દિલજીત દોસાંઝે ખાલિસ્તાની સમર્થકોને સ્ટેજ પરથી લલકાર્યા:અમેરિકામાં શો દરમિયાન સિદ્ધુ મૂસેવાલાની સ્ટાઇલમાં કહ્યું- 'મેદાનમાં આવો, હું ઉપાડીને બહાર ફેંકી દઈશ'

Entertainment5/2/2026, 11:14:02 AM
દિલજીત દોસાંઝે ખાલિસ્તાની સમર્થકોને સ્ટેજ પરથી લલકાર્યા:અમેરિકામાં શો દરમિયાન સિદ્ધુ મૂસેવાલાની સ્ટાઇલમાં કહ્યું- 'મેદાનમાં આવો, હું ઉપાડીને બહાર ફેંકી દઈશ'
બોલિવૂડ સિંગર દિલજીત દોસાંઝ હાલમાં વર્લ્ડ ટૂર પર છે. તાજેતરમાં અમેરિકાના કેલગરીમાં ઓરા વર્લ્ડ ટૂર દરમિયાન કેટલાક ખાલિસ્તાન સમર્થકો પહોંચ્યા હતા, જેના પર દિલજીત ભડકી ઉઠ્યો હતો. સિંગરે પોસ્ટર બતાવી રહેલા ખાલિસ્તાની સમર્થકોને સ્ટેજ પરથી જ જવાબ આપ્યો. પોતાના કોઈ શોમાં દિલજીત પહેલીવાર આટલા ગુસ્સામાં જોવા મળ્યો. ‘હું ઉપાડીને બહાર ફેંકી દઈશ’ દિલજીતે દિવંગત સિંગર સિદ્ધુ મૂસેવાલા સ્ટાઈલમાં પોતાની જાંઘ પર થાપટ મારતા કહ્યું કે, 'જેને આવવું હોય, તે મેદાનમાં આવી જાય. હું ઉપાડીને બહાર ફેંકી દઈશ. આ જે વિરોધ કરી રહ્યા છે, તેમણે પંજાબ માટે શું કર્યું? અમારું કામ નહોતું છતાં પંજાબમાં આવેલી પૂરની સ્થિતિમાં લોકોની મદદ કરી. તેમના ઘર બનાવ્યા.' નામ લીધા વિના KBC શોનો ઉલ્લેખ કરતા દિલજીતે કહ્યું કે, ‘અમારા લોકોનો અવાજ નેશનલ મીડિયા સુધી પહોંચ્યો નહોતો. તેથી અમે શોમાં ગયા હતા, ત્યાં જઈને પોતાનું કે ફિલ્મનું પ્રમોશન નહોતું કર્યું પરંતુ પંજાબની ભલાઈ માટે જ ફંડ એકત્રિત કર્યું.’ નોંધનીય છે કે, આ દિવસોમાં દિલજીત અમેરિકાના પ્રવાસે છે. દિલજીતે જિમ્મીના શોનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, 'મને અહીં પણ જિમ્મીના શોમાં જવાની શું જરૂર હતી? મેં ત્યાં પણ પંજાબની વાત કરી. કામાગાટામારુ ઘટનાનો ઉલ્લેખ કર્યો.' દિલજીતે ચાલુ શોમાં કેટલીક મહત્વપૂર્ણ વાતો કહી… 'મેં ઘણા વર્ષો પહેલા જ ચેતવણી આપી હતી' બીજી તરફ, મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને લખ્યું, 'દિલજીત દોસાંઝ, મેં તમને ઘણા વર્ષો પહેલા જ ચેતવણી આપી હતી. આ ખાલિસ્તાની લોકોની પ્રકૃતિ ક્યારેય બદલાતી નથી. તેમનો કોઈ ધર્મ નથી હોતો, તેમના માટે બધું જ માત્ર પૈસાનો ખેલ છે.' 'તેમણે હંમેશા સંગીત અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાન પહોંચાડ્યું છે, ભલે તે વિરિંદરની હત્યા હોય, ગુરદાસ માનની છબી ખરાબ કરવી હોય, અને હવે તમને નિશાન બનાવવું હોય. પરંતુ કેટલીક વાતો માણસને પોતે અનુભવ કર્યા પછી જ સમજાય છે.' દિલજીતને લઈને પહેલા પણ વિવાદ થયો હતો… 1. અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કરવા પર વિવાદ: વર્ષ 2025નો સૌથી મોટો વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે દિલજીત દોસાંઝ 'કૌન બનેગા કરોડપતિ' (KBC)ના સેટ પર પહોંચ્યો. અહીં તેણે અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. આતંકવાદી સંગઠન 'શીખ ફોર જસ્ટિસ' (SFJ) અને ગુરપતવંત સિંહ પન્નુએ તેની સખત નિંદા કરી. આરોપ લગાવ્યો કે, દિલજીત એવા લોકોનું સન્માન કરી રહ્યા છે, જેમનું નામ 1984ના શીખ રમખાણો દરમિયાન વિવાદોમાં આવ્યું હતું. ત્યારબાદથી જ પન્નુએ દિલજીતને 'ટાર્ગેટ' કરવાનું શરૂ કર્યું. 2. 'ભારતના પોસ્ટર બોય' હોવાનો આરોપ: 2025ના પ્રવાસ દરમિયાન ઘણા કટ્ટરપંથી સંગઠનોએ સોશિયલ મીડિયા પર દિલજીત વિરુદ્ધ અભિયાન ચલાવ્યું. તેને "ભારત સરકારના એજન્ટ" અને "ભાજપ-આરએસએસના સમર્થક" કહેવામાં આવ્યો. સંગઠનોનો આરોપ હતો કે, દિલજીત પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ વિદેશોમાં ભારત સરકારની છબી સુધારવા અને શીખ સમુદાય વચ્ચે કેન્દ્ર સરકારની પકડ બનાવવા માટે કરી રહ્યો છે. 3. ત્રિરંગા અને રાષ્ટ્રવાદને લઈને વિવાદ: છેલ્લા પ્રવાસના કેટલાક શો દરમિયાન દિલજીતે ગર્વભેર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો અને ગર્વ વ્યક્ત કર્યો. ખાલિસ્તાન સમર્થકોએ તેને "શીખ વિરોધી" કૃત્ય ગણાવવાનો પ્રયાસ કર્યો. તેમણે દલીલ કરી કે દિલજીતે ફક્ત પંજાબી ઓળખને પ્રોત્સાહન આપવું જોઈએ, ભારતીય રાષ્ટ્રવાદને નહીં. 4. સિડની અને મેલબોર્ન શો દરમિયાન સૂત્રોચ્ચાર: 2025ના અંતમાં જ્યારે દિલજીત ઓસ્ટ્રેલિયામાં પરફોર્મ કરી રહ્યો હતો, ત્યારે સ્ટેડિયમની બહાર કેટલાક લોકોએ ખાલિસ્તાની ઝંડા લઈને પ્રદર્શન કર્યું હતું. 5. સોશિયલ મીડિયા વોર અને ધમકીઓ: દુનિયાના ઘણા મોટા દેશોમાં ચાલી રહેલા 'ઓરા' ટૂર દરમિયાન પન્નુએ ઘણા વીડિયો જાહેર કર્યા. આ વીડિયોમાં દિલજીતને ચેતવણી આપવામાં આવી હતી કે તે "ભારતના એજન્ડા"ને આગળ વધારવાનું બંધ કરે, નહીં તો તેમના ગ્લોબલ શોમાં ખલેલ પહોંચાડવામાં આવશે.
Read Original Article →