મનનું કુરુક્ષેત્ર:ઓવરથિંકિંગની જાળમાંથી બહાર નીકળવા ગીતાનો માર્ગ અપનાવો; ભગવાન શ્રીકૃષ્ણના 3 ઉપદેશો મનને શાંતિ કરશે
શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમારું મન એક એવા ચક્રવ્યૂહમાં ફસાઈ ગયું છે જ્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી દેખાતો? કોઈ પણ નાનો કે મોટો નિર્ણય લેતી વખતે 'જો આમ થશે તો શું?' અથવા 'મારો આ નિર્ણય ખોટો પડ્યો તો?' જેવા નકારાત્મક સવાલોની વણઝાર શરૂ થઈ જાય છે. મનની આ સ્થિતિને આપણે 'ઓવરથિંકિંગ' કહીએ છીએ. આ કોઈ બહારની મુસીબત નથી, પણ આપણા જ મનની અંદર ચાલતું એક અદ્રશ્ય અને શાંત યુદ્ધ છે જે આપણને અંદરથી નબળા પાડે છે. અર્જુનની દ્વિધા: જ્યારે યોદ્ધા મનથી હારી ગયો ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ 'મહાભારત' શરૂ થવાનું હતું ત્યારે પાંડવ પુત્ર અર્જુન પણ બરાબર આવી જ માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. કુરુક્ષેત્રના મેદાનમાં બંને પક્ષની સેનાઓ શસ્ત્રો સાથે સજ્જ હતી. પરંતુ, જ્યારે અર્જુને સામે પક્ષે પોતાના જ દાદા, ગુરુઓ અને ભાઈઓને જોયા, ત્યારે તેના હાથમાંથી ધનુષ્ય સરકી ગયું. તે શારીરિક રીતે યુદ્ધ લડે તે પહેલાં જ તેના મનમાં એક ભયંકર માનસિક સંઘર્ષ શરૂ થઈ ગયો. મોહ અને કર્તવ્યની વચ્ચે ફસાયેલો અર્જુન વિચારોના એવા વમળમાં અટવાયો કે તેને ભવિષ્ય ધૂંધળું દેખાવા લાગ્યું. શ્રીકૃષ્ણનો સહારો: અર્જુનને આ ગહન માનસિક તણાવમાં જોઈને ભગવાન શ્રીકૃષ્ણ તેના સારથિ બન્યા અને તેને 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'નું દિવ્ય જ્ઞાન આપ્યું. આ ઉપદેશ માત્ર અર્જુન માટે નહોતો, પરંતુ આજે આપણા જેવા સામાન્ય માણસોને પણ નકામા વિચારોની જાળમાંથી મુક્ત કરવાનો અજોડ મંત્ર છે. ઓવરથિંકિંગ આપણા જીવનને કેવી રીતે બગાડે છે? જ્યારે આપણે કોઈ બાબત પર જરૂર કરતાં વધુ વિચાર કરીએ છીએ, ત્યારે નાની અને સામાન્ય સમસ્યાઓ પણ પહાડ જેવી મોટી દેખાવા લાગે છે. તેનાથી થતા નુકસાન નીચે મુજબ છે: માનસિક થાક: મન સતત ચાલતું રહેવાથી શરીર અને મન બંને ઊર્જા વગરના થઈ જાય છે. આત્મ-શંકા: વ્યક્તિને પોતાની ક્ષમતા પર જ ભરોસો નથી રહેતો. શાંતિનો ભંગ: જીવનની વર્તમાન ક્ષણોનો આનંદ ગાયબ થઈ જાય છે અને ભવિષ્યનો ડર હાવી થઈ જાય છે. આપણે પણ ઘણીવાર અર્જુનની જેમ 'હું નિષ્ફળ જઈશ તો લોકો શું કહેશે?' એવા વિચારોમાં સમય બગાડીએ છીએ, જ્યારે વાસ્તવમાં આપણું ધ્યાન માત્ર આપણા કામ પર હોવું જોઈએ. શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: વિચારોની સ્પષ્ટતા ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં જીવન જીવવાનો એક બહુ જ સરળ અને સ્પષ્ટ દ્રષ્ટિકોણ આપ્યો છે, જેને અપનાવીને ઓવરથિંકિંગથી બચી શકાય છે: 1. કર્મ પર ફોકસ: ભગવાને કહ્યું કે તારું કામ માત્ર કર્મ કરવાનું છે, તેના પરિણામની ચિંતા અત્યારથી કરવાની કોઈ જરૂર નથી. ભવિષ્ય આપણા હાથમાં નથી, પણ વર્તમાન ચોક્કસ છે. 2. બુદ્ધિપૂર્વકનો નિર્ણય: કોઈપણ નિર્ણય ડર, મોહ કે શંકાના આધારે ન લો. મનને શાંત રાખીને વિવેકબુદ્ધિથી ડગલું આગળ વધારો. 3. મનને ગુલામ બનાવો, સ્વામી નહીં: આપણું મન એક સાધન છે. તેને તમારા પર હાવી થવા ન દો. મનને નકામી દિશામાં ભટકતું અટકાવી તેને નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે. વિચારો છોડો, એક્શન લો અને વિજય મેળવો! જ્યાં સુધી અર્જુન મનની મૂંઝવણમાં જીવતો રહ્યો, ત્યાં સુધી તે અસહાય થઈને બેસી રહ્યો. પરંતુ, જેવા શ્રીકૃષ્ણના જ્ઞાનથી તેના મનના સંશયો દૂર થયા અને વિચારોમાં સ્પષ્ટતા આવી, કે તરત જ તેણે પોતાનું 'ગાંડીવ' ધનુષ્ય ઉપાડ્યું અને ધર્મયુદ્ધમાં વિજય મેળવ્યો. આપણા જીવનની લડાઈ પણ આવી જ છે. જ્યારે આપણે વિચારોની માયાનગરીમાંથી બહાર નીકળીને શાણપણ અને હિંમત સાથે 'એક્શન' લઈએ છીએ, ત્યારે ગમે તેવો મોટો સંઘર્ષ કેમ ન હોય, વિજય નિશ્ચિત બને છે. ગીતા આપણને એ જ શીખવે છે કે મનને કાબૂમાં રાખો, તમારું કામ પૂરી ઇમાનદારીથી કરો અને શાંતિપૂર્વક જીવનનો આનંદ લો.
Read Original Article →