3 વર્ષે આવતી અધિક પૂર્ણિમાએ 2 દુર્લભ યોગનો સંયોગ:આજે અને આવતીકાલે સત્યનારાયણ દેવની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાશે; નદીસ્નાનનું પણ અનેરું મહત્ત્વ
હાલમાં જેઠ અધિક માસ ચાલી રહ્યો છે. 30 મેની બપોરે લગભગ 12 વાગ્યે પૂનમની તિથિ શરૂ થશે અને બીજા દિવસે 31મી મેની બપોરે લગભગ 2:15 વાગ્યે સમાપ્ત થશે. અધિક માસ 3 વર્ષે એકવાર આવે છે, તેથી આ પૂનમનું ધાર્મિક મહત્ત્વ ઘણું વધારે છે. જ્યોતિષની દૃષ્ટિએ આ વખતે અધિક માસની પૂર્ણિમા શુભ સંયોગોથી ભરપૂર રહેવાની છે. આ દરમિયાન રવિ યોગનું નિર્માણ થયું છે. રવિ અને સદ્વિચાર યોગનો સંયોગ ગ્રહોના રાજા સૂર્યદેવે 15 મેના રોજ મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી લીધો હતો. ત્યારબાદ 17 મેના રોજથી જેઠ મહિનામાં અધિક માસનો પ્રારંભ થયો છે. સૂર્યદેવ 16 જૂન સુધી વૃષભ રાશિમાં બિરાજમાન છે. તેવામાં અધિક માસની પૂર્ણિમા એક ખૂબ દુર્લભ અને પવિત્ર સંયોગ લઈને આવી છે. આ દિવસે રવિ યોગ અને સદ્વિચાર યોગ જેવા ઘણા અત્યંત શુભ યોગ બની રહ્યા છે. ઉપરાંત હાલમાં બુધ ગ્રહ પણ સ્વરાશિ મિથુનમાં ગોચર કરી ચૂક્યા છે. આ ગોચર ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, જેઠ પૂનમે સ્નાન-દાન, વ્રત, ભગવાન વિષ્ણુ અને ચંદ્ર દેવની પૂજા કરવાની સાથે જ આ તિથિએ ભગવાન સત્યનારાયણની કથા વાંચવા-સાંભળવાની પરંપરા છે. એવી માન્યતા છે કે આ શુભ કાર્યોથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. અધિક માસની પૂર્ણિમા પર શું કરવું? અધિક માસની પૂનમના દિવસે પરોઢિયે ઉઠીને સ્નાન કરો. સૂર્ય દેવને અર્ઘ્ય અર્પણ કરો. તાંબાના લોટામાં પાણી ભરી, તેમાં ગંગાજળ અને ચપટી હળદર મેળવીને આ પાણીને ઘરના મુખ્ય દ્વાર પાસે છાંટો. ઘરના ઉંબરે સ્વસ્તિક બનાવો. પૂનમની સવારે પીપળાના ઝાડ પર પાણી અર્પણ કરો. સાંજે પીપળાના ઝાડ પાસે ઘીનો દીવો પ્રગટાવો. પૂનમનો સંબંધ સીધો ચંદ્ર દેવ સાથે છે, તેથી રાત્રે ચંદ્રોદય બાદ તેમને અર્ઘ્ય અર્પણ કરો. એક લોટામાં કાચું દૂધ, અક્ષત અને સફેદ ફૂલ નાખીને ચંદ્ર દેવને અર્ઘ્ય અર્પણ કરો. આ સમયે 'ॐ સોં સોમાય નમઃ'નો જાપ કરો. ભગવાન વિષ્ણુના સ્વરૂપ છે ભગવાન સત્યનારાયણ દર મહિને પૂનમની તિથિએ ભગવાન સત્યનારાયણની કથા કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી રહી છે. પૂનમે ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને તેમના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. સત્યનારાયણ પણ વિષ્ણુજીનું જ એક સ્વરૂપ છે, આ કારણે પૂનમે તેમની કથા વાંચવા-સાંભળવા અને પૂજા કરવાની પરંપરા છે. સત્યને ધર્મનું મૂળ કહેવામાં આવ્યું છે. સત્યનારાયણ કથા ફક્ત પૂજા જ નહીં, પરંતુ સત્ય આચરણનો સંદેશ પણ આપે છે. કથામાં વારંવાર એવું કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ અસત્ય બોલે છે, વચન તોડે છે અથવા અહંકાર કરે છે, તેને કષ્ટ મળે છે. સત્યનારાયણ ભગવાનની પૂજા-વિધિ સત્યનારાયણ ભગવાનની કથાનો સંદેશ શું છે? સ્કંદ પુરાણના રેવાખંડમાં ભગવાન સત્યનારાયણની કથા છે. આ કથા