92 વર્ષના આશા ભોંસલેને હાર્ટ એટેક:બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં દાખલ, હોસ્પિટલ કે પરિવારે સત્તાવાર નિવેદન આપ્યું નથી

Entertainment4/11/2026, 3:23:26 PM
92 વર્ષના આશા ભોંસલેને હાર્ટ એટેક:બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં દાખલ, હોસ્પિટલ કે પરિવારે સત્તાવાર નિવેદન આપ્યું નથી
બોલિવૂડના દિગ્ગજ ગાયિકા આશા ભોસલેને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ ડોકટરોની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે, પરંતુ તેમની હાલત અંગે હોસ્પિટલ કે પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આશા ભોસલેએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમનો 92મો જન્મદિવસ ઉજવ્યો હતો. ભાગીને લગ્ન કર્યા હતા, ઘરેલું હિંસાનો ભોગ બન્યા લેજન્ડરી સિંગર આશા ભોસલેએ દરેક શૈલીના ગીતોમાં પોતાના મધુર અવાજનો જાદુ પાથર્યો છે. તેમના અવાજની મીઠાશ એવી છે કે આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. પોતાના કરિયરમાં 12,000થી વધુ ગીતો ગાઈ ચૂકેલા આશા ભોસલે માટે સંગીતની સફર એટલી પણ સરળ ન હતી. 9 વર્ષની ઉંમરે જ પિતાનું છત્ર ગુમાવ્યું. 16 વર્ષની ઉંમરે જ્યારે આશા ભોંસલેએ પરિવારજનો વિરુદ્ધ મોટી બહેન લતા મંગેશકરના સેક્રેટરી ગણપતરાવ ભોંસલે સાથે ભાગીને લગ્ન કર્યા, ત્યારે લતાએ બહેન સાથે સંબંધ તોડી નાખ્યો. લગ્ન પછી આશા ભોંસલેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તેઓ ઘરેલું હિંસાનો શિકાર પણ બન્યા. એટલું જ નહીં, તેઓ જીવનથી એટલા નિરાશ થઈ ગયા હતા કે પોતાને ખતમ કરવા માંગતા હતા. જોકે, 14થી વધુ ભાષાઓમાં ગીતો ગાઈ ચૂકેલા આશા ભોંસલેના અવાજમાં 92 વર્ષની ઉંમરે પણ એ જ ખનક અને જાદુ યથાવત્ છે. જ્યારે એક સમય એવો પણ હતો જ્યારે આ જ અવાજને ખરાબ કહીને તેમને રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. 9 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી આશા ભોંસલે પ્રખ્યાત થિયેટર અભિનેતા અને શાસ્ત્રીય ગાયક 'દીનાનાથ મંગેશકર'નાં પુત્રી અને સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકરનાં નાનાં બહેન છે. જ્યારે તેઓ માત્ર 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું, જેના કારણે તેમણે તેમની બહેન લતા મંગેશકર સાથે મળીને પરિવારને ટેકો આપવા માટે ગાયન શરૂ કર્યું હતું. આશાની વિશેષતા એ છે કે તેમણે દરેક પ્રકારના ગીતોમાં પોતાને ઢાળ્યા. ભલે તે રોમેન્ટિક ગીતો હોય, કેબરે ગીતો હોય, ગઝલ હોય કે શાસ્ત્રીય સંગીત. દરેક શૈલીમાં તેમણે પોતાના અવાજની અમીટ છાપ છોડી. આર ડી બર્મનની માતાએ કહ્યું હતું કે લગ્ન મારી લાશ પર થશે આશા ભોંસલેએ બીજા લગ્ન સંગીતકાર આર ડી બર્મન સાથે 1980માં કર્યા. બંનેની પહેલી મુલાકાત 1966માં ફિલ્મ તીસરી મંઝિલના ગીત દરમિયાન થઈ હતી. આ પછી આશા ભોંસલેએ આર.ડી. બર્મનની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા. સતત કામ કરતા બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ, ખબર જ ન પડી. આર.ડી. બર્મને એક દિવસ તક મળતાં જ આશા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આશાએ તરત જ હા પાડી દીધી હતી, પરંતુ બર્મનની માતાએ લગ્ન માટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તેમણે બર્મેનને કહ્યું કે જો આ લગ્ન થશે તો મારી લાશ પર જ થશે. બર્મનની માતા લગ્ન માટે એટલા માટે ઇનકાર કરી રહ્યા હતા કારણ કે આશા બર્મન કરતાં 6 વર્ષ મોટી હતી અને તે 3 બાળકોની માતા હતી. ત્યારે બર્મને ચૂપચાપ માતાની વાત માની લીધી. જોકે, જ્યારે બર્મનના પિતા એસ.ડી. બર્મનનું અવસાન થયું, ત્યારે માતાની માનસિક સ્થિતિ બગડી ગઈ. આવી સ્થિતિમાં માતાની તબિયતમાં સુધારા માટે બર્મને 1980માં આશા ભોંસલે સાથે લગ્ન કરી લીધા હતા. આશા ભોસલેએ 50થી 90ના દાયકાની વચ્ચે ઓપી નૈયર, આરડી બર્મન, ખય્યામ અને બપ્પી લહેરી જેવા અનેક સંગીતકારો સાથે કામ કર્યું. ઘણા સદાબહાર ગીતો ગાયા, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમના અવાજને રિજેક્ટ કરીને રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી પાછો મોકલી દેવામાં આવ્યો હતો.
Read Original Article →