ઝૂંપડાંમાં છુપાયા હતા પહેલગામ આતંકી, ચોખા ખવડાવીને આશરો આપ્યો:NIAની ચાર્જશીટ- ખજૂર અને સિગારેટ સાથે લાવ્યા હતા; 1113 લોકોની પૂછપરછ

DvB Original4/22/2026, 4:30:00 AM
ઝૂંપડાંમાં છુપાયા હતા પહેલગામ આતંકી, ચોખા ખવડાવીને આશરો આપ્યો:NIAની ચાર્જશીટ- ખજૂર અને સિગારેટ સાથે લાવ્યા હતા; 1113 લોકોની પૂછપરછ
કાશ્મીરમાં પોની સવાર બશીર અહેમદ અને પરવેઝ અહેમદે પહેલગામ હુમલાખોરોને તેમના ઘરે રાખ્યા, એટલું જ નહીં પણ લોકેશનની વિગતો પણ આપી. તેઓએ આતંકવાદીઓને પોતાની ઢોક એટલે ઝૂંપડીમાં ચા પાઈ અને ભોજન કરાવ્યું, શાકભાજી અને રોટલી પોલીથીન બેગમાં પેક કરી આપ્યા. તેઓ મુજાહિદ્દીન છે તે જાણતા હોવા છતાં તેઓએ પોલીસ કે સુરક્ષા દળોને જાણ ન કરી. આ ખુલાસો NIA ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન, NIAએ કુલ 1,113 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા- 31 શાલ ફેરિયાઓ, 543 ઢોક (ઝૂંપડીમાં રહેતા), 117 પોની ચલાવનારા, 69 પશુ માલિકો, 42 ફોટોગ્રાફરો, 54 ઢાબા-આધારિત વિક્રેતાઓ, 36 ટિકિટ કાઉન્ટર અને ચા વિક્રેતાઓ, 25 ટેક્સી ડ્રાઇવરો, 19 દુકાન માલિકો અન્ય જિલ્લાઓના 23 શંકાસ્પદ લોકો અને 54 અન્ય લોકો સામેલ હતા. ચાર્જશીટ મુજબ, હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં બેઠેલા સાજિદ સૈફુલ્લા જટ ઉર્ફે અલી ભાઈએ ઘડ્યું હતું, જે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો છે. NIAએ તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. તેણે જ હુમલા માટે લોકેશન જણાવ્યું હતું અને કોર્ડિનેટ્સ મોકલ્યા હતા. ત્રણ પાકિસ્તાની આતંકીઓ ભારતમાં ઘૂસ્યા અને હુમલો કર્યો. પહેલગામ હુમલાની પ્રથમ વરસી પર વાંચો ઇનસાઈડ સ્ટોરી… સાક્ષીનો ખુલાસો: બશીરને હથિયારધારી લોકો સાથે જતો જોયો ચાર્જશીટમાં એક સાક્ષીને X-1 નામ આપવામાં આવ્યું છે. તેણે ખુલાસો કર્યો, ‘હું હિલ પાર્કના રસ્તે ઘરે પરત ફરી રહ્યો હતો. મેં બશીર અહમદ જોઠારને હથિયારોથી સજ્જ ત્રણ લોકોને ઈશારો કરતા જોયો. પછી તમામને બશીરના ભાણેજ પરવેઝ અહમદની ઝૂંપડીમાં જતા જોયા. હું પરવેઝને પણ ઓળખું છું.' 'બીજા દિવસે એટલે કે 22 એપ્રિલે હું રૂટિન કામ માટે બૈસરન ખીણ ગયો. અઝાનના સમયની આસપાસ મેં પરવેઝ અહમદ અને બશીર અહમદ જોઠારને ત્યાં ટહેલતા જોયા.’ હુમલા સમયે X–1 ઘટનાસ્થળે જ હતો. ત્રણેય આતંકીઓએ તેને પણ રોક્યો અને કલમા પઢવા કહ્યું. કલમા પઢ્યા પછી તેને જવા દીધો. દૂરથી તેણે આતંકીઓને ગોળીબાર કરતા જોયા. X–1 એ ત્રણેય આતંકીઓની ઓળખ કરી છે. પરવેઝ બોલ્યો- મામા અંદર આવ્યા અને અમને ચૂપ રહેવા કહ્યું પરવેઝ અહમદે પૂછપરછમાં જણાવ્યું, ‘21 એપ્રિલ, 2025ના રોજ સાંજે 5 વાગ્યે હું અને મારી પત્ની ઘરમાં ચા બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે મારો મામા બશીર અહમદ જોઠાર અંદર આવ્યો અને અમને ચૂપ રહેવા કહ્યું. તે બહાર ગયો અને થોડી મિનિટો પછી પાછો આવ્યો. તેની પાછળ ત્રણ લોકો હતા, જેમના હાથમાં હથિયાર હતા.’ ‘તેઓ અંદર આવીને બેસી ગયા. પાણી માંગતા બોલ્યા કે તેઓ બહુ દૂરથી આવ્યા છે, થાકેલા અને તરસ્યા છે. પાણી પીધા પછી તેમણે કહ્યું કે અલ્લાહના માર્ગમાં લડનારા અને કાશ્મીરી મુસ્લિમોની આઝાદી માટે જેહાદ કરનારાઓને પાણી પીવડાવવા બદલ મને સવાબ મળશે.’ ‘તેઓ ઉર્દૂ બોલી રહ્યા હતા, જેમાં પંજાબી ટચ હતો. તેઓ કાશ્મીરી લાગતા નહોતા. મને અહેસાસ થયો કે તેઓ મુજાહિદ હતા. તેમણે મને બેગ અને પાઉચ છુપાવવા કહ્યું. મેં તેમને ઢોક (ઝૂંપડી) માં પડેલા ધાબળા અને પથારી નીચે છુપાવી દીધા. પત્ની તાહિરાને બધા માટે ચા બનાવવાનું કહ્યું. ત્રણેય મુજાહિદ ઢોકની દીવાલના ટેકે બેઠા હતા.‘ આ ખુલાસા બાદ બશીર અહમદ જોઠારની પૂછપરછ કરવામાં આવી. બશીર અને પરવેઝની 22 જૂન, 2025ના રોજ ધરપકડ કરવામાં આવી. બશીરનો ખુલાસો: ઝાડ પાછળથી ત્રણ હથિયારધારી લોકો આવ્યા બશીર અહમદ જોઠારે ખુલાસો કર્યો કે 19 અને 20 એપ્રિલે પાણીને કારણે હું બૈસરન ખીણ ગયો નહોતો. 21 એપ્રિલે સાંજે 4 વાગ્યાની આસપાસ મારા ઘોડાને જોવા જંગલમાં ગયો. ત્યારે ઝાડ પાછળથી ત્રણ હથિયારધારી વ્યક્તિઓ સામે આવ્યા. તેમણે મને કહ્યું કે અમને સુરક્ષિત જગ્યાએ લઈ ચલો અને અલ્લાહના નામે ખાવાનું આયોજન કરો. આ સાંભળતા જ મને અહેસાસ થઈ ગયો હતો કે આ મુજાહિદ છે. હું તેમને પરવેઝના ઢોક પાસે લઈ ગયો અને કહ્યું કે અહીં રોકાઈને મારા સિગ્નલની રાહ જોજો. હું પરવેઝના ઢોકમાં અંદર ગયો અને પરવેઝ-તાહિરાને ચૂપ રહેવા કહ્યું. આસપાસ નજર કર્યા પછી મેં તેમને હાથથી ઈશારો કર્યો. પછી તેઓ મારી પાછળ-પાછળ પરવેઝના ઢોકમાં અંદર આવ્યા. તેઓ એકબીજાને ભાઈજાન કહી રહ્યા હતા. તાહિરાએ બધા માટે ચા બનાવી. નાના કદના એક મુજાહિદે જમવાનું બનાવવા કહ્યું. મેં તાહિરાને