એક ગોવાળિયાને કારણે સંતને મળ્યો બોધ:પ્રેરક કથા: નિઃસ્વાર્થ ભક્તિથી ભગવાનની કૃપા મળે છે, કપટ કરનારા લોકોની ભક્તિ નિષ્ફળ જાય છે
એક ગામમાં એક ગોવાળ રોજ સવારે પોતાની ગાયોને લઈને જંગલમાં ચરાવવા જતો અને સાંજે પાછો ફરતો હતો. તે જ જંગલમાં એક સંતનો આશ્રમ હતો. સંત દિવસ-રાત તપ, ધ્યાન અને મંત્ર જાપમાં લીન રહેતા હતા. ગોવાળ ભોળો હતો, તે રોજ સંતને જોતો, પણ તેની સમજમાં એ નહોતું આવતું કે સંત આવું શા માટે કરે છે. એક દિવસ જિજ્ઞાસાને કારણે ગોવાળ આશ્રમ પહોંચ્યો અને સંતને પૂછી બેઠો, “મહારાજ, તમે રોજ આ બધું શા માટે કરો છો?” સંતે હસીને ઉત્તર આપ્યો, “હું ભગવાનને પામવા માટે ભક્તિ કરું છું. તપ, ધ્યાન અને પૂજાથી ભગવાનના દર્શન થાય છે.” ગોવાળના મનમાં પણ ભગવાનને જોવાની ઈચ્છા જાગી ઉઠી. તેણે વિચાર્યું કે જો સંત આવું કરીને ભગવાનને પામી શકે છે, તો તે પણ પ્રયાસ કરશે. તે જંગલમાં એક શાંત જગ્યાએ ગયો, એક ઝાડ નીચે ઊભો રહી ગયો અને એક પગ પર તપ કરવા લાગ્યો. તેણે એટલો કઠોર સંકલ્પ લીધો કે શ્વાસ લેવાનું પણ ધીમું કરી દીધું અને મનોમન નિશ્ચય કર્યો કે જ્યાં સુધી ભગવાનના દર્શન નહીં થાય, તે આમ જ રહેશે. તેની સાચી લગન અને કઠોર તપસ્યાથી ભગવાન પ્રસન્ન થયા અને તરત જ તેની સામે પ્રગટ થયા. તેણે કહ્યું, “દીકરા, આંખો ખોલ, હું તારી સામે છું.” તેને આંખો ખોલ્યા વિના પૂછ્યું, “તમે કોણ છો?” ભગવાને ઉત્તર આપ્યો, “હું તે જ ઈશ્વર છું, જેના દર્શન માટે તું તપ કરી રહ્યો છે.” ગોવાળે આંખો ખોલી, પણ તેણે ક્યારેય ભગવાનને જોયા ન હતા, તેથી તેને શંકા થઈ. સત્ય જાણવા માટે તેણે ભગવાનને દોરડાથી ઝાડ સાથે બાંધી દીધા અને સંતને બોલાવવા દોડી ગયો. જ્યારે સંત ત્યાં પહોંચ્યા, ત્યારે તેમને કંઈપણ દેખાયું નહીં. ગોવાળે આશ્ચર્યથી ભગવાનને પૂછ્યું કે સંતને તમે કેમ નથી દેખાતા. ભગવાને કહ્યું, “હું ફક્ત તેને જ દેખાઉં છું જે નિસ્વાર્થ ભાવે મારી ભક્તિ કરે છે. જેમના મનમાં સ્વાર્થ અને કપટ હોય છે, તે મને જોઈ શકતા નથી.” આ ઘટનાએ સંતને પણ આત્મમંથન કરવા મજબૂર કર્યા અને ગોવાળની સાચી ભક્તિનું મહત્વ સંતને પણ સમજાઈ ગયું. પ્રસંગની શીખ ગોવાળની ભક્તિમાં કોઈ સ્વાર્થ નહોતો. તે ફક્ત ભગવાનને જોવાની સાચી ઈચ્છા રાખતો હતો. જીવનમાં જ્યારે આપણે સ્વાર્થ વિના કામ કરીએ છીએ, ત્યારે સફળતા અને સંતોષ બંને મળે છે. ભક્તિમાં પણ આવું જ થાય છે. ગોવાળે જે નક્કી કર્યું, તે પૂરી ઈમાનદારીથી કર્યું. આ જ સમર્પણ આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડે છે. અધૂરા મનથી કરવામાં આવેલો પ્રયાસ ક્યારેય સંપૂર્ણ સફળતા આપતો નથી. ગોવાળે સંતને સવાલ પૂછ્યો, જેનાથી તેને નવી દિશા મળી. જીવનમાં સવાલ પૂછવા અને શીખવાની ઈચ્છા રાખવી ખૂબ જ જરૂરી છે. આ જ આદત આપણને આગળ વધારી છે. સંત રોજ પૂજા કરતા હતા, પરંતુ તેમના મનમાં ક્યાંક સ્વાર્થ છુપાયેલો હતો, આ જ કારણે ભગવાને તેમને દર્શન ન આપ્યા. આ આપણને શીખવે છે કે ફક્ત દેખાડાના કર્મોથી કંઈ પ્રાપ્ત થતું નથી, પરંતુ સચ્ચાઈ અને શુદ્ધ ભાવના જરૂરી છે. ગોવાળિયો સાધારણ હતો, તેનો સ્વભાવ સરળ હતો, પરંતુ તેની ભક્તિ અસાધારણ હતી. આ દર્શાવે છે કે જીવનમાં મહાન બનવા માટે મોટું પદ કે જ્ઞાન જરૂરી નથી, પરંતુ સાચું હૃદય અને સરળ સ્વભાવ જરૂરી છે. સંતને જ્યારે સચ્ચાઈની ખબર પડી, ત્યારે તેમને પોતાનો વિચાર કરવો પડ્યો. આપણે પણ સમયાંતરે આપણા કાર્યો અને ભાવનાઓનું મૂલ્યાંકન કરવું જોઈએ, ત્યારે જ આપણને આગળ વધવાનો સાચો રસ્તો મળી શકે છે. ગોવાળિયાએ ધૈર્ય અને શ્રદ્ધા સાથે તપ કર્યું. જીવનમાં પણ ધૈર્ય રાખવાથી જ સાચા પરિણામો મળે છે. જલ્દી હાર માની લેવાથી સફળતાથી દૂર થઈ જવાય છે. જ્યાં સુધી સફળતા ન મળે, ત્યાં સુધી પ્રયાસ કરવાનો સંકલ્પ લેવો જોઈએ. ગોવાળિયાનું લક્ષ્ય સ્પષ્ટ હતું - ભગવાનના દર્શન. જ્યારે જીવનમાં લક્ષ્ય સ્પષ્ટ હોય છે, ત્યારે રસ્તો પણ સરળ બની જાય છે. જીવનમાં સચ્ચાઈ, નિસ્વાર્થ ભાવ અને સમર્પણ સાથે કરવામાં આવેલું કાર્ય જ આપણને વાસ્તવિક સફળતા અને શાંતિ અપાવે છે.
Read Original Article →