'તાનાજી'ની જોડી ફરી સાથે કામ કરશે?:અજય દેવગન અને ઓમ રાઉત 'અનસંગ વોરિયર' પર ફિલ્મ બનાવતા હોવાની ચર્ચા; ટીમે ખુલાસો કર્યો
અજય દેવગન અને ડિરેક્ટર ઓમ રાઉત ફરી એકવાર સાથે આવવાની ચર્ચાઓને નકારી કાઢવામાં આવી છે. તાજેતરમાં આવેલા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 'તાનાજી'ની આ સુપરહિટ જોડી વધુ એક 'અનસંગ વોરિયર' પર ફિલ્મ બનાવવા જઈ રહી છે. હવે અજય દેવગનની ટીમે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને આ સમાચારોને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. ટીમે સમાચારોને પાયાવિહોણા ગણાવ્યા
અજય દેવગન અને 'દેવગન ફિલ્મ્સ'ના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે તાજેતરમાં એવા મીડિયા રિપોર્ટ્સ જોયા છે, જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે, અજય દેવગન અને ઓમ રાઉત એક અનસંગ વોરિયર પર આધારિત ફિલ્મ માટે ફરીથી સાથે આવી રહ્યા છે.' 'અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે હાલમાં ડિરેક્ટર સાથે આવી કોઈ વાતચીત કે સહયોગ થઈ રહ્યો નથી. આ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે.' રિપોર્ટ્સમાં કરાયેલો ફિલ્મનો દાવો
નોંધનીય છે કે, આ પહેલા ઘણી વેબસાઈટ્સે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે અજય દેવગન વધુ એક ઐતિહાસિક ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અજય 'અનસંગ વોરિયર' કોન્સેપ્ટને એક મોટી ફ્રેન્ચાઈઝી બનાવવા માંગે છે અને આ માટે તેણે ઓમ રાઉત સાથે ઘણી રાઉન્ડની મીટિંગ પણ કરી છે. જોકે, ટીમે હવે સ્પષ્ટ કરી દીધું છે કે આવી કોઈ ફિલ્મ પર કામ ચાલી રહ્યું નથી. 'તાનાજી'એ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો હતો
અજય દેવગન અને ઓમ રાઉતની જોડીએ વર્ષ 2020માં 'તાનાજી: ધ અનસંગ વોરિયર' દ્વારા પહેલીવાર સાથે કામ કર્યું હતું. મરાઠા યોદ્ધા તાનાજી માલુસરેના જીવન પર આધારિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાન વિલનના રોલમાં હતો, જ્યારે કાજોલે તાનાજીની પત્ની સાવિત્રીબાઈનો રોલ કર્યો હતો. ફિલ્મની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેને 'બેસ્ટ પોપ્યુલર ફિલ્મ'નો નેશનલ એવોર્ડ મળ્યો હતો. હાલમાં બંને પોતપોતાના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે
પ્રવક્તાએ નિવેદનમાં આગળ જણાવ્યું કે, અજય દેવગન અને ઓમ રાઉત બંને હાલમાં પોતપોતાની ફિલ્મો અને પ્રોફેશનલ પ્રતિબદ્ધતાઓને પૂરી કરવામાં વ્યસ્ત છે. ટીમે મીડિયા અને સોશિયલ મીડિયા હેન્ડલ્સને વિનંતી કરી છે કે અજય દેવગન અથવા તેમના પ્રોડક્શન હાઉસ સંબંધિત કોઈપણ માહિતી પ્રકાશિત કરતા પહેલાં તેને સત્તાવાર રીતે ચકાસી લે. ફ્રેન્ચાઇઝી બનાવવાની ચર્ચા હતી
ફિલ્મ 'તાનાજી'ની સફળતા પછીથી જ ચાહકો આ જોડીને ફરીથી સાથે જોવા માટે રાહ જોઈ રહ્યા છે. ચર્ચા હતી કે અજય દેવગન ભારતીય ઇતિહાસના એવા યોદ્ધાઓની વાર્તાઓને પડદા પર લાવવા માંગે છે, જેના વિશે લોકો ઓછું જાણે છે. આ જ કારણોસર 'અનસંગ વોરિયર' સિરીઝના સમાચારોએ જોર પકડ્યું હતું.
Read Original Article →