'ડોન 3' વિવાદ પર ફરહાન અખ્તરે મૌન તોડ્યું:કારકિર્દીનો મુશ્કેલ સમય ગણાવ્યો, કહ્યું- 'કંઈપણ હળવાશથી ન લઈ શકાય'; રણવીરે ફિલ્મ છોડતા 40 કરોડનું નુકસાન

Entertainment4/29/2026, 10:51:38 AM
'ડોન 3' વિવાદ પર ફરહાન અખ્તરે મૌન તોડ્યું:કારકિર્દીનો મુશ્કેલ સમય ગણાવ્યો, કહ્યું- 'કંઈપણ હળવાશથી ન લઈ શકાય'; રણવીરે ફિલ્મ છોડતા 40 કરોડનું નુકસાન
ફિલ્મ 'ડોન 3' ને લઈને 'ધુરંધર' એક્ટર રણવીર સિંહ અને ડિરેક્ટર ફરહાન અખ્તર વચ્ચે ચાલી રહેલા વિવાદ પર હવે ફરહાને ખૂલીને પોતાની વાત રજૂ કરી છે. ફરહાને તેને પોતાની કારકિર્દીનો એક 'મુશ્કેલ' અધ્યાય ગણાવ્યો છે. 'હોલિવૂડ ઇન્ડિયા રિપોર્ટર'ને આપેલા ઇન્ટરવ્યુમાં ફરહાન અખ્તરે કહ્યું, 'કંઈપણ હળવાશથી લઈ શકાય નહીં.' 'ફિલ્મ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ વાતનો ભરોસો નથી' તેણે કહ્યું, 'મેં આ ઘટના પરથી શીખ્યું છે કે, તમારે હંમેશા અનિચ્છનીય ઘટનાઓ માટે તૈયાર રહેવું જોઈએ. જ્યાં સુધી ફિલ્મનું શૂટિંગ પૂરું ન થાય, કોઈપણ વસ્તુને પાકી માની શકાય નહીં.' ફરહાને આગળ કહ્યું કે, 'મારી કારકિર્દીમાં ઘણા સારા અનુભવો રહ્યા છે, તેથી હું એક-બે પડકારોથી પરેશાન નથી અને તેને સહજતાથી લઈ રહ્યો છું.' મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણવીરના ફિલ્મમાંથી હટવાના નિર્ણયથી પ્રોડક્શન હાઉસ 'એક્સેલ એન્ટરટેઈનમેન્ટ' ને લગભગ 40 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વિવાદ શા માટે શરૂ થયો? રણવીર અને ફરહાન વચ્ચે અણબનાવની શરૂઆત ડિસેમ્બર 2025માં થઈ હતી. ફિલ્મ 'ધુરંધર' રિલીઝ થયા બાદ રણવીર સિંહે અચાનક 'ડોન 3'માંથી વોકઆઉટ કરી લીધું. ફરહાન અને તેના પાર્ટનર રિતેશ સિધવાણીએ આ મામલો 'પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા' સમક્ષ રજૂ કર્યો. મીટિંગમાં જણાવવામાં આવ્યું કે, ફિલ્મના પ્રી-પ્રોડક્શન પર 40 કરોડ રૂપિયા પહેલેથી જ ખર્ચ થઈ ચૂક્યા હતા અને રણવીરે દરેક સ્ટેજ પર સ્ક્રિપ્ટને પોતાની મંજૂરી આપી હતી. રણવીર સિંહનો પક્ષ અને સમાધાનનો પ્રયાસ બીજી તરફ, રણવીર સિંહના નજીકના સૂત્રોનું કહેવું હતું કે, જ્યારે રણવીરની કારકિર્દી થોડી ધીમી ચાલી રહી હતી, ત્યારે ફરહાને 'ડોન 3' ને ઠંડા બસ્તામાં મૂકી દીધી હતી. આ જ કારણોસર રણવીરે ફિલ્મ છોડવાનું મન બનાવ્યું. આ પછી રણવીરે 10 કરોડની સાઇનિંગ એમાઉન્ટ પરત કરવા અને તેની આગામી ફિલ્મ 'પ્રલય' માં ભાગ આપવાની ઓફર કરી છે, જેથી નુકસાનની ભરપાઈ થઈ શકે. જોકે, પ્રોડક્શન હાઉસના સૂત્રોએ હજુ સુધી કોઈ અંતિમ કરારનો ઇનકાર કર્યો છે. શાહરુખની જગ્યાએ રણવીરને મળ્યો હતો રોલ નોંધનીય છે કે, જ્યારે ફરહાન અખ્તરે 'ડોન 3'ની જાહેરાત કરી હતી, ત્યારે શાહરૂખ ખાનની જગ્યાએ રણવીર સિંહને કાસ્ટ કરવા પર સોશિયલ મીડિયા પર ઘણો વિરોધ થયો હતો. ચાહકો શાહરુખને જ 'ડોન' તરીકે જોવા માંગતા હતા. તે સમયે ફરહાને રણવીરને પૂરો સાથ આપ્યો હતો. હવે રણવીરના હટ્યા પછી ફિલ્મનું ભવિષ્ય અધ્ધર લટકી રહ્યું છે. હાલમાં બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલુ છે, પરંતુ કોઈ નક્કર રસ્તો નીકળી શક્યો નથી.
Read Original Article →