દરેકને કેમ ગમે છે 'સોહરાબ હાંડા'?:ડિરેક્ટર રજત કપૂરે સમજાવ્યું મેગ્નેટિક પાત્રનું રહસ્ય; વાંચો સ્ટારકાસ્ટ સાથેની ખાસ વાતચીત
‘એવરીબડી લવ્સ સોહરાબ હાંડા’ ફિલ્મની સ્ટારકાસ્ટ રજત કપૂર, વિનય પાઠક અને રણવીર શૌરીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી. રજત કપૂરે ફિલ્મમાં અભિનયની સાથે તેને લખી, ડિરેક્ટ કરી અને અપલોઝ એન્ટરટેઈનમેન્ટ સાથે પ્રોડ્યુસ કરી છે. તેમણે જણાવ્યું કે, સોહરાબ હાંડા એવું પાત્ર છે, જે દરેકનું ધ્યાન ખેંચે છે. રણવીર શૌરી અને વિનય પાઠકે વાર્તા અને પાત્રોના ઊંડાણ પર વાત કરી. આ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ 10 એપ્રિલે ZEE5 પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. પ્રશ્ન: ફિલ્મનું ટાઈટલ ‘એવરીબડી લવ્સ સોહરાબ હાંડા’ રસપ્રદ છે. સોહરાબમાં એવું શું છે કે, દરેક પાત્ર તેની સાથે જોડાઈ જાય છે? રજત કપૂર: સોહરાબ હાંડા એક ખાસ વ્યક્તિ છે. કેટલાક લોકો રૂમમાં આવતાની સાથે જ વાતાવરણને પોતાના કબજામાં લઈ લે છે. સોહરાબ પણ તેવો જ છે. તેને દરેકનું અટેન્શન જોઈએ છે અને તે આવું કરવાની રીત શોધી લે છે. તેની પર્સનાલિટી મેગ્નેટિક છે. પ્રશ્ન: રણવીર, તમે સોહરાબ હાંડા વિશે શું કહેવા માંગશો? રણવીર શૌરી: જેમ રજત સરે કહ્યું, તે હંમેશા અટેન્શન ઈચ્છે છે. ઇન્ડસ્ટ્રીમાં એવા લોકો છે, જેમને વધુ ભાવ જોઈએ છે. તે અલગ-અલગ લોકો સાથે અલગ રીતે જોડાય છે, પરંતુ એક વાત સામાન્ય છે- તેને અટેન્શન જોઈએ છે. પ્રશ્ન: વિનય, તમે સોહરાબ હાંડાનું પાત્ર ભજવી રહ્યા છો. આ માટે તમારે શું કરવું પડ્યું? વિનય પાઠક: મારા માટે આ સરળ હતું, કારણ કે સ્ક્રિપ્ટ સારી રીતે લખાઈ હતી. રજત ખૂબ સંશોધન કરીને લખે છે. દરેક પાત્ર વાસ્તવિક જીવન સાથે જોડાયેલું લાગે છે. તેથી તેને ભજવવું સરળ બન્યું. બધા પાત્રોમાં ઊંડાણ અને રસપ્રદતા છે. પ્રશ્ન: રજત, ફિલ્મના પાત્રો વાસ્તવિક જીવનથી પ્રભાવિત છે. શું તમે કોઈ ખાસ વ્યક્તિથી પ્રેરિત થઈને વાર્તા લખી? રજત કપૂર: કોઈ એક વ્યક્તિને જોઈને પાત્ર લખાતું નથી. અમે અનુભવો, મિત્રો અને આસપાસના લોકો પાસેથી નાની-નાની વાતો લઈને પાત્રો બનાવીએ છીએ. ફિલ્મમાં બધા પાત્રો ખાસ છે, જેથી સંબંધો સારી રીતે દર્શાવી શકાય. પ્રશ્ન: શું લખતી વખતે બધા પાત્રો તમારા મગજમાં સ્પષ્ટ હોય છે? રજત કપૂર: હા, એક વિચાર હોય છે કે વાર્તા કઈ દિશામાં જશે. પછીથી કલાકારો પાત્રને વધુ નિખારે છે. પ્રશ્ન: રણવીર, જ્યારે તમે વાર્તા