કપડાં આપીને શૂદ્ર મહિલાઓ સાથે સંબંધ બાંધતા નંબુદરી બ્રાહ્મણો:બાળકોને હાથ પણ નહોતા લગાવતા, પરિણીત મહિલાઓ પણ આ પરંપરા કેમ માનતી
કેરલમનો ત્રાવણકોર વિસ્તાર. એક બ્રાહ્મણ પુરુષ તૈયાર થઈને નાયર વસતીમાં જાય છે. ત્યાં એક ઘરની બહાર સ્નાન કરે છે. કપડાં બદલે છે. એક અન્ય બ્રાહ્મણ તેને જમવાનું પીરસે છે. પછી તે ચપ્પલ ઉતારીને અંદર ચાલ્યો જાય છે, જ્યાં એક મહિલા તેની રાહ જોઈ રહી હોય છે. જ્યારે મહિલાનો પતિ પાછો ફરે છે અને તેને ઘરની બહાર એક માણસના ચપ્પલ દેખાય છે, તો તે કંઈપણ બોલ્યા વગર પાછો ફરી જાય છે. કારણ કે તે સમજી જાય છે કે તેની પત્ની એક નંબુદરી બ્રાહ્મણ પુરુષ સાથે સંબંધમમાં છે. આ કિસ્સો કેરલમની દાયકાઓ જૂની પરંપરા ‘સંબંધમ’નો છે, જેમાં નંબુદરી બ્રાહ્મણ નાયર મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધી શકતા હતા. અત્યારે કેરલમમાં ચૂંટણીઓ થવાની છે. આજે કહાની આ જ ‘સંબંધમ’ની... એકથી વધુ પુરુષો સાથે સંબંધ બાંધી શકતી હતી નાયર મહિલાઓ લગ્ન પછી પણ પત્નીને ઘરે નહોતા લઈ જતા નંબુદરી બ્રાહ્મણ કોચ્ચિના રાજાનો 16 વર્ષની છોકરી સાથે સંબંધમ સંબંધમ, શોષણ છે કે માતૃસત્તાનું પ્રતીક કેરલમથી કોંગ્રેસના લોકસભા સાંસદ અને લેખક શશિ થરૂર સંબંધમ પર લખે છે, ‘નાયર સમાજના પુરુષો ત્યારે જ પોતાની પત્નીઓ પાસે જઈ શકતા હતા, જ્યારે તેમના ઘરની બહાર કોઈ અન્ય પુરુષના ચપ્પલ ઉતારેલા ન રાખ્યા હોય.’ CPI(M)ના પૂર્વ સાંસદ સુભાષિની અલી સંબંધમને નાયર મહિલાઓનું શોષણ અને જ્ઞાતિગત ભેદભાવ ગણાવે છે. તેઓ કહે છે, ’નાયર પરિવારોમાં ઘરની બહાર એક જગ્યા હતી- મડમ. નંબુદરી પુરુષો પહેલા અહીં આવતા. એક નીચલા દરજ્જાના પંડિત તેમના માટે જમવાનું બનાવતા. મડમમાં પુરુષો જમતા, સ્નાન કરતા અને કપડાં બદલતા. પછી નાયર મહિલાના રૂમમાં જતા. તેમના પરિવારના કોઈ અન્ય સભ્યને અડતા નહીં. ન તો તેમના સંબંધથી જન્મેલા બાળકોને હાથ લગાવતા.’ જોકે, તમામ ઇતિહાસકારો એવું નથી માનતા. કેટલાકનું કહેવું છે કે સંબંધમ પરંપરા નાયર જ્ઞાતિમાં માતૃસત્તા અને મહિલાઓની આઝાદીનું પ્રતીક હતી. ઇતિહાસકાર કે. એમ. પણિક્કરના જણાવ્યા મુજબ, બહુપત્નીત્વના રેકોર્ડ 16મીથી 18મી શતાબ્દી વચ્ચે અંગ્રેજોએ નોંધ્યા છે. તેમને નાયરોના ઘરના 60 ગજ, એટલે કે 200 ફૂટના દાયરામાં આવવાની પણ છૂટ નહોતી, તેથી આ રેકોર્ડ ભરોસાપાત્ર નથી. તે સમયના મલયાલી સાહિત્યમાં બહુપત્નીત્વનો કોઈ ઉલ્લેખ નથી. 19મી સદીની શરૂઆતમાં બ્રિટિશ ઓફિસર ડૉ. ફ્રાન્સિસ બુચાનન જ્યારે સર્વે માટે કેરલમ પહોંચ્યા તો તેમણે સંબંધમ વિશે લખ્યું- નાયર મહિલાઓ પોતાના પ્રેમીઓમાં અનેક બ્રાહ્મણો, રાજાઓ અને ઉચ્ચ કુળના પુરુષો હોવા પર ગર્વ કરતી હતી. કેરલમના ઇતિહાસકાર નંદકુમાર જણાવે છે કે સંબંધમ પરથી ખબર પડે છે કે તે સમયના કેરલમમાં મહિલાઓ આજ કરતા પણ વધુ શક્તિશાળી હતી. તેઓ પોતાનો સાથી પોતે પસંદ કરી શકતી હતી. તેમને લગ્ન પછી પોતાનું ઘર છોડવું પડતું નહોતું, પરંતુ પુરુષો તેમને મળવા તેમના ઘરે આવતા હતા. તેમનું નામ પણ બદલવામાં આવતું