તમારા બાળકોના પાઠ્યપુસ્તક બદલાયા:ધોરણ 2 થી 11માં 29 નવી ટેક્સ્ટ બૂક આવી, જાણો સંતાનના સિલેબસમાં શું નવું છે?

Gujarat6/10/2026, 12:30:00 AM
તમારા બાળકોના પાઠ્યપુસ્તક બદલાયા:ધોરણ 2 થી 11માં 29 નવી ટેક્સ્ટ બૂક આવી, જાણો સંતાનના સિલેબસમાં શું નવું છે?
સોમવારથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ ગઇ છે. શાળાઓ ફરીથી બાળકોના કલરવથી ગૂંજી ઉઠી છે. આ વખતે તમારા બાળકો માટે માત્ર નવું ધોરણ જ નહીં પરંતુ નવો અભ્યાસક્રમ પણ રાહ જોઇ રહ્યો છે. વિદ્યાર્થીઓની અમૂક ટેક્સ્ટ બૂક બદલાઇ છે. આમ તો સમયાંતરે નવા પુસ્તકો આવતાં હોય છે પણ આ વખતે 1,2 કે 5 નહીં પરંતુ 29 નવા પુસ્તકો આવ્યા છે. ધો. 2થી 11માં આ નવા પુસ્તકો ભણાવવામાં આવશે. વાલી તરીકે સ્વભાવિક રીતે જ તમારા મનમાં એક પ્રશ્ન ઉદભવે કે કયા પુસ્તકમાં શું ફેરફાર આવ્યા છે? જેનો જવાબ તમને આ ખાસ રિપોર્ટમાં મળશે. દિવ્ય ભાસ્કરે ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળના કાર્યવાહક અધ્યક્ષ મનુભાઇ પાવરા તથા મંડળના અધિકારીઓ સાથે વાતચીત કરીને કયા ધોરણના કયા પુસ્તકમાં શું ફેરફાર આવ્યા છે તેની માહિતી મેળવી છે. નવા શૈક્ષણિક સત્રથી 29 નવા પુસ્તકો સોમવારથી શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં નવા 29 પુસ્તકો આવ્યા છે. 15 પુસ્તકો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ (GSBSTB) તરફથી તૈયાર કરવામાં આવ્યા છે તો 14 પુસ્તકો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ધોરણ 2 અને 3માં કયું નવું પુસ્તક આવ્યું છે તે નીચેના ગ્રાફિક્સથી જાણો. ધોરણ 6 અને 7માં કયું નવું પુસ્તક આવ્યું છે તે નીચેના ગ્રાફિક્સથી જાણો. ધોરણ 8,9,11માં કયું નવું પુસ્તક આવ્યું છે તે નીચેના ગ્રાફિક્સથી જાણો. ગુજરાતમાં અંદાજે 44 હજાર જેટલી શાળાઓ સામાન્ય રીતે એવું મનાતું હોય છે કે વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરે છે પણ હવે વિદ્યાર્થીઓ વાર્તા, એક્ટિવિટી અને ડ્રામા શૈલીથી ભણશે. ગુજરાતમાં ગુજરાતી, હિન્દી, ઉર્દુ, અંગ્રેજી, મરાઠી અને સંસ્કૃત એમ કુલ 6 માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી શાળાઓ મળીને અંદાજે 44 હજારથી વધુ શાળાઓ છે. જેમાં ધો.1થી 12 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ધો. 1થી 8માં એટલે કે દરેક ધોરણમાં સરેરાશ 6થી 7 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. NCERT પુસ્તકો તૈયાર કરે છે પહેલા રાજ્ય સરકારનું ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ પુસ્તકો તૈયાર કરતું હતું પણ 2016-17થી NCERT એ તૈયાર કરેલા પુસ્તકો જ અપાઇ રહ્યાં છે. શરૂઆતમાં NCERT તરફથી અંગ્રેજી, હિન્દી જેવા માધ્યમના પુસ્તકો જ આપવામાં આવતાં હતા પણ છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતી સહિતના 6 માધ્યમના પુસ્તકો