અંનતની વાટે આશાતાઈ:11 વાગ્યાથી ચાહકો ને સેલેબ્સ અંતિમ દર્શન કરી શકશે, સાંજે 4 વાગ્યે પંચતત્વમાં વિલીન થશે
ભારતીય સંગીતનો ઝળહળતો સિતારો હંમેશ માટે આથમી ગયો છે. સાત દાયકા સુધી પોતાના મધુર અવાજથી વિશ્વને મંત્રમુગ્ધ કરનાર સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. ગઈકાલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમને કાર્ડિયાક અરેસ્ટ અને છાતીમાં તકલીફ બાદ દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર આનંદ ભોંસલેએ આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરતા જ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સંગીત સામ્રાજ્ઞીની અંતિમ વિદાયની પ્રક્રિયા આજે સવારથી શરૂ થઈ ગઈ છે. સવારે 11 વાગ્યાથી ચાહકો અને મહાનુભાવો તેમના અંતિમ દર્શન કરી શકશે, ત્યારબાદ સાંજે 4:00 વાગ્યે મુંબઈના શિવાજી પાર્ક ખાતે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. લતા મંગેશકર-આશા ભોસલે, બંને બહેનોની સમાન સફર! લતા મંગેશકર અને આશા ભોસલે બંને બહેનો હતા. બંને ભારતની મહાન ગાયિકાઓ હતા. તેમની વચ્ચે ચાર વર્ષનો તફાવત હતો; લતા મંગેશકરનો જન્મ 1929માં થયો હતો, જ્યારે આશા ભોસલેનો જન્મ 1933માં થયો હતો. તેમના અવસાન વચ્ચે ચાર વર્ષનો તફાવત જોવા મળ્યો. લતાદીદીનું અવસાન 2022માં થયું હતું, જ્યારે આશાતાઈએ 2026માં અંતિમ શ્વાસ લીધા હતા. વધુમાં, બંનેનું અવસાન 92 વર્ષની વયે થયું હતું અને એ પણ રવિવારે જ. એટલું જ નહીં બંનેનું નિધન મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જ થયું. PM મોદીથી લઈને ફિલ્મી સિતારાઓએ એ દુઃખ વ્યક્ત કર્યું પીએમ મોદીએ કહ્યું- આશા ભોસલેનો અવાજ હંમેશા ગુંજતો રહેશે નરેન્દ્ર મોદીએ આશા ભોસલેના નિધન પર કહ્યું, 'ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને બહુમુખી અવાજોમાંના એક આશા ભોસલેજીના નિધનથી હું અત્યંત દુઃખી છું. તેમની અસાધારણ સંગીત યાત્રા, જે દાયકાઓ સુધી ચાલી, આપણી સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરતી રહી અને વિશ્વભરના અસંખ્ય હૃદયોને સ્પર્શી ગઈ. ભલે તેમની ભાવપૂર્ણ ધૂનો હોય કે જીવંત રચનાઓ, તેમના અવાજમાં એક કાલાતીત ચમક હતી. હું તેમની સાથેની મુલાકાતોને હંમેશા યાદ રાખીશ. મારી સંવેદનાઓ તેમના પરિવાર, પ્રશંસકો અને સંગીત પ્રેમીઓ સાથે છે. તેઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે અને તેમના ગીતો હંમેશા લોકોના જીવનમાં ગુંજતા રહેશે. રક્ષામંત્રી રાજનાથ સિંહએ દુઃખ વ્યક્ત કર્યું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું- અમારો સંબંધ ખૂબ જ ખાસ હતો પ્રખ્યાત ગાયિકા આશા ભોસલેના નિધન પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કહે છે કે, "આશા તાઈ અને મારો છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ ગાઢ સંબંધ હતો. તેમણે અનેક ભાષાઓમાં ઘણા ગીતો ગાયા... તેમના ગીતો આજે પણ દુનિયાભરમાં લોકપ્રિય છે. તેઓ વૈશ્વિક સ્તરે જાણીતા છે. જે રીતે લતા દીદીએ પોતાની ગાયકી પ્રતિભાથી દેશને ગૌરવ અપાવ્યું, તે જ રીતે આશા તાઈએ પણ કર્યું... તેમનું નિધન તેમના પરિવાર માટે એક મોટો આઘાત છે. અમે બધા દુઃખી છીએ. ભગવાન શોકગ્રસ્ત પરિવારને શક્તિ આપે અને તેમની આત્માને શાંતિ મળે." કરણ જોહરે કહ્યું- આશાજીનું સંગીત હંમેશા જીવંત રહેશે આશા ભોસલેના નિધન અંગે ઇન્સ્ટાગ્રામ પર લખતા કરણ જોહરે કહ્યું- "આજે આપણે એક લિજેન્ડ ગુમાવ્યા છે. આશાજી જેવું બીજું કોઈ નહોતું - એક એવો અવાજ જેણે ફક્ત એક પેઢી જ નહીં, પરંતુ સમગ્ર સિનેમા યુગને વ્યાખ્યાયિત કર્યો." "હું હંમેશા તેમના અવાજ, તેમની કલાત્મકતા અને તેમના વ્યક્તિત્વનો મોટો પ્રશંસક રહ્યો છું. આશાજી, તમારું સંગીત હંમેશા જીવંત રહેશે, અને અમે ખરેખર ભાગ્યશાળી માનીએ છીએ કે અમને તમારા જાદુનો અનુભવ કરવાની તક મળી. તમને શાંતિ અને શક્તિ મળે." શાહરુખ ખાને કહ્યું- 'મને આશાતાઈની ખૂબ જ યાદ આવશે' આશા ભોસલેના નિધન પર બોલતા શાહરુખ ખાને કહ્યું- ‘આશાતાઈના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમનો અવાજ ભારતીય સિનેમાના આધારસ્તંભોમાંનો એક રહ્યો છે અને આવનારી સદીઓ સુધી સમગ્ર વિશ્વમાં ગુંજતો રહેશે.’ ‘તે એક પ્રતિભા હતા જે સમયને પાર કરે છે. તેમણે હંમેશા મને પોતાનો પ્રેમ અને આશીર્વાદ આપ્યા; હું તેમને ખૂબ જ યાદ કરીશ. RIP, આશાતાઈ. તમને પ્રેમ.’ અનુ મલિક કહ્યું- 'મારી માતા જતા રહ્યા' આશા ભોસલેના નિધન અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા સંગીતકાર અનુ મલિકે કહ્યુ- ‘મારી માતા જતા રહ્યા. મારું પહેલું ગીત રિલીઝ થયું ત્યારે તે મારી પડખે ઉભા હતા.’ તે ખરેખર એક મહાન કલાકાર હતા. મારી સફળતામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સંજય દત્તે આશા ભોસલે સાથેના ફોટો પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ આપી આશા ભોસલેના નિધનથી સંજય દત્ત પણ ખૂબ જ દુ:ખી થયા છે. તેમણે તેમની સાથેના પોતાના જૂના ફોટોગ્રાફ્સ શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી અને દુઃખ વ્યક્ત કર્યું. જેકી શ્રોફે કહ્યું- 'આશાજી હંમેશા મારા માટે અમર રહેશે' આશા ભોસલેના નિધન પર પ્રતિક્રિયા આપતા એક્ટર જેકી શ્રોફે કહ્યું- ‘આઈ (આશાજી) મારામાં એટલા ઊંડા ઉતરી ગયા છે કે મને ક્યારેય એવું લાગશે નહીં કે તે હવે આપણી વચ્ચે નથી. તે હંમેશા મારા માટે અમર રહેશે.’ કરિયરમાં 12,000થી વધુ ગીતો ગાયા લેજન્ડરી સિંગર આશા ભોસલેએ દરેક શૈલીના ગીતોમાં પોતાના મધુર અવાજનો જાદુ પાથર્યો છે. તેમના અવાજની મીઠાશ એવી છે કે આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. પોતાના કરિયરમાં 12,000થી વધુ ગીતો ગાઈ ચૂકેલા આશા ભોસલે માટે સંગીતની સફર એટલી પણ સરળ ન હતી. 9 વર્ષની ઉંમરે જ પિતાનું છત્ર ગુમાવ્યું. જોકે, 14થી વધુ ભાષાઓમાં ગીતો ગાઈ ચૂકેલા આશા ભોંસલેના અવાજમાં 92 વર્ષની ઉંમરે પણ એ જ ખનક અને જાદુ યથાવત્ છે. જ્યારે એક સમય એવો પણ હતો જ્યારે આ જ અવાજને ખરાબ કહીને તેમને રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. 9 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી આશા ભોંસલે પ્રખ્યાત થિયેટર અભિનેતા અને શાસ્ત્રીય ગાયક 'દીનાનાથ મંગેશકર'નાં પુત્રી અને સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકરનાં નાનાં બહેન છે. જ્યારે તેઓ માત્ર 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું, જેના કારણે તેમણે તેમની બહેન લતા મંગેશકર સાથે મળીને પરિવારને ટેકો આપવા માટે ગાયન શરૂ કર્યું હતું. આશાની વિશેષતા એ છે કે તેમણે દરેક પ્રકારના ગીતોમાં પોતાને ઢાળ્યા. ભલે તે રોમેન્ટિક ગીતો હોય, કેબરે ગીતો હોય, ગઝલ હોય કે શાસ્ત્રીય સંગીત. દરેક શૈલીમાં તેમણે પોતાના અવાજની અમીટ છાપ છોડી. સાઉન્ડ રેકોર્ડિસ્ટે અવાજને ખરાબ ગણાવ્યો હતો આશા ભોસલેએ 50થી 90ના દાયકાની વચ્ચે ઓપી નૈયર, આરડી બર્મન, ખય્યામ અને બપ્પી લહેરી જેવા અનેક સંગીતકારો સાથે કામ કર્યું. ઘણા સદાબહાર ગીતો ગાયા, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમના અવાજને રિજેક્ટ કરીને રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી પાછો મોકલી દેવામાં આવ્યો હતો. આશા ભોસલે સંબંધિત આ સમાચાર પણ વાંચો… 1. 16 વર્ષની ઉંમરે પિતાની વયની વ્યક્તિ સાથે ભાગીને લગ્ન, પ્રેગ્નન્સી વખતે પતિએ મારીને કાઢી મૂક્યાં; સિંગરની કાળજું કંપાવતી સંઘર્ષગાથા 2. આશા ભોસલેના અવાજને ખરાબ કહી સ્ટુડિયોમાંથી કાઢી મૂક્યા હતા:12,000 ગીતો ગાઈ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, લતા દીદીના પડછાયામાંથી બહાર આવી અલગ ઓળખ બનાવી
Read Original Article →