ચોખા અને કાચા ટામેટાં બનાવવાનું કહ્યું. જમતી વખતે તેમણે મારી સાથે અમરનાથ યાત્રા વિશે વાત કરી. સિક્યોરિટી કેમ્પ્સ અને વિસ્તારમાં જવાનોની મૂવમેન્ટ વિશે પૂછ્યું. તેઓ અમારી સાથે ઉર્દૂ અને પંજાબીમાં વાત કરી રહ્યા હતા. અંદરોઅંદર પંજાબીમાં વાત કરતા હતા. તેમની વાતચીતમાં મેં સાજિદનું નામ સાંભળ્યું. જમ્યા પછી તેમણે તાહિરાને રોટલી પેક કરવા કહ્યું. હળદર, મરચું અને મીઠું પણ લઈ ગયા હતા બશીરે આગળ જણાવ્યું, ‘પરવેઝે જૂના કાપડના ટુકડામાં 10 રોટલી પેક કરી દીધી અને એક પોલિથીનમાં શાક રાખી દીધું. મુજાહિદોએ એક પોલિથીનમાં હળદર, મરચું અને મીઠું પણ લઈ લીધું. તેમણે પરવેઝના ઢોકમાંથી એક તપેલું અને કડછી પણ લઈ લીધા. મેં ઢોકને પાણીથી બચાવવા માટે જે મોટી પોલિથીન રાખી હતી, એક મુજાહિદે તે પણ લઈ લીધી.’ તેમની પાસે સિગારેટ, ટોફી અને ખજૂર પણ હતા. તેઓ લગભગ 5 કલાક ઢોકમાં રહ્યા અને રાત્રે 10 વાગ્યે એક-એક કરીને નીકળી ગયા. બહાર નીકળતી વખતે નાના કદના મુજાહિદે પરવેઝને 3 હજાર રૂપિયા આપ્યા. મુજાહિદોના ગયાની 5 મિનિટ પછી હું પણ નીકળી ગયો. ‘22 એપ્રિલે સવારે 10 વાગ્યાની આસપાસ હું પરવેઝને હિલ પાર્ક પોની સ્ટેન્ડ પાસે મળ્યો. અમે અમારા ઘોડા પર બે પ્રવાસીઓને લઈને બૈસરન ખીણ પહોંચ્યા. તેમને મેઈન ગેટ પર છોડ્યા પછી પરવેઝ અને મેં ઘોડાઓને મેઈન ગેટ પાસે જ બાંધી દીધા. અમે પાર્કમાં ટહેલતા હતા, ત્યારે અમે તે જ ત્રણ લોકોને પાર્કની ફેન્સિંગ પાસે બેઠેલા જોયા.’ ‘અમે તરત જ મેઈન ગેટ તરફ આવ્યા અને જે પ્રવાસીઓને લઈને ગયા હતા, તેમના આવવાની રાહ જોવા લાગ્યા. 1 વાગ્યાની આસપાસ પોની સ્ટેન્ડથી નીકળી ગયા. હું પહેલગામ માર્કેટમાં હતો, ત્યારે મને એક પોનીવાળાએ જણાવ્યું કે બૈસરનમાં આતંકી હુમલો થયો છે, જેમાં ઘણા પ્રવાસીઓ માર્યા ગયા છે. હુમલા પછી મેં હિલ પાર્ક વાળો ઢોક છોડી દીધો અને ખૈૈયારમાં મારા ઘરે શિફ્ટ થઈ ગયો. પકડાઈ જવાના ડરથી કોઈની સાથે આ વિશે વાત ન કરી.’ એન્કાઉન્ટરમાં ત્રણેય આતંકવાદીઓ ઠાર 28 જુલાઈ, 2025ના રોજ શ્રીનગરના ડાચીગામની મહાદેવ હિલ્સમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. તેમની પાસેથી મળેલા હથિયારોની ફોરેન્સિક તપાસથી પુષ્ટિ થઈ કે તે જ હથિયારો બૈસરનમાં થયેલા હુમલામાં વપરાયા હતા. આ એન્કાઉન્ટર દરમિયાન એક GoPro કેમેરા મળ્યો. મોબાઈલ ડેટાના એનાલિસિસથી