ્ટર "અલાઈપાયુથે" તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ રહી. આનાથી ઓળખ મળી અને માધવને "રહેના હૈ તેરે દિલ મેં' થી ધમાકેદાર બોલિવૂડ ડેબ્યૂ કર્યું. 2006 થી 2015 ની વચ્ચે માધવને 'રંગ દે બસંતી', 'થ્રી ઈડિયટ્સ', ‘તનુ વેડ્સ મનુ’માં દમદાર અભિનયથી દર્શકોનું દિલ જીત્યું. "રોકેટ્રી: ધ નંબી ઇફેક્ટ'થી તે પ્રોડ્યુસર પણ બન્યો. માધવનને આઈફા, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, ટેલિવિઝન એકેડમી એવોર્ડ ઉપરાંત ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે.
Read Original Article →