સંસ્કૃત ભાષાના લગભગ 170 શ્લોકમાં છે. કથા પાંચ અધ્યાયમાં છે અને તેના બે ખાસ વિષય છે. એક છે સંકલ્પને ભૂલવો અને બીજો છે પ્રસાદનું અપમાન કરવું. સત્યનારાયણ કથામાં અલગ-અલગ નાની-નાની વાર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સત્યનું પાલન ન કરવાથી આપણા જીવનમાં કઈ પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. સત્યનું પાલન ન કરવાથી ભગવાન પણ ભક્તનો સાથ નથી આપતા. જે લોકો સાચનો સાથ નથી આપતા, તેમને ભગવાનના ક્રોધનો સામનો કરવો પડે છે. દરેક પૂનમે આ કથા વાંચવાથી આપણને સાચું બોલવાની અને જૂઠથી બચવાની પ્રેરણા મળે છે. પૂનમે શું દાન કરવું? ધાર્મિક માન્યતાઓ અનુસાર અધિક માસની પૂનમે કરેલા ધાર્મિક કાર્યો વધુ ફળદાયી માનવામાં આવે છે. જેઠ મહિનામાં ગરમી પરાકાષ્ઠાએ હોય છે. તેવામાં જળદાનનું વિશેષ મહત્ત્વ છે. પૂનમે પાણી, સત્તૂ, કેરી, વસ્ત્ર, અન્નનું દાન કરી શકાય છે. પશુ-પક્ષી માટે દાણા-પાણીની વ્યવસ્થા કરવી. 'મલ માસ'ના 'પુરુષોત્તમ માસ' બનવાની કથા 'મલ' શબ્દનો સંસ્કૃતમાં અર્થ કચરો, ગંદકી અથવા અશુદ્ધિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હિન્દુ કેલેન્ડરમાં જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને 'સંક્રાંતિ' કહેવાય છે. દરેક સામાન્ય મહિનામાં સૂર્યનું સંક્રમણ (રાશિ પરિવર્તન) થતું હોય છે. પરંતુ, અધિક માસ દરમિયાન સૂર્ય કોઈ નવી રાશિમાં પ્રવેશ કરતો નથી, એટલે કે આખો મહિનો સૂર્ય સંક્રાંતિ વગરનો હોય છે. સૂર્ય સંક્રાંતિ ન થવાને કારણે આ મહિનાને જ્યોતિષમાં 'મલિન' (અશુદ્ધ) અથવા 'મલયુક્ત' માનવામાં આવ્યો છે. આથી તેનું નામ 'મલમાસ' પડ્યું. પૌરાણિક કથા અનુસાર, જ્યારે જ્યોતિષીય ગણતરી પ્રમાણે આ વધારાના મહિનાની ઉત્પત્તિ થઈ, ત્યારે સૂર્ય સંક્રાંતિ ન હોવાને કારણે તેને 'મલમાસ' (અશુદ્ધ મહિનો) કહેવામાં આવ્યો. આ મહિનાના કોઈ સ્વામી (દેવતા) નહોતા, તેથી દરેક વ્યક્તિ આ મહિનામાં શુભ કાર્યો કરવાનું ટાળતી અને તેની નિંદા કરતી હતી. પોતાની આવી સ્થિતિ જોઈને અધિક માસ ખૂબ દુઃખી થયો અને તે ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠ ધામમાં પહોંચ્યો. તેણે પ્રભુ સમક્ષ રડતા રડતા પોતાની પીડા વ્યક્ત કરી કે, ‘હે પ્રભુ! સંસારમાં દરેક ક્ષણ, દિવસ અને મહિનાના કોઈ ને કોઈ સ્વામી છે, પણ મારો કોઈ સ્વામી નથી. લોકો મને અશુદ્ધ ગણીને મારી નિંદા કરે છે.’ અધિક માસની આ ગ્લાનિ જોઈને ભગવાન વિષ્ણુ તેને પોતાની સાથે ગોલોક લઈ ગયા અને શ્રીકૃષ્ણ સમક્ષ પ્રસ્તુત કર્યો. ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણએ તેને આશીર્વાદ આપતા કહ્યું કે, ‘આજથી તું અશુદ્ધ કે નિંદનીય નહીં કહેવાય. હું તને મારું સૌથી ઉત્તમ નામ 'પુરુષોત્તમ આપું છું. આજથી હું પોતે તારો સ્વામી બનીશ. જે ગુણો મારામાં છે, તે બધા તારામાં સમાબિત થશે.' ભગવાને એવું પણ વરદાન આપ્યું કે, વર્ષના બાકીના મહિનાઓમાં પૂજા-પાઠ કરવાથી જે ફળ મળે છે, તેના કરતાં આ પુરુષોત્તમ માસમાં કરેલા જપ, તપ, દાન અને ભક્તિનું ફળ હજારો ગણું વધારે મળશે.
Read Original Article →