આશા ભોસલેનું બાળપણ ઇન્દોરમાં વીત્યું હતું:સરાફા બજારના ગુલાબ જાંબુ અને રબડી પ્રિય હતાં; મધ્યપ્રદેશના મંત્રીએ શોક વ્યક્ત કર્યો
ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું આજે 92 વર્ષની વયે નિધન થયું. રવિવારે બપોરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધાં. શનિવારે સાંજે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ઇન્દોરના મુરાઈ મહોલ્લામાં બાળપણ વીત્યું મધ્ય પ્રદેશ સાથે તેમનો ઊંડો અને ભાવનાત્મક સંબંધ રહ્યો. તેમનું બાળપણ ઇન્દોરના છાવણી વિસ્તારના મુરાઈ મહોલ્લામાં વીત્યું, જેની યાદો તેઓ અવારનવાર શેર કરતા હતાં. ઇન્દોરની સંસ્કૃતિ અને વાતાવરણની તેમના વ્યક્તિત્વ પર ઊંડી અસર રહી. ઇન્દોરમાં રહેતા તેમના સંબંધી મનોજ બિનવાલેના જણાવ્યા અનુસાર, 'આશા તાઈને સિહોરના શરબતી ઘઉંની રોટલીઓ ખૂબ પસંદ હતી અને તેઓ ઘણીવાર ઇન્દોરથી ઘઉં મંગાવતાં હતાં. ઇન્દોરની ખાણી-પીણી સાથે તેમને ખાસ લગાવ હતો. સરાફાની ખાઉ ગલીના ગુલાબ જાંબુ, રબડી અને દહીંવડા તેમને ખૂબ જ પસંદ હતા. બાળપણમાં તેઓ સરાફા ચોપાટી જતાં હતાં.' 17 વર્ષ પહેલાં ઇન્દોર આવ્યાં હતાં આશા ભોસલે લગભગ 17 વર્ષ પહેલાં એક કાર્યક્રમમાં ઇન્દોર આવ્યાં, ત્યારે સયાજી હોટલમાં રોકાયા હતાં. તેમણે સંબંધીઓ પાસેથી ઘરનું ભોજન મંગાવ્યું હતું. તેઓ પોતે પણ નવી-નવી વાનગીઓ બનાવવાનાં શોખીન હતાં. ઇન્દોરમાં રહેતા સંબંધી મનોજ બિનવાલે જણાવે છે કે, 'બાળપણમાં આશા ભોસલે, તેમની બહેનો લતા મંગેશકર અને મીના તથા માતા સાથે છાવણીથી તોપખાના સુધી લગભગ 2.5 કિમી ચાલીને એક સમયનું ભોજન કરવા જતાં હતાં.' તેમના મતે, 'આશા તાઈને ઇન્દોર પ્રત્યે લતા મંગેશકર કરતાં પણ વધુ લગાવ હતો. તેઓ ઇન્દોર વધુ વખત આવતાં હતાં. ઓછી ઉંમરે લગ્ન થવાને કારણે તેઓ અહીં વધુ સમય વિતાવી શક્યા ન હતાં, પરંતુ ઇન્દોરનું નમકીન, સરાફાની મીઠાઈઓ અને સિહોરનો શરબતી ઘઉં તેમને હંમેશા પસંદ રહ્યા હતાં.' 'ઇન્દોર સાથે આત્મીય સંબંધ' મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીયે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, 'આશા ભોસલેના અવાજે ભારતીય સંગીતને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું અને ઇન્દોર સાથે તેમનો સંબંધ શહેર માટે ગર્વનો વિષય રહ્યો. તેમના પિતા દીનાનાથ મંગેશકરની નાટક કંપની સાથે પરિવાર થોડો સમય ઇન્દોરમાં રહ્યા હતા. આ દરમિયાન તેમની મોટી બહેન લતા મંગેશકરનો જન્મ ઇન્દોરમાં થયો હતો.' 12 હજારથી વધુ ગીતોનો વારસો આશા ભોસલેએ 20થી વધુ ભાષાઓમાં 12,000થી વધુ ગીતો ગાયા. તેમના ‘પિયા તૂ અબ તો આજા’, ‘દમ મારો દમ’, ‘ચુરા લિયા હૈ તુમને’, ‘ઇન આંખો કી મસ્તી’ જેવા ગીતો આજે પણ લોકપ્રિય છે. તેમણે ગઝલ, ભજન, પૉપ અને ક્લાસિકલ દરેક શૈલીમાં પોતાની ઓળખ બનાવી અને ઓપી નૈયર, આરડી બર્મન, એઆર રહેમાન જેવા સંગીતકારો સાથે કામ કર્યું.
Read Original Article →