સાંભળી, ત્યારે તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હતી? રણવીર શૌરી: રજત કંઈક નવું લખે છે, ત્યારે તેને વાંચવાનો ઉત્સાહ રહે છે. તેમની સાથે કામ કરીને મેં ઘણું શીખ્યું છે. ફિલ્મ ઉપરથી સાધારણ લાગી શકે છે, પરંતુ અંદરથી અલગ અને ખાસ છે. રજત કપૂર: ફિલ્મમાં ઉત્તમ કલાકારો છે- દરેક શાનદાર છે. આટલા સારા કલાકારો સાથે કામ કરવું એક ખાસ અનુભવ છે. પ્રશ્ન: વિનય, ફિલ્મમાં જે રીતે પિતા-પુત્રનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે, તેનાથી તમે કેટલું જોડાણ અનુભવો છો? વિનય પાઠક: પાત્ર ભલે કાલ્પનિક હોય, પરંતુ તેમાં સચ્ચાઈ છે. ઘણી વાર લાગશે કે આ આપણા આસપાસના લોકો છે. આ જ સારા પાત્રની ઓળખ છે કે તે વાસ્તવિક લાગે. રજત કપૂર: જો દર્શકોને લાગે કે તેઓ આ પાત્રોને ઓળખે છે, તો તે જ ફિલ્મની સાચી સફળતા છે. પ્રશ્ન: શૂટિંગ દરમિયાન કોઈ ભાવનાત્મક કે મુશ્કેલ ક્ષણ આવી? રણવીર શૌરી: ઘણા સીનમાં 15 પાત્રો એકસાથે હતા. આવા સીન કરવા મુશ્કેલ અને રોમાંચક હતા. રજત કપૂર: આટલા પાત્રોને એક ફ્રેમમાં યોગ્ય રીતે બતાવવા પડકારજનક હતું, પણ એ જ મજા હતી. શરૂઆતમાં બધું અરાજક લાગતું હતું, પછી ધીમે ધીમે સેટ થઈ જતું હતું. પ્રશ્ન: એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? રજત કપૂર: ખૂબ સારો. તેમણે સ્ક્રિપ્ટ વાંચીને તરત હા પાડી અને પૂરા સમય સપોર્ટિવ રહ્યા. તેમણે કામમાં દખલ ન દીધી, જેનાથી કામ સરળ થઈ ગયું. પ્રશ્ન: આ ફિલ્મને કયા જોનરમાં રાખશો? રજત કપૂર: આ એક મર્ડર મિસ્ટ્રી છે, પરંતુ માત્ર 'કોણે કર્યું' તેના પર નહીં, પરંતુ 'શા માટે કર્યું' તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રશ્ન: વિનય, કન્ટેન્ટ અને દર્શકોની પસંદગીમાં આવેલા બદલાવને તમે કેવી રીતે જુઓ છો? વિનય પાઠક: આ બદલાવ સારો છે. હવે વાર્તા આધારિત ફિલ્મો બની રહી છે. OTT ના આગમનથી પ્લેટફોર્મ વધ્યા છે, જેના કારણે દરેક પ્રકારની વાર્તાઓને તક મળી રહી છે. પ્રશ્ન: આજના કન્ટેન્ટ-ડ્રિવન સિનેમામાં આ ફિલ્મને તમે ક્યાં મૂકો છો? રજત કપૂર: મને નથી લાગતું કે સંપૂર્ણપણે કન્ટેન્ટ-ડ્રિવન સિનેમા ચાલી રહ્યું છે. અમે એક ફિલ્મ બનાવવા માગી અને બનાવી દીધી. આગળ શું થશે, તે સમય કહેશે. રણવીર શૌરી: આવી ફિલ્મોના એક ખાસ દર્શકો હોય છે. તે સંખ્યા મોટી નથી હોતી, પણ હાજર જરૂર હોય છે. વિનય પાઠક: અમે આશા રાખીએ છીએ કે આવી ફિલ્મોના દર્શકો ધીમે ધીમે વધે.
Read Original Article →