પણ NCERT તરફથી તૈયાર કરવામાં આવે છે. માત્ર છાપવાની પ્રવૃત્તિ જ ગુજરાતમાં થાય છે. ધોરણ -2 ગુજરાતી ( પ્રથમ ભાષા )ના પુસ્તકમાં વાંચન સામગ્રીને વર્ગમાં વિદ્યાર્થીઓ સાથે સંબંધિત વસ્તુઓ, ઘટનાઓ, વ્યક્તિઓ સાથે જોડવામાં આવી છે . જે તે એકમમાં કાવ્ય અને વાર્તાને વણી લીધાં છે. ધો.2 ગુજરાતી દ્રિતીય ભાષાના શિક્ષણનો પ્રારંભ કથન અને શ્રવણથી થાય છે. નાના બાળકો નાદ અને લયને ઝીલતાં હોય છે. આ બાબતોને ધ્યાને રાખીને પુસ્તક તૈયાર કરાયું છે. ધો.3 પર્યાવરણનું પુસ્તક બાળકોને ગોખણપટ્ટીને દૂર કરવાની તકો પૂરી પાડે છે અને તેમની આસપાસના વાતાવરણ સાથે સક્રિયપણે જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે. ધો. 3 ગણિત મેળો પાઠ્ય પુસ્તકમાં બાળકોના અંકગણિત કૌશલ્યને શુદ્ધ કરવાની તકો છે. ધો.6 ગણિત પ્રકાશ પુસ્તકમાં વિદ્યાર્થીઓ જેનાથી પરિચિત હોય તેવા સંદર્ભો અને સામગ્રીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરાયો છે. ધો.6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં વિષયવસ્તુ ઓછી રાખવા છતાં આ પુસ્તક મૂળભૂત ખ્યાલો અને મુખ્ય ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો એક નવતર પ્રયાસ છે. ધો.6 કુતૂહલ (વિજ્ઞાન) વિષયના પુસ્તકના પ્રકરણોમાં રચનાત્મક પ્રવૃતિઓ, ચિંતનશીલ પ્રશ્નો, પ્રક્રિયાઓ અને ઉદાહરણોનો સમાવેશ કરાયો છે. ધો.7ના અંગ્રેજી (દ્રિતીય ભાષા)ના પુસ્તકમાં વિદ્યાર્થીઓને ગમતી પ્રવૃતિઓનો સમાવેશ કરી હસતાં રમતાં અંગ્રેજી આવડે તેવો પ્રયાસ છે. ધો.8 ગુજરાતીમાં ભગવદ્દ ગીતા ભાગ-3ના પુસ્તકમાં વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત થાય તેવો પ્રયાસ કરાયો છે. ધો.9ના કમ્પ્યુટર અધ્યયન પુસ્તકમાં કમ્પ્યુટરનો ઉપયોગ આત્મવિશ્વાસપૂર્વક, સર્જનાત્મક રીતે અને સુરક્ષિત રીતે કરવા માટે સૈદ્ધાંતિક સમજણ અને વ્યવહારુ જ્ઞાન અપાયું છે. ધો.11નું કમ્પ્યુટર અધ્યયન પુસ્તક ડેટાનું સંચાલન કરવા અને પ્રોગ્રામિંગ કૌશલ્યોને વિકસાવવા માટે મજબૂત પાયો નાંખે છે. 4.90 કરોડ પુસ્તકો વિનામૂલ્યે અપાય છે એક અંદાજ મુજબ દર વર્ષે ગુજરાતમાં ધો.1થી 12ના 6.50 કરોડથી 7 કરોડ જેટલા પુસ્તકો છાપવામાં આવે છે. જેમાંથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિનામૂલ્યે પુસ્તકો આપવામાં આવે છે. જ્યારે સ્વનિર્ભર શાળાઓ પાસેથી પુસ્તકોની કિંમત વસૂલવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ જો 7 કરોડ પુસ્તક છપાતા હોવાની ગણતરી કરીએ તો 70% પુસ્તકો એટલે કે 4.90 કરોડ પુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવે છે. જ્યારે 2.10 કરોડ પુસ્તકો વેચાણથી અપાય છે. ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળના કાર્યવાહક અધ્યક્ષ મનુભાઇ પાવરાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, નવા શૈક્ષણિક વર્ષમાં જે 29 નવા પુસ્તકો આવ્યા છે તેમાંથી 15 પુસ્તકો ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળે તૈયાર કર્યા છે. જ્યારે 14 પુસ્તકો NCERTએ તૈયાર કર્યા છે. કેન્દ્ર સરકારે 2020માં નેશનલ એજ્યુકેશન પોલિસી અમલમાં મૂકી છે. જેનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. ગુજરાતમાં SCF (સ્ટેટ કરીક્યુલમ ફ્રેમવર્ક- રાજ્યમાં અભ્યાસક્રમનું માળખું) રચના થયેલી છે. જેના સૂચનો, માર્ગદર્શનને ધ્યાને રાખીને પાઠ્ય પુસ્તકો તૈયાર કરાય છે. હવે ધો.9-10માં પણ ગીતાનો અભ્યાસ તેમણે આગળ કહ્યું કે, હવે જે પાઠય પુસ્તકો રહ્યાં તેને નવી રીતે તૈયાર કરવાનું કામ શરૂ કરી રહ્યાં છીએ. 2026માં કેટલાક વિષયોમાં આ કામ શરૂ કરાયું છે અને ક્રમશઃ એક પછી એક ધોરણમાં આગળ તેનો અમલ થતો જશે. બાળકોને અભ્યાસની સાથે ગીતાનું જ્ઞાન મળી રહે તે માટે ભગવદગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાયો છે. નવા શૈક્ષણિક વર્ષથી ધો. 8મા તેનો અભ્યાસ શરૂ કરાવાયો છે. હવે તબક્કાવાર 9 અને 10માં ધોરણમાં પણ ભણાવાશે. પુસ્તકો પહોંચાડવા ટીમ દિવસ-રાત કામે લાગેલી છે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઇ ગયું હોવા છતાં હજુ શાળાઓમાં પુસ્તકો નથી પહોંચ્યા તેવી બૂમ ઉઠી રહી છે. આ અંગે તેઓ જણાવે છે કે, યુદ્ધ અને પેપર પ્રોક્યુરિંગના કારણે વિલંબ થયો છે પણ પુસ્તકો ઝડપથી પ્રિન્ટ કરીને વહેલામાં વહેલી તકે શાળાઓ સુધી પહોંચે તે માટે અમારી ટીમ દિવસ-રાત કામ કરી રહી છે. કિંમતવાળા જે પાઠ્ય પુસ્તકો છે તે તો અમે બજારમાં ઉપલબ્ધ કરાવી દીધા છે. વિના મૂલ્યે આપવાના પુસ્તકોનું કામ ચાલી રહ્યું છે. વેબસાઇટ પરથી પ્રકરણ ડાઉનલોડ કરવાની અપીલ શિક્ષકો અને વાલીઓને અપીલ કરતાં તેમણે કહ્યું કે, અમારી વેબસાઇટ પર બધા પુસ્તકોને અપલોડ કરી દીધા છે. શિક્ષક મિત્રોને અને વાલીઓને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલીક રેફરન્સ માટે જોઇતા હોય તો ત્યાંથી એકાદ પ્રકરણ તમે ડાઉનલોડ કરીને અભ્યાસ ચાલુ કરો.જેથી અભ્યાસને બહુ ખલેલ ન પહોંચે. ઝડપથી ગુજરાતના છેવાડાની શાળા સુધી પુસ્તકો પહોંચી જાય તેવી કોશિષ કરીએ છીએ. યુદ્ધની સ્થિતિ હોવા છતાં પુસ્તકોના ભાવમાં કોઇ વધારો નથી થયો. આની પાછળનું કારણ જણાવતા તેઓ કહે છે કે, આ વર્ષે યુદ્ધની સ્થિતિમાં પેપર પ્રોક્યુરમેન્ટ થોડી તકલીફવાળું હતું. તેના કારણે ભાવ વધે તેમ હતા પણ બાળકોના હિતમાં સરકારે નિર્ણય લીધો અને હાયર રેટમાં પેપર પ્રોક્યોર કરીને પણ બાળકોને પુસ્તકો પહોંચાડવાનું નક્કી કર્યું. મને કહેતાં આનંદ થાય છે કે રાજ્ય સરકારે આ ભાવ વધારાનો બોજ ગુજરાતના વાલીઓ પર નહીં નાખવાનો નિર્ણય કર્યો છે. ગયા વર્ષે જે ભાવે પુસ્તકો મળતાં હતા તે જ ભાવે ચાલુ વર્ષે પુસ્તકો મળી રહેશે. આમ નવા સત્રમાં શિક્ષણને વધુ રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરાયો છે.
Read Original Article →