'કાલા હિરણ'નું પોસ્ટર રિવીલ:સલમાન ખાન-લોરેન્સ બિશ્નોઈ અને કાળા હરણના શિકાર કેસ પર વાર્તા આધારિત

Entertainment5/30/2026, 8:52:22 AM
'કાલા હિરણ'નું પોસ્ટર રિવીલ:સલમાન ખાન-લોરેન્સ બિશ્નોઈ અને કાળા હરણના શિકાર કેસ પર વાર્તા આધારિત
બોલિવૂડ એક્ટર સલમાન ખાન સાથે સંકળાયેલ કાળા હરણના શિકાર કેસ પર આધારિત આગામી ફિલ્મ 'કાલા હિરણ'નું પોસ્ટર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મનો ફર્સ્ટ લુક અને ટીઝર 20 જૂને રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં સલમાન ખાન અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વચ્ચેના વિવાદને દર્શાવવામાં આવશે. સલમાન-લોરેન્સ વિવાદને દર્શાવશે વાર્તા ફિલ્મને લઈને IANS (ન્યૂઝ એજન્સી) સાથે વાત કરતા ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીએ કહ્યું, ‘1998માં જોધપુરના કાંકાણી ગામમાં સલમાન ખાન પર કાળા હરણના શિકારનો આરોપ લાગ્યો હતો. તે કેસ સાથે સંકળાયેલા કોર્ટરૂમ ડ્રામા, ક્રાઈમ, થ્રિલર અને લોરેન્સ તથા સલમાન ખાન વચ્ચેની દુશ્મનીને ફિલ્મી સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ સંભલ, મુરાદાબાદ અને ઉત્તર પ્રદેશના અન્ય શહેરોમાં થયું છે.’ તેમણે આગળ કહ્યું, ‘તે સમયે થયેલા કથિત કાળા હરણના શિકાર, સલમાન ખાનની ધરપકડ અને સજા સાથે સંકળાયેલા ઘટનાક્રમને ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મના પોસ્ટરની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. લોકો સલમાન ખાન, લોરેન્સ બિશ્નોઈ અને કાળા હરણના શિકાર કેસ પર આધારિત એક સિનેમેટિક વાર્તાની રાહ જોઈ રહ્યા હતા. 20 જૂને અમે ફિલ્મનો ફર્સ્ટ લુક અને ટીઝર રિલીઝ કરીશું.’ 1998માં કાળા હરણના શિકારનો કેસ સામે આવ્યો સલમાન ખાન સાથે સંકળાયેલો કાળિયાર શિકાર કેસ વર્ષ 1998માં સામે આવ્યો હતો, જ્યારે તે રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ-સાથ હૈં'નું શૂટિંગ કરી રહ્યો હતો. સલમાન વિરુદ્ધ કુલ ચાર કેસ નોંધવામાં આવ્યા હતા. આમાં બે ચિંકારા શિકાર કેસ, એક કાંકાણી કાળિયાર શિકાર કેસ અને એક આર્મ્સ એક્ટનો કેસ સામેલ હતો. કાળિયાર શિકાર કેસમાં બિશ્નોઈ સમુદાયની ફરિયાદ પર સલમાન સાથે સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસોમાં 12 ઓક્ટોબર 1998ના રોજ સલમાન ખાનની પહેલીવાર ધરપકડ કરવામાં આવી હતી, જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા. એપ્રિલ 2006માં ચિંકારા શિકાર કેસોમાં સલમાનને સજા સંભળાવવામાં આવી હતી. જાન્યુઆરી 2017માં તેમને આર્મ્સ એક્ટ કેસમાં નિર્દોષ છોડી દેવામાં આવ્યો હતો, જ્યારે, 5 એપ્રિલ 2018ના રોજ કાળિયાર શિકાર કેસમાં તેને 5 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયા દંડની સજા મળી હતી. આ જ કેસમાં બાકીના કલાકારોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. પછીથી સલમાનને જામીન મળી ગયા. હાલમાં આ મામલો રાજસ્થાન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. મે 2026માં થયેલી સુનાવણી બાદ કોર્ટે આગામી સુનાવણી 13 જુલાઈ 2026 માટે નક્કી કરી છે. સલમાન ખાન હાલમાં જામીન પર બહાર છે. લોરેન્સે સલમાન પર નારાજગી વ્યક્ત કરી હતી નોંધનીય છે કે, લોરેન્સ બિશ્નોઈએ જાહેરમાં કહ્યું છે કે, તે કાળા હરણના શિકાર કેસને લઈને સલમાન ખાનથી નારાજ છે. 2023માં જેલમાંથી 'ABP ન્યૂઝ'ને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, 'સલમાન ખાનને મારવો એ મારા જીવનનો હેતુ છે.' જ્યારે, વર્ષ 2024માં સલમાનના ઘર (ગેલેક્સી એપાર્ટમેન્ટ)ની બહાર ફાયરિંગ થયું હતું, જેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈના વિદેશમાં બેઠેલા ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી હતી.
Read Original Article →