કોચિંગ માલિકે સ્ટુડન્ટ્સને કહ્યું- ભગવાને સપનામાં સવાલ જણાવ્યા:દીકરાના 720માંથી 704 માર્કના જવાબ સાચા, NEET લીક કેસના 5 પાત્રો
NEET પરીક્ષાના ચાર દિવસ પહેલાં 29 એપ્રિલની વાત છે. મહારાષ્ટ્રના લાતુરમાં શિવરાજ રઘુનાથ મોટેગાંવકર રોજની જેમ પોતાના કોચિંગ પહોંચ્યા. બાળકોને પરીક્ષાની તૈયારી વિશે પૂછ્યું. પછી આંખો બંધ કરીને થોડીવાર ઊભા રહ્યા અને બોલ્યા- 'ગઈ રાત્રે મારા સપનામાં ભગવાન વિઠ્ઠલ આવ્યા. બોલ્યા- બાળકો મહેનતથી ભણી રહ્યા છે, તેથી એક સવાલ જણાવીશ જે NEET પરીક્ષામાં ચોક્કસ આવશે.' પછી મોટેગાંવકરે એક સવાલ લખાવ્યો અને કહ્યું કે તેને ચોક્કસ યાદ કરી લેજો. 3 મેના રોજ NEET પરીક્ષા થઈ. પેપરમાં મોટેગાંવકરે જણાવેલો સવાલ પણ આવ્યો. બીજા દિવસે પેપર લીકની વાત સામે આવવા લાગી. 8 મેના રોજ તપાસ CBIને સોંપવામાં આવી. આ મામલે શિવરાજ રઘુનાથ મોટેગાંવકર સહિત 13 લોકોની ધરપકડ કરવામાં આવી. મોટેગાંવકર પર કેમિસ્ટ્રીનું પેપર લીક કરવાનો આરોપ છે. જોકે, પરીક્ષા કરાવતી એજન્સી NTA દાવો કરી રહી છે કે પેપર લીક થયું જ નથી. તે 10 જૂન એટલે કે આજે સંસદીય સમિતિ સમક્ષ લેખિત જવાબ પણ રજૂ કરશે. ધરપકડ કરાયેલા 13 આરોપીઓમાંથી 9 મહારાષ્ટ્રના છે. ભાસ્કરની ટીમ તેમાંથી 5 મુખ્ય પાત્રોના ઘર અને સંસ્થાઓ સુધી પહોંચી. દીકરાને NEET ટોપર બનાવવાનું અને મેડિકલ કોલેજ ખોલવાનું સપનું લાતુરથી અરેસ્ટ (ધરપકડ) કરાયેલા શિવરાજ રઘુનાથ મોટેગાંવકરનું RCC (રેણુકાઈ કરિયર સેન્ટર) નામે કોચિંગ સેન્ટર છે. આ NEET, JEE અને MHT-CET એક્ઝામની તૈયારી કરાવે છે. મહારાષ્ટ્રના અન્ય 8 શહેરોમાં પણ તેના સેન્ટર છે. કોચિંગની નજીક તેમના કેટલાક પરિચિતો મળ્યા. તેઓ ઓળખ આપ્યા વિના કહે છે કે પેપર લીક કરાવવા પાછળ મોટેગાંવકરનો ઈરાદો દીકરાને ટોપ કરાવવાનો હતો. તેઓ 23 વર્ષથી કોચિંગ ચલાવી રહ્યા છે. સેંકડો બાળકોને ડોક્ટર-એન્જિનિયર બનાવ્યા. આ વખતે NEET માં તેમનો દીકરો બેસવાનો હતો. તેઓ ઈચ્છતા હતા કે તે ટોપ કરે અથવા સારો રેન્ક લાવે. કોચિંગમાં ભણતા તેજસ સહારે અને એક પૂર્વ ટીચરની વાતો પણ આ તરફ જ ઈશારો કરે છે. તેજસ કહે છે, ‘સરનો દીકરો સ્પેશિયલ બેચમાં ભણતો હતો. તેની સાથે મારા કેટલાક મિત્રો પણ હતા. એક્ઝામ પછી જ્યારે માર્ક્સ ગણવામાં આવ્યા, તો સરના દીકરાને 720માંથી 704 માર્ક્સ આવ્યા હતા. આ વખતે તે ટોપ કરત.’ કોચિંગમાં પહેલા ભણાવી ચૂકેલા ટીચર કહે છે, ‘મોટેગાંવકર મેડિકલ કોલેજ ખોલવા માંગતા હતા. કોલેજ બની રહી હતી. બસ દીકરાને ડોક્ટર બનાવવો હતો.’ કોચિંગની બે બેચને મળ્યું હતું NEETનું આખું પેપર
