ફિલ્મ 'ધુરંધર'ના નિર્માતાઓ સામે દુબઈ ઇન્ટરનેશનલ કોર્ટમાં થશે કેસ:ચૌધરી અસલમની પત્નીની વળતર કાનૂની નોટિસ મોકલવાની તૈયારી, આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાકીય પેચ ફસાયો

DvB Original4/19/2026, 6:35:00 PM
ફિલ્મ 'ધુરંધર'ના નિર્માતાઓ સામે દુબઈ ઇન્ટરનેશનલ કોર્ટમાં થશે કેસ:ચૌધરી અસલમની પત્નીની વળતર કાનૂની નોટિસ મોકલવાની તૈયારી, આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાકીય પેચ ફસાયો
કુલ બે ભાગમાં રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરનારી હિન્દી ફિલ્મ 'ધુરંધર' કાયદાકીય વિવાદમાં ફસાઈ છે. પાકિસ્તાનના કરાચી સ્થિત 'રોશન એન્ડ રોશન લો એસોસિએટ્સ' દ્વારા આ ફિલ્મની સ્ટારકાસ્ટ અને નિર્માતાઓ સામે ગંભીર વાંધો ઉઠાવીને કાનૂની નોટિસ મોકલવામાં આવશે. આ નોટિસ પાકિસ્તાનના જાણીતા પોલીસ અધિકારી ચૌધરી અસલમ ખાનના પત્ની નૌરીન અસલમ વતી એક લૉ ફર્મ પાઠવશે. દિવ્ય ભાસ્કર પાસે આ નોટિસની કોપી પણ છે. ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 25 કરોડનું વળતર માગીશ અગાઉ દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં નૌરીન અસલમે દાવો કર્યો હતો કે તે ફિલ્મના નિર્માતા આદિત્ય ધર પાસે 25 કરોડ રૂપિયાની માગણી કરશે. હવે કાનૂની નોટિસમાં કરવામાં આવેલા દાવા મુજબ, ફિલ્મમાં ચૌધરી અસલમ ખાનના જીવન સાથે જોડાયેલી ઘટનાઓ તેમના પરિવારની પરવાનગી વગર બતાવવામાં આવી છે. પરિવારનો આરોપ છે કે ફિલ્મમાં તેમનું નામ, પર્સનાલિટી ટ્રેઇટ્સ અને તેમના જીવનના પ્રસંગો દર્શાવવામાં આવ્યા છે. આ પાત્ર ફિલ્મમાં જાણીતા અભિનેતા સંજય દત્ત દ્વારા ભજવવામાં આવ્યું છે, જેમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે. મારો હક મેળવીને જ રહીશ- નૌરીન અસલમ નૌરીન અસલમે દિવ્ય ભાસ્કરને જણાવ્યું, આદિત્ય ધરને આ કાનૂની નોટિસ ઇ-મેલ મારફતે મોકલવામાં આવશે. આદિત્ય ધરે ફિલ્મ બનાવવા પહેલા કે પછી અમારી સાથે કોઈ વાતચીત નથી કરી. એટલે હું મારો હક મેળવીને જ રહીશ. મારા પતિના નામનો ઉપયોગ કરતા પહેલાં કાયદાકીય રીતે પરિવારની સહમતિ લેવી જરૂરી હોય છે. એ ઉપરાંત વળતર પણ આપવું જોઈએ. પરિવારનું કહેવું છે કે ફિલ્મ નિર્માતાઓ દ્વારા આ પાત્ર અથવા તેમના જીવનના પાસાઓનો ઉપયોગ કરતા પહેલાં તેમના કાયદેસરના વારસદારો પાસેથી કોઈ 'સિંક્રોનાઈઝેશન લાયસન્સ' કે લેખિત મંજૂરી લેવામાં આવી નથી. આ નોટિસ સીધી રીતે ફિલ્મના નિર્માતા જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર, લોકેશ ધર તેમજ જીઓ સ્ટુડિયો અને B62 સ્ટુડિયોને સંબોધીને મોકલવામાં આવી છે. મારા પતિની છબીનો ઉપયોગ કરી નિર્માતાએ આર્થિક લાભ મેળવ્યો- નૌરીન અસલમ ચૌધરી અસલમ ખાનના પરિવારનું કહેવું છે કે ચૌધરી અસલમે સિંધ પોલીસમાં સિનિયર સુપરિન્ટેન્ડન્ટ તરીકે સેવા આપી હતી અને તેઓ આતંકવાદીઓ સામેના તેમના ઓપરેશન માટે વિશ્વભરમાં જાણીતા હતા. તેમની છબી અને જીવનનો ઉપયોગ કરીને નિર્માતાઓએ આર્થિક લાભ મેળવ્યો છે, પરંતુ તેના બદલામાં પરિવારને કોઈ વળતર આપવામાં આવ્યું નથી. આથી, પરિવારે તેમના બંધારણીય હકોના આધારે ફિલ્મ નિર્માતાઓ પાસે યોગ્ય રકમની માંગણી કરી છે. બે દેશના અલગ-અલગ કાયદા, કાનૂની લડાઈ કેવી રીતે લડાશે? કાનૂની નોટિસમાં લખ્યું છે કે જો નિર્માતાઓ આ માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો અત્યારે કાયદાકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે આ કાનૂની નોટિસે એક એવી ગૂંચવણ ઊભી કરી છે જેનો ઉકેલ લાવવો સરળ નથી, કારણ કે ભારત અને પાકિસ્તાન બંનેના કાયદા અલગ છે. નોટિસમાં જે 'સિંક્રોનાઈઝેશન લાયસન્સ' કે મંજૂરીની વાત કરી છે તે ટેકનિકલ રીતે બૌદ્ધિક સંપદાનો વિષય છે. હવે સવાલ એ થાય કે જો પાકિસ્તાની પરિવાર કેસ કરવા માગે, તો શું તેમણે ભારત આવીને ભારતીય કોર્ટમાં લડવું પડશે? સામાન્ય રીતે કોપીરાઈટ અને પર્સનાલિટી રાઈટ્સના કેસ એ દેશમાં ચાલે છે જ્યાં તે કળા કે ફિલ્મ બનાવવામાં આવી હોય. બીજી તરફ, શું પાકિસ્તાનની અદાલત કે દુબઈની ઇન્ટરનેશનલ કોર્ટ કોઈ ભારતીય કંપની એટલે કે જીઓ સ્ટુડિયો પર દંડ લગાવી શકે? આ એક મોટો કાનૂની સવાલ છે. જો આંતરરાષ્ટ્રીય સંધિઓનો સહારો લેવામાં આવે તો પણ બંને દેશોના વણસેલા સંબંધો વચ્ચે આ કેસ કઈ રીતે આગળ વધશે તે જોવું રસપ્રદ રહેશે. જો આ કેસ દુબઈની કોર્ટમાં નથી ટકતો તો શું ભારતીય કાયદો કોઈ પાકિસ્તાની વ્યક્તિના 'ખાનગી જીવનના અધિકાર'ને ભારતની ધરતી પર રક્ષણ આપશે? આ કાનૂની જંગ કોર્ટમાં કેવી રીતે લડાશે અને તેમાં જીત મળવાની સંભાવના કેટલી છે? એ બાબતે અત્યારે સૌથી મોટી અસમંજસ છે. દસેક દિવસ પહેલાં SP ચૌધરી અસલમની પત્નીએ દિવ્ય ભાસ્કરને કરાચીથી એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં નૌરીન અસલમે રહેમાન ડકૈતની ધમકી, દાઉદ કનેક્શન, લ્યારી વિશે નૌરિન ચૌધરીની સ્ફોટક વાતો કહી હતી. આ ઉપરાંત આદિત્ય ધર પાસે 25 કરોડ રૂપિયાની પણ માગણી કરી હતી. પૂરો ઇન્ટરવ્યૂ વાંચવા માટે અહીં ક્લિક કરો.
Read Original Article →