નહોતું. શું સંબંધમ નસ્લ સુધારવાની ટેકનિક? સુભાષિની અલી જણાવે છે કે RSSના બીજા સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરે સંબંધમને નસ્લ સુધારવાની પ્રાચીન રીત ગણાવી હતી. દિલ્હી યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર શમસુલ ઈસ્લામના જણાવ્યા મુજબ, 17 ડિસેમ્બર 1960ના રોજ ગુજરાત યુનિવર્સિટીમાં આપેલા ભાષણમાં ગોલવલકરે આ વાત કહી હતી. ગોલવલકરે કહ્યું… 'આજે ક્રોસ બ્રીડિંગનો પ્રયોગ માત્ર પ્રાણીઓ પર થાય છે. આધુનિક વૈજ્ઞાનિકો પણ એવું કરવાનું વિચારી શકતા નથી. પરંતુ આપણા પૂર્વજોએ એવું કર્યું છે. માનવીય નસ્લને બહેતર બનાવવા માટે નંબુદરી બ્રાહ્મણોમાં માત્ર મોટા ભાઈના લગ્ન બ્રાહ્મણ છોકરી સાથે થતા. બાકીના વૈશ્ય, ક્ષત્રિય કે શૂદ્ર છોકરી સાથે લગ્ન કરતા. બીજો નિયમ હતો કે કોઈ પણ પરિણીત મહિલાનું પહેલું બાળક નંબુદરી બ્રાહ્મણથી થશે. ત્યારબાદ તેના પતિથી. આજે આ પ્રયોગને વ્યભિચાર કહેવામાં આવશે, પરંતુ તે માત્ર પહેલા બાળક સુધી સીમિત હતો.' અંગ્રેજોના કાયદાઓથી લાગી સંબંધમ પર રોક 19મી સદી સુધી ભારતમાં અંગ્રેજી હુકુમત સ્થપાઈ ગઈ હતી. અંગ્રેજોએ સંબંધમને અસભ્ય ગણાવ્યું. બાકીના રાજ્યો પણ આ પરંપરાનો વિરોધ કરતા. એક મદ્રાસી અખબારે લખ્યું, 'મલયાલી લોકો આખા હિન્દુ સમુદાયમાં સૌથી આળસુ અને ઘરથી દૂર રહેનારા છે. વારસદાર પસંદ કરવાની તેમની અજીબોગરીબ રીત અને અનૈતિક લગ્નની ઘૃણાસ્પદ પ્રથાએ ચારિત્ર્ય પર ખરાબ પ્રભાવ પાડ્યો છે.' ઇતિહાસકાર કુંજુલક્ષ્મી શારદામોનીના જણાવ્યા મુજબ, 'સ્થિતિ ત્યારે વધુ બગડી, જ્યારે સંબંધમ કરનારી મહિલાઓને રખેલ અને તેમના બાળકોને નાજાયઝ કહેવામાં આવવા લાગ્યા.' અંગ્રેજોના કાયદાઓએ આ પરંપરાને પ્રભાવિત કરી. નાયર એક્ટ, 1912થી પત્ની અને બાળકોને મિલકત તથા ભરણ-પોષણનો અધિકાર મળ્યો. નાયર પરિવારો જેમ-જેમ મોટા થતા ગયા, તેમ-તેમ તેમનામાં મિલકતને લઈને પરસ્પર કલહ પણ વધ્યા. 1897થી 1907માં ત્રાવણકોરમાં આવા પારિવારિક કલહના અંદાજે 500 કેસો નોંધાયા. આને ઉકેલવા માટે નાયર એક્ટ, 1925 લાવવામાં આવ્યો. નાયર પરિવારોને વિભાજનનો અધિકાર મળ્યો. સંબંધમને કાનૂની લગ્નની માન્યતા મળી, પરંતુ બહુપત્નીત્વ પર રોક લાગી અને ધીમે-ધીમે આ પ્રથા ખતમ થઈ ગઈ. આજની રાજનીતિ પર સંબંધમની કોઈ અસર છે? જોકે, સેન્ટર ફોર પબ્લિક પોલિસી રિસર્ચના ડાયરેક્ટર ડૉ. ધનુરાજ કહે છે, ‘મેં તો સંબંધમ વિશે કેરલમમાં ક્યારેય નથી સાંભળ્યું. ન મીડિયામાં અને ન તો રાજકીય ગલિયારાઓમાં. ચૂંટણી પર આની કોઈ અસર નથી. સંબંધમને મુદ્દો બનાવીને તમે ચૂંટણી જીતી શકતા નથી.’ કેમ્બ્રિજ યુનિવર્સિટીના મેગેઝિન મોર્ડન એશિયન સ્ટડીઝના એક આર્ટિકલમાં કેરલમ પોલિટિક્સનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. તે મુજબ, ‘કેરલમમાં બીજેપી-સંઘનું ફોકસ માત્ર ચૂંટણી જીતવામાં નથી, પરંતુ લોન્ગ ટર્મ સોશિયલ અને કલ્ચરલ બદલાવ પર છે. બીજેપી-સંઘ અહીં હિન્દુત્વનું વાતાવરણ બનાવીને હિન્દુઓને એકજૂથ કરવા માંગે છે.’
Read Original Article →