કોચિંગમાં ભણતા સંજય મોરે જણાવે છે, ‘અહીં NEETની તૈયારી કરાવતી ઘણી બેચ છે. બે બેચ સૌથી ટોપ માનવામાં આવે છે. આખું પેપર માત્ર આ બંને બેચને જ મળ્યું હતું. 1. એમ્સ (AIIMS) બેચ: આમાં તમામ ક્લાસીસના સૌથી શ્રેષ્ઠ સ્ટુડન્ટ્સ પસંદ કરવામાં આવે છે. આ જ બાળકો રેન્ક લાવે છે અને આમનાથી જ કોચિંગની જાહેરાત (પ્રચાર) થાય છે. 2. પ્રીમિયમ બેચ: આમાં એવા સ્ટુડન્ટ્સ હોય છે, જેઓ ભણવામાં બહુ સારા નથી હોતા, પરંતુ કોઈપણ કિંમતે સિલેક્શન ઈચ્છે છે. મોટેગાંવકરની કરોડોની પ્રોપર્ટી, પણ સામાન્ય લાઈફસ્ટાઈલ
RCC કોચિંગનું ટર્નઓવર 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. જો કે, અમે લાતુરના શિવનગરની ઓમકાર રેસિડેન્સીમાં મોટેગાંવકરના ફ્લેટ પર પહોંચ્યા, તો ત્યાં એવું કંઈ દેખાયું નહીં. મોટેગાંવકર આ ફ્લેટમાં છેલ્લા 10 વર્ષથી માતા-પિતા, પત્ની અને બે દીકરાઓ સાથે રહેતા હતા. મોટો દીકરો 12મા ધોરણમાં અને નાનો છઠ્ઠા ધોરણમાં ભણે છે. સોસાયટીના એક મેમ્બર જણાવે છે, ‘પરિવારનું રહેવા-ખાવાનું ખૂબ સાધારણ છે. ઘરમાં એક કાર અને સ્કૂટી છે. મોટેગાંવકરને મોટેભાગે સ્કૂટી પર જ કોચિંગ જતા જોયા છે.’ ખુલ્લું ઘર, વેરવિખેર સામાન અને એકલો કૂતરો બચ્યો
પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા પ્રહલાદ વિઠ્ઠલરાવ કુલકર્ણી ઉર્ફે પીવી કુલકર્ણીને CBI એ માસ્ટરમાઈન્ડ ગણાવ્યા છે. તેઓ NTA ના પેપર તૈયાર કરનારી પેનલમાં હતા. આરોપ છે કે તેમણે ક્લાસ લઈને સ્ટુડન્ટ્સને એક્ઝામમાં આવનારા સવાલ-જવાબ જણાવ્યા હતા. કુલકર્ણીએ 24 વર્ષ સુધી લાતુરની દયાનંદ સાયન્સ કોલેજમાં કેમિસ્ટ્રી ભણાવી. ચાર વર્ષ પહેલા નિવૃત્ત (રિટાયર્ડ) થયા હતા. કોલેજના વાઈસ પ્રિન્સિપાલ યુવરાજ પી. સરનાઈકર કહે છે, ‘પેપર લીકમાં કુલકર્ણી સરનું નામ કેવી રીતે આવી ગયું, અમે બધા હેરાન છીએ.’ કોલેજના ટીચરો પણ આ વાતથી અજાણ છે કે તેઓ NTA સાથે જોડાયેલા હતા અને પેપર સેટ કરનારી ટીમમાં હતા. કોલેજ પછી અમે લાતુરમાં કુલકર્ણીના ઘરે પહોંચ્યા. ઘરની સામેની દીવાલ પર લખ્યું છે- ‘કુલકર્ણી પરિવાર તમારું સ્વાગત કરે છે.’ પરિવારમાં પત્ની, બે દીકરા અને એક દીકરી છે. મોટો દીકરો અને દીકરી એન્જિનિયર છે. નાનો દીકરો 10મા ધોરણમાં છે. ઘરનો દરવાજો ખુલ્લો મળ્યો, લાઈટો ચાલુ હતી, સામાન વેરવિખેર પડ્યો હતો અને એક કૂતરો બેઠેલો મળ્યો. ઘણી વાર દરવાજો ખખડાવ્યા પછી ઉપરથી ત્રણ છોકરાઓ આવ્યા. તેમણે જણાવ્યું કે તેઓ અહીં ભાડેથી રહે છે. કુલકર્ણી અને તેમના પરિવાર વિશે પૂછતા તેઓ બોલ્યા, ‘CBI જ્યારથી સરને લઈ ગઈ છે, ત્યારથી પરિવારમાંથી કોઈ આવ્યું નથી. એકલો કૂતરો બચ્યો છે. સર છેલ્લા દોઢ મહિનાથી નાના દીકરા સાથે રહેતા હતા. પત્ની પુણેમાં દીકરીના ઘરે ગઈ હતી.’ હવે દીકરો ક્યાં છે? જવાબ મળ્યો- ‘ખબર નથી.’ કોચિંગ વિશે પૂછતા તેમણે જણાવ્યું, ‘સર કોઈ કોચિંગ નથી ચલાવતા. રિટાયરમેન્ટ પછી ઘરમાં વાંચવા-લખવાનું કરતા રહેતા હતા. અમને નથી લાગતું કે સરે એવું કર્યું હશે. ઘરના લોકો અમને અહીંથી નીકળી જવા માટે કહી રહ્યા છે, પણ અમે નહીં જઈએ. જો અમે પણ ચાલ્યા જઈશું, તો તેમનો કૂતરો ભૂખ્યો મરી જશે.’ પડોશમાં રહેતા પ્રદીપ લોખંડે કહે છે, ‘ઘર પર ક્યારેય કોચિંગ ચાલતું જોયું નથી. ન તો કોઈને એ ખબર હતી કે કુલકર્ણી સર પેપર સેટ કરવાનું કામ કરે છે. અમે તો બસ એટલું જ જાણતા હતા કે તેઓ દયાનંદ કોલેજના રિટાયર્ડ ટીચર છે.’ કોચિંગમાં પેપર લીકનો આરોપ, પણ કોચિંગ ચાલતું જોયું નથી
પુણેથી અરેસ્ટ કરાયેલા મનીષા માંઢરે NTA સાથે જોડાયેલા હતા. તેઓ NEETમાં બાયોલોજીનું પેપર તૈયાર કરનારી પેનલમાં હતા. પુણેના કાત્રજ વિસ્તારની ગંગા ઓશિયન પાર્ક સોસાયટીમાં તેમનો ફ્લેટ છે. આરોપ છે કે આ જ ફ્લેટમાં તેમણે સ્ટુડન્ટ્સને કોચિંગ આપીને NEET એક્ઝામમાં આવનારા સવાલ-જવાબ જણાવ્યા હતા. સોસાયટીના મેમ્બરો જણાવે છે કે મનીષા છૂટાછેડા લીધેલા (તલાકશુદા) છે અને છેલ્લા ચાર વર્ષથી એકલા રહેતા હતા. એક દીકરી છે, પણ સાથે નથી રહેતી. કોચિંગ ચલાવવા અંગે પૂછતા તેઓ કહે છે, ‘ક્યારેય કોઈ કોચિંગ ચાલતું જોયું નથી, ન તો કોઈ સ્ટુડન્ટ આવતો દેખાયો. અહીં કોચિંગ ચલાવવાની પરમિશન (મંજૂરી) પણ નથી.’ સોસાયટીના સેક્રેટરી રાજ બિરાજદાર પણ આ જ વાત દોહરાવે છે. તેઓ કહે છે, ‘જો કોચિંગ ચાલતું હોત તો કોઈને તો ખબર પડત. પીવી કુલકર્ણીની પણ અહીં અવરજવર નહોતી.’ મનીષાની લાઈફસ્ટાઈલ વિશે પૂછતા અહીં રહેતી એક મહિલા કહે છે, ‘અમારા લોકોની જેમ તેઓ પણ મિડલ ક્લાસ (મધ્યમ વર્ગ) જ છે. બહુ પૈસા નથી.’ અમે પૂછ્યું કે શું ક્યારેય પોતાના કામકાજ વિશે જણાવ્યું હતું? તેઓ કહે છે, ‘ના, આ વિશે નથી સાંભળ્યું.’ ‘NTA માંથી પેપર લીક કરાવવું મનીષાથી શક્ય નથી’
