'આવનારી પેઢી શાહરૂખ ખાનને યાદ નહીં રાખે':અભિજીત ભટ્ટાચાર્યે ફરી SRK પર નિશાન સાધ્યું, કહ્યું- 'તેના અહંકારના લીધે અમારા સંબંધોમાં તિરાડ પડી'
બોલિવૂડ સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ ફરી એકવાર શાહરૂખ ખાન પર નિશાન સાધ્યું છે. તાજેતરના એક પોડકાસ્ટમાં અભિજીતે જણાવ્યું કે તેમની વચ્ચે આવેલા અંતરનું સૌથી મોટું કારણ શાહરૂખનો 'અહંકાર' અને તેમનું પોતાનું 'આત્મસન્માન' છે. અભિજીત ભટ્ટાચાર્યએ શાહરૂખ સાથેના પોતાના ખરાબ સંબંધો પર ખૂલીને વાત કરી છે. તેમણે એમ પણ કહ્યુ કે, શાહરૂખે તેમની પાસે આજ સુધી એકવાર પણ માફી માંગી નથી. ‘શાહરૂખે ક્યારેય સોરી કહ્યું નથી’
પોડકાસ્ટમાં નિધિ વાસંદાણી સાથેની વાતચીત દરમિયાન અભિજીતે કહ્યું, 'શાહરૂખનો અહંકાર અને મારું સ્વાભિમાન જ આ તિરાડનું કારણ છે. શાહરૂખ મારાથી ઉંમરમાં નાના છે, છતાં જ્યારે ફરાહ ખાનના પતિએ તેમને ગાળો આપી, ત્યારે પણ શાહરૂખે તેમને ગળે લગાવ્યા. આમિર ખાને તો પોતાના શ્વાનનું નામ શાહરૂખ રાખી દીધું હતું, પરંતુ તેમ છતાં તેઓ મિત્રો બની ગયા. મને દુઃખ એ વાતનું છે કે, તેઓ આટલા મોટા માણસ છે, પણ તેમણે એકવાર પણ સોરી કહ્યું નથી.' 'આગળની પેઢી શાહરૂખને ભૂલી જશે'
અભિજીતે સુપરસ્ટાર્સની તુલના સિંગર્સ સાથે કરતા કહ્યું કે, 'આવનારી પેઢી એક્ટર્સને નહીં પણ સિંગર્સને યાદ રાખે છે.' તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, 'આજે લોકો એ પણ નથી જાણતા કે રાજેશ ખન્ના કોણ હતા, જ્યારે તેઓ ખૂબ મોટા સુપરસ્ટાર હતા.' 'લોકો કિશોર કુમાર અને રફીના ગીતો સાંભળે છે, પરંતુ તેમને એ નથી ખબર હોતી કે, આ ગીતો રાજેશ ખન્ના પર ફિલ્માવવામાં આવ્યા હતા. આગળની પેઢી એ નહીં જાણી શકે કે આ ગીતો શાહરૂખ પર હતા, તેઓ ફક્ત સિંગરને યાદ રાખશે.' 'મેં હું ના' ફિલ્મથી શરૂ થયો વિવાદ
વિવાદના મૂળ વિશે વાત કરતા અભિજીતે જણાવ્યું કે, 'મેં હું ના' ફિલ્મના ક્રેડિટ્સમાં સિંગર્સને સન્માન આપવામાં આવ્યું ન હતું, જેનાથી તેમને ખૂબ દુઃખ થયું. તેમણે શાહરૂખને 'વ્યાપારી વ્યક્તિ' (કમર્શીયલ મેન) ગણાવતા કહ્યું કે, તેઓ સફળતાના માર્ગમાં કોઈને પણ હટાવી શકે છે અને લોકોનો ઉપયોગ કરે છે. અભિજીતે સ્પષ્ટ કર્યું કે, તેમણે શાહરૂખ માટે ગીત ગાવાનું એટલા માટે બંધ કર્યું કારણ કે તેઓ દુઃખી અનુભવી રહ્યા હતા, આ કોઈ અહંકાર ન હતો.
Read Original Article →