'બિગ બોસ' ફેમ મંદાના કરીમીએ 16 વર્ષ પછી ભારત છોડ્યું:ઈરાની એક્ટ્રેસે કહ્યું, 'હવે અહીં ઘર જેવું લાગતું નથી'; પહેલા કહ્યું હતું, 'ભારતે મને દગો આપ્યો છે'

Entertainment5/13/2026, 12:27:05 PM
'બિગ બોસ' ફેમ મંદાના કરીમીએ 16 વર્ષ પછી ભારત છોડ્યું:ઈરાની એક્ટ્રેસે કહ્યું, 'હવે અહીં ઘર જેવું લાગતું નથી'; પહેલા કહ્યું હતું, 'ભારતે મને દગો આપ્યો છે'
'બિગ બોસ 9' અને 'લોકઅપ' ફેમ એક્ટ્રેસ મંદાના કરીમીએ આખરે ભારત છોડી દીધું છે. 16 વર્ષ સુધી ભારતમાં રહ્યા પછી, તેણે એક ભાવનાત્મક વીડિયો શેર કરીને દેશને અલવિદા કહ્યું. મંદાનાએ ભારતને પોતાનું 'બીજું ઘર' ગણાવ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે પોતાની સુરક્ષા અને સ્પષ્ટવક્તાને કારણે સતત વિવાદો અને હેડલાઇન્સમાં રહી હતી. એરપોર્ટ પરથી શેર કર્યો ભાવનાત્મક વીડિયો મંદાનાએ ઇન્સ્ટાગ્રામ પર 'આસ્ક મી એનીથિંગ' સેશન દરમિયાન ચાહકોને આ સમાચાર આપ્યા. એક ચાહકે તેને પૂછ્યું હતું કે, શું તેણે મુંબઈ કાયમ માટે છોડી દીધું છે? તેના જવાબમાં મંદાનાએ એરપોર્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો. તેણે કહ્યું, 'મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે, હું આવું કહી શકીશ, પણ અલવિદા ભારત. આ મુશ્કેલ થવાનું છે. લગભગ 16 વર્ષ અહીં વિતાવ્યા પછી હું મારા બીજા ઘરને પાછળ છોડી રહી છું. હવે એક નવી શરૂઆત તરફ આગળ વધી રહી છું, નવો દેશ, નવું ઘર, બધું જ નવું.' પહેલા કહ્યું હતું કે, 'ભારતે મને દગો આપ્યો' એક્ટ્રેસે ભારત છોડવાનું મુખ્ય કારણ પોતાની સુરક્ષાને જણાવ્યું છે. આ પહેલા 'બોલિવૂડ હંગામા' (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ)ને આપેલા ઇન્ટરવ્યુમાં મંદાનાએ પોતાનું દર્દ શેર કરતા કહ્યું કે, 'છેલ્લા બે મહિનામાં મને મુંબઈમાં ખૂબ એકલતા અનુભવાઈ. ઈરાનના પક્ષમાં બોલવા અને વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવાને કારણે મેં મારા ઘણા જૂના મિત્રો ગુમાવી દીધા.' 'મને એવું લાગી રહ્યું છે કે ભારતે એક રીતે મને દગો આપ્યો છે.' તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે, તે ઈરાન પણ પાછી જઈ શકતી નથી, કારણ કે ત્યાં તેના પર 10 વર્ષ પહેલાં જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ખામેનેઈના મૃત્યુ પર ઉજવણી અને વિવાદ મંદાના કરીમી છેલ્લા દિવસોમાં ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે દાવો કર્યો હતો કે, ખામેનેઈએ ઈરાનના લોકો પર ખૂબ અત્યાચાર કર્યા છે. મંદાનાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેને પોતાના એક્ટિવિઝમ માટે ભારતમાં કોઈનો સપોર્ટ મળ્યો નથી. મોડેલિંગથી શરૂ થઈ હતી મંદાનાની કારકિર્દી મંદાના કરીમીનો જન્મ તેહરાનમાં થયો હતો. તે 2010માં પહેલીવાર મોડેલિંગ માટે ભારત આવી હતી અને 2013થી મુંબઈમાં જ સ્થાયી થઈ ગઈ. તેણે 'ક્યા કૂલ હૈં હમ 3', 'મૈં ઔર ચાર્લ્સ' અને 'ભાગ જોની' જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ ઉપરાંત 'બિગ બોસ' અને 'લોકઅપ' જેવા રિયાલિટી શોઝથી તેને ઓળખ મળી. ત્યારબાદ મંદાનાએ વર્ષ 2017માં ભારતીય બિઝનેસમેન ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કર્યા, પરંતુ આ સંબંધ લાંબો ટક્યો નહીં. 2021માં તેમના છૂટાછેડા થઈ ગયા. મંદાનાએ તેના પતિ અને સાસરિયાઓ પર ઘરેલું હિંસા અને ધર્મ પરિવર્તનના દબાણ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા.
Read Original Article →