ટ્વિશા ડેથ કેસ: કો-સ્ટારે કહ્યું- તે ભણવા માંગતી હતી:'તેને ખબર પડી ગઈ કે એક્ટિંગ કરવી તેના ગજાની વાત નથી'; આત્મહત્યા પહેલાં માતા પાસે મદદ માગી હતી
ભોપાલની પૂર્વ એક્ટ્રેસ ટ્વિશા શર્માએ 11 મેના રોજ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેની મદદ માંગતી ચેટ વાઇરલ થયા બાદ કેસ ચર્ચામાં આવ્યો, જેના પછી પરિજનોએ જોરદાર હોબાળો કર્યો અને સાસરિયાઓ પર દહેજ માટે હત્યાના આરોપ લગાવ્યા. ટ્વિશા શર્મા, એક એક્ટ્રેસ હતી, જે ઘણી એડ ફિલ્મો અને સાઉથ ફિલ્મોનો ભાગ રહી હતી. હવે આ ઘટના પછી ટ્વિશા સાથે ફિલ્મ મુગ્ગુરુ મોનાગલ્લુમાં કામ કરી ચૂકેલા દીક્ષિત શેટ્ટીએ તાજેતરમાં દાવો કર્યો છે કે ટ્વિશા આગળ ભણવા માંગતી હતી. એક્ટર દીક્ષિત શેટ્ટીએ હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, “આ અત્યંત ચોંકાવનારા સમાચાર છે. હું તેને હંમેશા એક સમર્પિત અને મહેનતુ છોકરી તરીકે ઓળખતો હતો, જેને પોતાના દરેક કામ પ્રત્યે જુસ્સો હતો. તે જીવનથી ભરપૂર હતી અને એ જાણીને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે તેણે પોતાનો જીવ લઈ લીધો.” આગળ તેણે કહ્યું, ‘મને તો એ પણ ખબર નહોતી કે તેના લગ્ન થઈ ગયા હતા. અમે સાથે માત્ર એક ફિલ્મમાં કામ કરી હતી અને પછી તે પોતાના ઘરે પાછી ફરી. તેણે મને કહ્યું હતું કે તે પોતાનો માસ્ટર્સનો અભ્યાસ કરવા માંગે છે અને એક્ટિંગ એવી નહોતી જેવી તે અપેક્ષા રાખી રહી હતી. તેનો ભાઈ આર્મીમાં હતો અને તેને અહેસાસ થઈ ગયો હતો કે આ તેના બસની વાત નથી, તેથી તે પાછી જઈને પોતાના પરિવાર સાથે સ્થાયી થવા માંગતી હતી.’ આખરે દીક્ષિત કહે છે, 'હું અમારી ફિલ્મની સ્ક્રીનિંગના દિવસે તેમના માતા-પિતાને મળ્યો હતો અને તે બધા ખૂબ સારા લોકો હતા. તેના નિધનના સમાચાર અત્યંત દુઃખદ અને ચોંકાવનારા છે.' કોણ હતી ટ્વિશા શર્મા, શું છે આખો મામલો? 33 વર્ષની ટ્વિશા શર્મા નોઇડાની રહેવાસી હતી. તેણે એમબીએનો અભ્યાસ કરીને મોડેલિંગ કારકિર્દી શરૂ કરી હતી. તે મિસ પુણે પણ રહી ચૂકી હતી. આ પછી તેણે ઝારા સંભલ કે (2018), મુગ્ગુરુ મોનાગલ્લુ (2021) જેવી કેટલીક ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. એક્ટિંગ કારકિર્દીમાં સફળતા ન મળતાં તેણે દિલ્હીની એક કંપનીમાં નોકરી કરી. દિલ્હીમાં રહેતી વખતે ટ્વિશાની ઓનલાઈન ડેટિંગ એપની મદદથી ભોપાલના રહેવાસી એડવોકેટ સમર્થ સિંહ સાથે ઓળખાણ થઈ. થોડા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા પછી બંનેએ ડિસેમ્બર 2025માં પરિવારના આશીર્વાદથી લગ્ન કર્યા હતા. લગ્નના માત્ર 5 મહિના પછી જ 12 મેના રોજ ટ્વિશાના પરિવારજનોને જાણ થઈ કે તેની દીકરીનું અવસાન થયું છે. પરિવારજનોએ સમર્થના પરિવાર પર હત્યાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી.
Read Original Article →