કેન્સરની પીડામાં કણસતા હોવા છતાં ઇરફાન પત્નીના પગમાંથી કપાસી કાઢતા:બાબિલ ખાને પિતાના અંતિમ દિવસોના ફોટો શેર કર્યા, હૃદયસ્પર્શી પોસ્ટ જોઈ ચાહકો ભાવુક

Entertainment4/17/2026, 7:45:08 AM
કેન્સરની પીડામાં કણસતા હોવા છતાં ઇરફાન પત્નીના પગમાંથી કપાસી કાઢતા:બાબિલ ખાને પિતાના અંતિમ દિવસોના ફોટો શેર કર્યા, હૃદયસ્પર્શી પોસ્ટ જોઈ ચાહકો ભાવુક
હફનમૌલા ઇરફાન ખાન પોતાની અભિનય કુશળતાથી ચાહકોના હૃદયમાં અમીટ છાપ છોડીને ગયા છે. ફિલ્મના હીરો હોવાની સાથે સાથે દિવંગત એક્ટર તેમના અંગત જીવનમાં પણ હીરો હતા. હાલમાં બાબિલ ખાને પિતાના અંતિમ દિવસોના ફોટો શેર કરીને એક ખાસ યાદ શેર કરી છે. તેની આ હૃદયસ્પર્શી પોસ્ટ જોઈને ચાહકો પણ ભાવુક થઈ ગયા છે. 'બાબાના કેન્સરના સૌથી અસહ્ય અને કપરા દિવસો હતા' વાસ્તવમાં ઇરફાન ખાનના દીકરા બાબિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં ઇરફાન ખાન માથા પર મોબાઇલ બાંધીને પત્ની સુતાપાના પગમાંથી કંઈક કાઢી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ફોટો પોસ્ટ કરીને બાબિલે લખ્યું, 'બાબાના કેન્સરના સૌથી અસહ્ય અને કપરા સમય દરમિયાન, તેમની દોડધામ અને સંભાળ રાખવામાં મમ્માના પગમાં કપાસી (corns) થઈ જતી હતી. તેથી બાબા પોતાના માથા પર ફોન બાંધીને તેને લાઈટને સોર્સ તરીકે વાપરતા અને મમ્માના એ કોર્ન્સની સારવાર કરતા. જાણે એ બંને પ્રેમની કોમળ ત્વચા સુધી પહોંચવા માટે પ્રતિરોધના સખત પડને ઉખેડી રહ્યા હતા.' સેલેબ્સ અને ચાહકો ભાવુક થયા બાબિલ ખાનની આ હૃદયસ્પર્શી પોસ્ટ વાંચીને અને ઇરફાન ખાનના ફોટો જોઈને સેલિબ્રિટીઝ અને ચાહકો પણ ભાવુક થઈ ગયા હતા. ઇરફાન અને સુતાપાની લવસ્ટોરી ઈરફાન અને સુતાપાની મુલાકાત દિલ્હીમાં NSD (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા)માં થઈ હતી. સુતાપાએ શરૂઆતમાં સીનિયર બનીને ઈરફાનની રેગિંગ કરી હતી, જેના કારણે ઈરફાન પહેલા તો તેમનાથી નારાજ હતા. જોકે, ધીરે ધીરે તેમની મિત્રતા ગાઢ બની. સુતાપાએ ઈરફાનને અંગ્રેજી અને શહેરની લાઈફસ્ટાઈલમાં સહજ થવામાં ખૂબ મદદ કરી. તેમણે ક્યારેય એકબીજાને 'આઈ લવ યુ' નહોતું કહ્યું, પણ બંનેને ખબર હતી કે, તેઓ એકબીજા માટે જ બન્યા છે. ઈરફાને ભેટમાં સુતાપાને જયપુરના સ્ટોન્સ આપ્યા હતા. સુતાપા સાથે લગ્ન કરવા ઈરફાન હિન્દુ બનવા પણ તૈયાર હતા સુતાપાને દિલ્હી પ્રિય હતું, પણ ઈરફાનના સપનાઓ મુંબઈમાં હતા. ઈરફાનના આગ્રહથી સુતાપા મુંબઈ આવ્યાં. શરૂઆતના દિવસોમાં ઈરફાન તેમને પોતાની યેઝદી બાઈક પર મુંબઈ ફેરવતા. બંને લિવ-ઈનમાં રહેતાં હતાં, પરંતુ હોમ લોન લેવા માટે તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્ન સમયે ધર્મના અવરોધને દૂર કરવા ઈરફાન હિંદુ બનવા પણ તૈયાર હતા, પરંતુ બંનેએ પોતાની ઓળખ જાળવી રાખીને કોર્ટ મેરેજ કર્યા. લગ્ન બાદ પણ મુંબઈમાં ઘર શોધતી વખતે તેમને મુશ્કેલીઓ પડી હતી. 1993ના બોમ્બ બ્લાસ્ટ પછી હિંદુ-મુસ્લિમ હોવાના કારણે મકાન માલિકો પૂછપરછ કરતા, જે વાતનું ઈરફાનને ખૂબ દુઃખ થતું. તેઓ માનતા કે માણસની ઓળખ તેના ધર્મથી ન હોવી જોઈએ. અંતિમ સમયે પડછાયો બનીને સાથ આપ્યો ઈરફાનના કેન્સરના કપરા કાળમાં પણ સુતાપા તેમની સાથે પડછાયાની જેમ ઉભા રહ્યા. 'અંગ્રેજી મીડિયમ'ના શૂટિંગથી લઈને જીવનના છેલ્લા શ્વાસ સુધી સુતાપાએ ઈરફાનની સંભાળ રાખી. તેમની આ વાર્તા માત્ર એક પ્રેમ કહાની નથી, પણ બે અલગ વ્યક્તિત્વના એકાકાર થવાની સફર છે. ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરે 29 એપ્રિલ 2020ના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું હતું. ઇરફાનને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર એટલે કે એક પ્રકારનું રેયર કેન્સર હતુ, જેની સારવાર તેમણે લંડનમાં કરાવી હતી. ઇરફાને 5 માર્ચ 2018ના રોજ આ વાત જાહેર કરી હતી. ઈરફાન ખાનને ચાર વાર ફિલ્મફેર મળ્યો હતો ઈરફાન ખાને ‘મકબૂલ’, ‘લાઈફ ઈન અ મેટ્રો’, ‘લંચ બોક્સ’, ‘પીકુ’, ‘તલવાર’, ‘હિંદી મીડિયમ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમને ‘હાસિલ’ (નેગેટિવ રોલ), ‘લાઈફ ઈન અ મેટ્રો’ (બેસ્ટ એક્ટર), ‘પાન સિંહ તોમર’ (બેસ્ટ એક્ટર ક્રિટિક) તથા ‘હિંદી મીડિયમ’ માટે ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. ‘પાન સિંહ તોમર’ માટે એક્ટરને નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Read Original Article →