મનીષા પુણેની મોર્ડન કોલેજમાં છેલ્લા 24 વર્ષથી બોટની ભણાવતા હતા. છ મહિના પછી રિટાયર્ડ થવાના હતા, પરંતુ લીકમાં નામ આવ્યા બાદ કોલેજે સસ્પેન્ડ કરી દીધા છે. કોલેજના પ્રિન્સિપાલ ડો. નિવેદિતા એકબોટે કહે છે, ‘મને નથી લાગતું કે NTA માંથી પેપર લીક કરાવવું એટલું સરળ છે. હું જેટલું મનીષાને જાણું છું, તે પોતાના દમ પર આ ન કરી શકે.’ NTA સાથે જોડાયેલા હોવાના સવાલ પર તેઓ કહે છે, ‘હા એ જાણતા હતા કે છેલ્લા 6-7 વર્ષથી તેઓ NTA સાથે જોડાયેલા હતા, પરંતુ તેમની ભૂમિકા વિશે કંઈ ખબર નહોતી.’ કોલેજના એક ટીચર કહે છે કે મનીષા માંઢરે મહારાષ્ટ્ર બોર્ડ એક્ઝામના પેપર પણ સેટ કરતા હતા. અમે બધા કેટલાય વર્ષોથી સાથે ભણાવી રહ્યા છીએ. અમને નથી લાગતું કે તેઓ આવું કરી શકે. ક્લિનિક બંધ પડ્યું, પાર્લર મળ્યું જ નહીં
પેપર લીક કેસમાં આરોપી મનીષા વાઘમરેનો ફ્લેટ પણ પુણેની ગંગા ઓશિયન પાર્ક સોસાયટીમાં જ છે. પતિ સંજય વાઘમરે અને બે બાળકો સાથે રહેતા હતા. મનીષા બ્યુટિશિયન છે. પતિના ડેન્ટલ ક્લિનિકની અંદર જ પાર્લરનું બોર્ડ મારેલું છે. આરોપ છે કે મનીષાએ સ્ટુડન્ટ્સને મનીષા માંઢરે અને પીવી કુલકર્ણીના કોચિંગ સુધી પહોંચાડ્યા અને બદલામાં મોટી રકમ લીધી. સોસાયટીના સેક્રેટરી રાજ બિરાજદાર કહે છે, ‘વાઘમરે ફેમિલી લાંબા સમયથી રહી રહી છે. બધા સાથે સારી રીતે વાતચીત થતી હતી. સોસાયટીના ફંક્શન્સમાં પરિવાર ઉત્સાહભેર ભાગ લેતો હતો.’ પડોશીઓ કહે છે, ‘છેલ્લા 10 વર્ષથી એમને જોઈ રહ્યા છીએ. ઘર અને રહેણીકરણીમાં પણ કોઈ મોટો બદલાવ દેખાતો નથી.’ ત્યારબાદ અમે બિબવેવાડી વિસ્તારના કપિલ ઉપવન પ્લાઝામાં તેમના પતિ સંજય વાઘમરેના ક્લિનિક ‘ડેન્ટલ ડિઝાઈન્સ’ પહોંચ્યા. ક્લિનિક બંધ જોવા મળ્યું. નજીકના દુકાનદારે જણાવ્યું, ‘મનીષાની ધરપકડ કરાયા બાદથી આ બંધ છે.’ મનીષાના બ્યુટી પાર્લર વિશે પૂછતા તેઓ કહે છે, ‘ક્લિનિકની અંદર જ બ્યુટી પાર્લરનું બોર્ડ લાગેલું છે, પરંતુ ત્યાં કોઈને આવતા-જતા જોયા નથી. ડોક્ટરના દર્દીઓ ચોક્કસ આવતા હતા. મનીષા ક્યારેક જ દેખાતી હતી.’ શોપિંગ કોમ્પ્લેક્સના સેક્રેટરી પ્રવીણ નિઝામપુરકર કહે છે, ‘CBI ની ટીમ ક્લિનિક પર પણ તપાસ કરવા આવી હતી. તેઓ CCTV ફૂટેજમાં જોવા માંગતા હતા કે કોણ આવે-જાય છે. અમે આખો ફૂટેજ બતાવ્યો. આ લોકોના ખોટા કામથી બાળકોનું બહુ નુકસાન થયું છે.’ રિટાયરમેન્ટના એક મહિના પહેલા લીક કેસમાં ધરપકડ
પુણેથી અરેસ્ટ કરાયેલા મનીષા હવલદાર પર NEET પેપરમાં આવેલા ફિઝિક્સના સવાલ લીક કરવાનો આરોપ છે. તેઓ શેઠ હીરાલાલ સરાફ કોલેજ પરિસરમાં ચાલતી સ્કૂલના પ્રિન્સિપાલ હતા. આગામી મહિને તેમનું રિટાયરમેન્ટ હતું. તેઓ NTA ના પેપર સેટ કરનારી પેનલમાં પણ હતા. અમે કોલેજ પહોંચ્યા તો સ્ટુડન્ટ્સ બહાર ઉભા હતા અને ગેટ પર તાળું લટકતું મળ્યું. તેમને કોઈએ જણાવ્યું નહોતું કે કોલેજ કેમ બંધ છે અને ક્યારે ખુલશે. સ્કૂલ ચલાવતી સંસ્થા ‘વિદ્યા પ્રસારિણી સભા’ના સચિવ સતીશ ગવલી કહે છે, ‘અમે નહોતા જાણતા કે તેઓ NTA સાથે જોડાયેલા છે. પેપર લીકમાં તેમનું નામ આવવું અમારા માટે હેરાન કરનારું છે, કારણ કે સ્કૂલમાં આજ સુધી તેમની સામે એક પણ ફરિયાદ આવી નથી. તેમનું કામ અને વર્તન બંને સારા હતા. લીકનો મામલો સામે આવ્યા પછી પણ તેઓ રેગ્યુલર સ્કૂલ આવતા રહ્યા.’ કોલેજ નજીક દુકાન ચલાવતા મુકુંદ શિંદે જણાવે છે, ‘22 મેના રોજ સવારે આશરે 10 વાગ્યે CBI ની ટીમ આવી હતી. તેઓ દિવસભર કોલેજમાં તપાસ કરતા રહ્યા. સાંજે આશરે 6 વાગ્યે કમ્પ્યુટર અને દસ્તાવેજો સાથે લઈને ગયા.’ પુણેના સદાશિવ પેઠ વિસ્તારની લક્ષ્મી નિવાસ સોસાયટીમાં મનીષાનો બે રૂમનો ફ્લેટ છે. પરિવારમાં રિટાયર્ડ પતિ અને 95 વર્ષના પિતા રહે છે. દીકરી અને દીકરો બંને અમેરિકામાં નોકરી કરે છે. ચાર-પાંચ વર્ષમાં એકાદ વાર ઘરે આવે છે. CBI એ મનીષાની આ જ ફ્લેટમાંથી ધરપકડ કરી હતી. સોસાયટીમાં રહેતા લોકો કહે છે, ‘CBI ની ટીમ સાથે જ્યારે મેડમ જઈ રહ્યા હતા, તો અમને લાગ્યું કે કદાચ તેમના સંબંધીઓ હશે. બાદમાં ટીવી પરથી ધરપકડની ખબર પડી. ત્યારપછી પતિ પણ ફ્લેટ છોડીને ચાલ્યા ગયા. ઘરમાં પિતા એકલા બચ્યા. તેમને ઘણા દિવસો પછી ખબર પડી કે તેમની દીકરીની ધરપકડ થઈ ચૂકી છે.’ પેપર લીક પાછળ શું ઓર્ગેનાઈઝ્ડ નેટવર્ક, CBI તપાસમાં વ્યસ્ત
Read Original Article →