ટેરરિસ્ટ નેટવર્ક સાથેનું કનેક્શન સાબિત થયું. તપાસમાં જાણવા મળ્યું કે 21 ડિસેમ્બર 2023ના રોજ સેનાના વાહન પર હુમલો, 4 મે 2024ના રોજ વાયુસેનાના વાહન પર હુમલો, 9 જૂન 2024ના રોજ શિવ ખોરી યાત્રી હુમલો, 20 ઓક્ટોબરે APCO કંપની પર હુમલો અને 22 એપ્રિલ 2025ના રોજ બૈસરનમાં થયેલા હુમલામાં રિકવર થયેલા હથિયારો એકસમાન હતા. તપાસમાં સાબિત થયું કે ત્રણેય ટેરરિસ્ટને પાકિસ્તાનમાં બેઠેલા લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સાજિદ જટ પાસેથી સૂચનાઓ મળી રહી હતી. હુમલો એક સુનિયોજિત કાવતરું હતું, જે પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવ્યું હતું અને સ્થાનિક સ્તરે મદદ લેવામાં આવી હતી. સાજિદ જટ સીધો એક આતંકી સુલેમાનના સંપર્કમાં હતો. સુલેમાનના ફોનમાં alpine quest app ડાઉનલોડ હતી. આ એપ પર ઇન્ટરનેટ વગર પણ કોઈ લોકેશનના કોઓર્ડિનેટ્સ મળી જાય છે. એપમાં પહેલેથી જ બૈસરન ખીણનું લોકેશન સેટ હતું. ઘટનાસ્થળેથી મળી આવેલા ધાબળા, સામાન પર બશીર અને પરવેઝના DNA મળ્યા. મોબાઈલ ફોનની તપાસમાં જાણવા મળ્યું કે આતંકીઓના ફોન પાકિસ્તાનમાં ખરીદવામાં આવ્યા હતા અને તેમાં તેમના ફોટા પણ હતા. કોલ ડિટેલ રેકોર્ડ એટલે કે CDR પરથી એ પણ સાબિત થયું કે બશીર અને પરવેઝ ઘટના સમયે તે જ વિસ્તારમાં હાજર હતા. બંને સ્થાનિક આરોપીઓએ અગાઉથી જ મોટા પ્રમાણમાં રાશન ખરીદ્યું હોવાના પુરાવા પણ મળ્યા છે. આશંકા છે કે તેઓ પહેલેથી જ આતંકીઓને સપોર્ટ આપવાની તૈયારીમાં હતા. હુમલામાં લશ્કર-એ-તૈયબા અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સામેલ હતા. કાશ્મીરમાં ડરનો માહોલ બનાવવો, પ્રવાસન પ્રવૃત્તિઓ અટકાવવી અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ વધારવી એ તેનો હેતુ હતો. કેસ અત્યારે ટ્રાયલ સ્ટેજમાં NIA પોલીસ સ્ટેશન જમ્મુમાં FIR નંબર RC-02/2025/NIA/JMU હેઠળ 27 એપ્રિલ 2025ના રોજ કેસ નોંધાયો હતો. આ કેસ NIA એક્ટ 2008 હેઠળ જમ્મુની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને ચાર્જશીટ નંબર 03/2025 દાખલ થઈ ચૂકી છે. કેસ ટ્રાયલ સ્ટેજમાં છે. આ પછી આરોપ નક્કી કરવામાં આવશે અને ટ્રાયલ થશે, જેમાં સાક્ષીઓના નિવેદનો અને પુરાવા રજૂ કરવામાં આવશે. તમામ પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટ ચુકાદો આપશે.
Read Original Article →