કેપ્ટન બાબા-એકનાથ શિંદે વચ્ચે 17 વાર કોલ કેમ થયા:CM બદલવા માટે પૂજાનો દાવો કેટલો સાચો, ખરાતનું પોલિટિકલ કનેક્શન

DvB Original4/11/2026, 12:30:00 AM
કેપ્ટન બાબા-એકનાથ શિંદે વચ્ચે 17 વાર કોલ કેમ થયા:CM બદલવા માટે પૂજાનો દાવો કેટલો સાચો, ખરાતનું પોલિટિકલ કનેક્શન
પૂજા-પાઠના નામે રેપના આરોપોમાં ઘેરાયેલા કેપ્ટન બાબા ઉર્ફે અશોક ખરાતના મોટા નેતાઓ સાથેના કનેક્શન સામે આવ્યા છે. સોશિયલ એક્ટિવિસ્ટ અંજલિ દમાનિયાનો દાવો છે કે ખરાતની મહારાષ્ટ્રના પૂર્વ CM એકનાથ શિંદે સાથે 17 વાર વાત થઈ હતી. ખરાત અને મહારાષ્ટ્ર મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ રૂપાલી ચાકણકર વચ્ચે 177 વાર ફોન કોલ થયા. આ વાત ખરાતના કોલ ડેટા રેકોર્ડ (CDR) પરથી જાણવા મળી છે. અંજલિના જણાવ્યા મુજબ, કોલ ડેટા રેકોર્ડ પરથી 8 નેતાઓના નામ સામે આવી ચૂક્યા છે. જેમાં NCP (અજિત જૂથ)ના સુનીલ તટકરે, BJPના ચંદ્રકાંત પાટીલ અને આશિષ શેલાર, શિવસેના (શિંદે જૂથ)ના સંજય શિરસાટ, દીપક લોંઢે અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના મિલિંદ નાર્વેકર પણ સામેલ છે. દાવો- અજિત પવારના પ્લેન ક્રેશના એક દિવસ પહેલા અને પછી ખરાતના એકાઉન્ટમાં 92 વાર પૈસા આવ્યા અંજલિનો દાવો છે, ‘અશોક ખરાતે અજિત પવારના પ્લેન ક્રેશના એક દિવસ પહેલા, અકસ્માતના દિવસે અને એક દિવસ પછી સમતા પતસંસ્થા બેંક ખાતામાં ઘણા મોટા ટ્રાન્ઝેક્શન કર્યા હતા. અકસ્માતના દિવસે 28 જાન્યુઆરીએ ટ્રાન્ઝેક્શનના 19 મેસેજ, એક દિવસ પહેલા 17 અને એક દિવસ પછી એટલે કે 29 જાન્યુઆરીએ 10 મેસેજ આવ્યા હતા.’ ‘21થી 29 જાન્યુઆરી સુધી કુલ 92 વાર એકાઉન્ટમાં ક્રેડિટના મેસેજ આવ્યા. આ મેસેજ ત્યારે જ આવે છે, જ્યારે બેંક ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા હોય. જો આ મેસેજનું સોર્સ ખબર પડે તો મોટા ષડયંત્રનો પર્દાફાશ થઈ શકે છે. મેં SIT પાસે આ લેવડ-દેવડની તપાસ કરવાની માંગ કરી છે.’ અજાણ્યા શખ્સે મોકલ્યો કોલ ડિટેલ રિપોર્ટ, સરકાર તપાસ કરાવશે અંજલિ કહે છે, ‘મને વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. તેમાં અશોક ખરાતના કોલ ડેટા રેકોર્ડ્સ હતા. મેં ક્લાઉડ AI દ્વારા શોધી કાઢ્યું કે ખરાતના મોબાઈલ ફોન પરથી ક્યારે, કોને અને કેટલી વાર કોલ કરવામાં આવ્યો. આના પરથી જ પૂર્વ CM એકનાથ શિંદે સાથે ફોન પર 17 વાર વાતચીત થઈ હોવાનું જાણવા મળ્યું.’ ‘કોલ ડેટા પરથી એ પણ ખબર પડી કે રાજ્ય મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ રૂપાલી ચાકણકર અને ખરાત વચ્ચે 33,727 સેકન્ડ સુધી વાત થઈ. તેમની બહેન પ્રતિભા ચાકણકરે ખરાતને 236 વાર કોલ કર્યો.’ અંજલિએ CDR વિશે SIT સાથે વાત કરી છે. DGP સદાનંદ દાતેને આની જાણકારી આપવા માટે સમય માંગ્યો છે. શું આ લિસ્ટમાં BJP-NDA સાથે જોડાયેલા મોટા લીડર પણ છે? અંજલિ કહે છે, ‘મેં CDRમાં દેવેન્દ્ર ફડણવીસ, ગિરીશ મહાજન, પ્રવીણ દરેકર અને પ્રસાદ લાડ જેવા મોટા નેતાઓના નામ શોધ્યા, પરંતુ તેમની સાથે જોડાયેલી કોઈ કોલ ડિટેલ મળી નથી.’ CDR સાથે જોડાયેલા ખુલાસા પર CM દેવેન્દ્ર ફડણવીસ પ્રેસ કોન્ફરન્સ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે CDR લીક થવો એ સંવેદનશીલ મુદ્દો છે. સરકાર શોધી કાઢશે કે અંજલિને આ જાણકારી કોણે અને કેવી રીતે પહોંચાડી. કેપ્ટન બાબાના મંદિરે ગયા શિંદે, BJP નેતા બોલ્યા- ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા ઉદ્ધવ સરકાર પડ્યા પછી નવેમ્બર 2022માં ત્યારે CM રહેલા એકનાથ શિંદે મીરગાંવ પહોંચ્યા હતા. તેમનો ફોટો પણ વાયરલ થયો છે. અમે એકનાથ શિંદેનો પક્ષ જાણવા માટે તેમનો સંપર્ક કર્યો. એકનાથ શિંદેનો બચાવ કરતા BJPના નાસિક જિલ્લાધ્યક્ષ સુનીલ કેદાર કહે છે, ‘કોઈની સાથે ફોન પર વાત કરવી કે મળવું ખોટું નથી. તેમને મંદિર આવવાનું આમંત્રણ મળ્યું, તેથી ત્યાં ગયા હતા. તે એક ધાર્મિક કાર્યક્રમ હતો, જેને ખોટી રીતે લેવો જોઈએ નહીં.’ ટ્રસ્ટ મેમ્બર્સના ડોક્યુમેન્ટમાં રાજ્ય મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ રૂપાલીનું નામ 18 માર્ચે ખરાતની ધરપકડ પછી સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ રૂપાલી ચાકણકરનો ફોટો વાયરલ થયો. જેમાં તેઓ ખરાતના પગ ધોતા અને છત્રી પકડેલા દેખાઈ રહ્યા હતા. રૂપાલીએ બચાવમાં કહ્યું હતું, ‘શિવનિકા સંસ્થાન મહાદેવ મંદિર સાથે જોડાયેલું ટ્રસ્ટ છે. હું જનપ્રતિનિધિ હોવાના નાતે આની સાથે જોડાયેલી છું. મને અશોક ખરાત પર લાગેલા આરોપો વિશે જાણકારી નથી.’ NCP નેતાનો દાવો- ખરાતે CM બદલવા માટે અનુષ્ઠાન કર્યું 25 માર્ચે મહારાષ્ટ્ર વિધાનસભામાં NCP (શરદ પવાર)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે 35 ધારાસભ્યો અને નેતાઓએ CM બદલવા માટે અશોક ખરાત પાસે તાંત્રિક અનુષ્ઠાન કરાવ્યું હતું. આ પૂજામાં સામેલ લોકોની ચોથી આંગળી પર કટ (ઘા) મૂકવામાં આવ્યો હતો. આવ્હાડના દાવાઓની સચ્ચાઈ જાણવા માટે અમે ખરાત બાબા પાસે ગયેલા નેતાઓ અને અંજલિ દમાનિયાની CDRમાં બતાવવામાં આવેલા નામો સાથે જોડાયેલી આશરે 200 તસવીર જોઈ. જેમાં NCP (અજિત જૂથ)ના નેતા સુનીલ અને રૂપાલીની આંગળીઓ પર સફેદ બેન્ડેજ (પાટો) લગાવેલી જોવા મળી. અમે બંનેના હાથ પર આ કટ માર્કના કારણ જાણવાની કોશિશ કરી. સુનીલ સાથે સંપર્ક ન થતા અમે NCP (અજિત જૂથ)ના પ્રવક્તા સૂરજ ચૌહાણ સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે આ ઈજા દરવાજામાં આંગળી ફસાઈ જવાને કારણે થઈ હતી. રૂપાલી સાથે સંપર્ક થઈ શક્યો નથી. ખરાતના ભક્તોમાં DCP-ACP રેન્કના અધિકારીઓ પણ 18 માર્ચે ખરાતની ધરપકડ પછી અત્યાર સુધી તેના પર 13 કેસ નોંધાયા છે. જેમાં 8 સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, 4 આર્થિક છેતરપિંડી અને એક મની લોન્ડરિંગનો છે, જે EDએ નોંધ્યો છે. નાસિક SITએ કેપ્ટન બાબાનું નેટવર્ક તપાસવા માટે અત્યાર સુધી 30 સાક્ષીઓની પૂછપરછ કરી છે. તપાસમાં 160 GB ડિજિટલ ડેટા રિકવર કરવામાં આવ્યો છે. શિરડી પોલીસે ખરાતની ગેરકાયદે સંપત્તિની તપાસ કરતા 56 લોકોના નામે ખુલેલા 100 બેંક એકાઉન્ટ્સનો ખુલાસો કર્યો છે. આમાં પરિવહન વિભાગના 2 અધિકારીઓના નામ સામે આવ્યા છે. એ પણ જાણવા મળ્યું છે કે નાસિકમાં તૈનાત DCP અને ACP રેન્કની 2 મહિલા પોલીસ ઓફિસરોએ મનગમતી પોસ્ટિંગ માટે ખરાતનો સંપર્ક કર્યો હતો. આના પર તપાસ ચાલુ છે, તેથી અમે નામોનો ખુલાસો કરી રહ્યા નથી.
Read Original Article →