અજય બંગાએ કહ્યું- ગરીબી મિટાવવી હોય તો નોકરીઓ આપવી પડશે:નિખિલ કામથ સાથે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટની વાતચીત, યુવાનો માટે DQને સફળતાનો મંત્ર ગણાવ્યો

Business4/22/2026, 4:07:15 AM
અજય બંગાએ કહ્યું- ગરીબી મિટાવવી હોય તો નોકરીઓ આપવી પડશે:નિખિલ કામથ સાથે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટની વાતચીત, યુવાનો માટે DQને સફળતાનો મંત્ર ગણાવ્યો
વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બંગાએ કહ્યું કે વિકાસશીલ દેશોમાં ગરીબી મટાડવી હોય તો નોકરીઓ આપવી પડશે. તેમણે પીપલ બાય ડબલ્યુટીએફ પર બ્રોકરેજ ફર્મ ઝીરોધાના સીઈઓ નિખિલ કામથ સાથેની વાતચીતમાં ગ્લોબલ ઇકોનોમી, ભારતની પ્રગતિ અને યુવાનોના ભવિષ્યને લઈને વિસ્તૃત ચર્ચા કરી. તેમણે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવેલા બદલાવોની પ્રશંસા કરી, તો વળી દેશમાં પર્યટનની ઓછી સંખ્યા પર ચિંતા પણ વ્યક્ત કરી. બંગાએ પોતાના કરિયરના અનુભવોને શેર કરતા જણાવ્યું કે કેવી રીતે એક 'આર્મી બ્રેટ'થી લઈને વર્લ્ડ બેંકના ટોચના પદ સુધીની તેમની સફર લવચીકતા અને સાચા નિર્ણયો પર આધારિત રહી. વાંચો આ વાતચીતના સંપાદિત અંશ... પ્રશ્ન: ગરીબી ખતમ કરવાનો સૌથી સીધો રસ્તો શું છે? જવાબ: બસ લોકોને નોકરીઓ આપો. પરંતુ અસલી વાત ફાઇનાન્સની નહીં, આશાની છે. જ્યારે લોકો પાસે કામ હોય છે, ભલે તેઓ વાળંદ હોય, ખેડૂત હોય, વેપારી હોય, ત્યારે તેમની પાસે માત્ર કમાણી જ નહીં, એક આશા હોય છે. આશા, ઉત્સાહ એવા આર્થિક એન્જિન છે જે મૂળભૂત આંકડા જેટલા જ જરૂરી છે. જો લોકો ભવિષ્યને લઈને નિશ્ચિંત હોય, તો તેઓ પૈસા ખર્ચ કરશે, રોકાણ કરશે અને જોખમ લેશે. પરંતુ જો નોકરી કે બચતને લઈને ડર હોય, તો હાથ પાછા ખેંચી લેશે. જે દિવસે ન્યૂયોર્કનું સ્ટોક માર્કેટ સારું પ્રદર્શન કરે છે, તે જ દિવસે રેસ્ટોરન્ટ્સમાં વાઇનનું વેચાણ વધી જાય છે. ખરેખરમાં ખરીદી માત્ર જરૂરિયાત માટે નથી હોતી, પરંતુ તે મૂડ સાથે જોડાયેલી છે. મારું માનવું છે કે ધનિકો પાસેથી છીનવીને ગરીબોને આપવાને બદલે આપણે 'નદીનું જળ સ્તર' વધારવું જોઈએ જેથી બધી હોડીઓ ઊંચી ઊઠી શકે. સરકારનું કામ યોગ્ય નિયમો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું છે, જ્યારે નોકરીઓ પેદા કરવાનું કામ પ્રાઇવેટ સેક્ટર, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોનું છે. નોકરીથી માત્ર પૈસા જ નથી આવતા, વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને આશા પણ જાગે છે. પ્રશ્ન: તમે ભારતની વર્તમાન આર્થિક સ્થિતિ અને ભવિષ્યને કેવી રીતે જુઓ છો? જવાબ: હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ આશાવાદી છું. છેલ્લા 20-25 વર્ષોમાં ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર - ભલે તે રસ્તાઓ હોય, બંદરો હોય કે વીજળી-પાણી - સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. જ્યારે લોકો પાસે મૂળભૂત સુવિધાઓ હોય છે અને તેઓ ભવિષ્ય વિશે સકારાત્મક હોય છે, ત્યારે વપરાશ વધે છે. ભારત હાલમાં એવા જ તબક્કામાં છે જ્યાં મધ્યમ વર્ગનો વ્યાપ વધી રહ્યો છે. સમૃદ્ધિ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ જ સૌથી મજબૂત સ્તંભ છે અને ભારત સાચી દિશામાં છે. ભારતનો કન્ઝ્યુમર સેક્ટર તેની જીડીપી કરતાં પણ વધુ ઝડપથી વધી રહ્યો છે. યુવાનો બચત ઓછી અને ખર્ચ વધુ કરી રહ્યા છે. મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે. રસ્તાઓ, એરપોર્ટ, બંદરો અને પાવર સિસ્ટમ. દેશનો ગ્રાફ ઉપર તો જઈ રહ્યો છે, પરંતુ તેની કોઈ ગેરંટી નથી. આ એ વાત પર નિર્ભર કરે છે કે શું સરકારો સતત એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્નન્સ અને કુશળ લોકો તૈયાર કરતી રહેશે જેનાથી પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીઓ ઊભી થાય. પ્રશ્ન: ભારતીય અર્થતંત્ર માટે ટુરિઝમ સેક્ટરની શું ભૂમિકા હોઈ શકે છે? જવાબ: ભારત પાસે પહાડોથી લઈને સમુદ્ર કિનારા, ઉત્તમ ભોજન અને સમૃદ્ધ સંસ્કૃતિ છે. આમ છતાં, અહીં વર્ષભરમાં 2 કરોડ (20 મિલિયન)થી પણ ઓછા પ્રવાસીઓ આવે છે. આ ભારતની વાસ્તવિક ક્ષમતાની સરખામણીમાં ખૂબ ઓછું છે. જો આપણે ટુરિઝમ પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરીએ, તો તે અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. પ્રશ્ન: તમે સફળતા માટે IQ અને EQ સાથે DQની વાત કરી છે, આ 'DQ' શું છે? જવાબ: પહેલાં લોકો માત્ર બુદ્ધિમત્તા (IQ) ને જોતા હતા, પછી ટીમ વર્ક અને લાગણીઓ (EQ) ને સમજવાનો સમય આવ્યો. પરંતુ આજના સમયમાં 'DQ' એટલે કે Decency Quotient (શિષ્ટતાનું સ્તર) સૌથી જરૂરી છે. એનો અર્થ એ છે કે તમે કેટલા શિષ્ટ અને પ્રામાણિક વ્યક્તિ છો. શું લોકો તમારી સાથે કામ કરવા માંગે છે? શું તમે બીજાઓને આગળ વધવાની યોગ્ય તક આપો છો? સાદગી અને બીજા પ્રત્યે સન્માન જ આજની સૌથી મોટી લીડરશિપ સ્કિલ છે. સવાલ: નોકરીને લઈને તમારી પાસે શું આંકડા છે? જવાબ: આ એક ગંભીર પડકાર છે. આગામી 15 વર્ષમાં ઉભરતા બજારોમાં લગભગ 120 કરોડ યુવાનો કાર્યકારી વય (18 વર્ષ) ના થઈ જશે. પરંતુ, વર્તમાન સ્થિતિ મુજબ આપણે માત્ર 40 કરોડ નોકરીઓ જ ઊભી કરી શકીશું. આ 80 કરોડ નોકરીઓનો જે ગેપ છે, તે દુનિયામાં અસ્થિરતા અને હિંસાનું કારણ બની શકે છે. એટલા માટે વર્લ્ડ બેંકનું સંપૂર્ણ ધ્યાન હવે 'આશા અને અવસર' ઊભા કરવા પર છે. સવાલ: ભારતની સરેરાશ ઉંમર 28 વર્ષ છે, છતાં પણ મૂડી જૂની પેઢીના હાથમાં કેમ? જવાબ: સંસ્થાઓનું કામ, ભલે તે વર્લ્ડ બેંક હોય કે કોઈ સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર, એવા લોકો માટે તકોના જોખમને ઘટાડવાનું છે જેમની પાસે સાધનો નથી. મહિલાઓ પાસે બિઝનેસ શરૂ કરવા માટે સંપત્તિ નથી, યુવાનો પાસે નેટવર્ક કે પૈસા નથી. નાના-મધ્યમ ઉદ્યોગો પાસે એવી વીમા ગેરંટી નથી જેવી મોટી કંપનીઓ પાસે હોય છે. તેથી જો તમે નોકરીઓનું સર્જન થાય તેવું ઇચ્છો છો, તો તમારે સક્રિયપણે તેમના માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવવી પડશે. પ્રશ્ન: અસમાનતા ક્યાં સુધી વધતી રહેશે? જવાબ: જ્યાં સુધી મજૂરી અને કિંમતોમાં વધારો, સંપત્તિની કિંમતોમાં થતા વધારા સાથે તાલમેલ નહીં બેસાડે, ત્યાં સુધી અસમાનતા વધતી જ રહેશે. વર્લ્ડ બેંક ધનિકો પાસેથી પૈસા છીનવીને ગરીબી દૂર નથી કરી રહ્યું, પરંતુ તે બધાનું સ્તર એટલું ઊંચું ઉઠાવી રહ્યું છે કે દરેક વ્યક્તિ આગળ વધી શકે. પ્રશ્ન: વર્લ્ડ બેંક કેવી રીતે કામ કરે છે? જવાબ: વર્લ્ડ બેંક માત્ર પૈસા આપતી બેંક નથી, પરંતુ એક 'નોલેજ બેંક' છે જેની પાસે 80 વર્ષનો અનુભવ છે. તેના પાંચ મુખ્ય અંગો છે. IBRD મધ્યમ આવક ધરાવતા દેશોને લોન આપે છે, જ્યારે IDA સૌથી ગરીબ દેશોને અનુદાન આપે છે. IFC પ્રાઈવેટ સેક્ટરમાં રોકાણ વધારે છે અને MIGA રાજકીય જોખમોનો વીમો કરે છે. અમે દર વર્ષે લગભગ 120 બિલિયન ડોલર (લગભગ 11 લાખ કરોડ રૂપિયા) બજારમાં રોકીએ છીએ. અમારી 'ટ્રિપલ-A' રેટિંગને કારણે અમે બજારમાંથી સસ્તા પૈસા એકઠા કરી શકીએ છીએ. સવાલ: ટેકનોલોજી ગરીબી ઘટાડવામાં કેટલી અસરકારક છે? જવાબ: વર્લ્ડ બેંક 2030 સુધીમાં 30 કરોડ આફ્રિકન લોકો સુધી વીજળી પહોંચાડવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યું છે. ગામડાઓમાં એવી ક્લિનિક્સ બનાવી રહ્યા છે જ્યાં એક નર્સ AIની મદદથી એવી બીમારીઓની તપાસ કરી શકે, જે પહેલા માત્ર કોઈ મોટો ડોક્ટર જ કરી શકતો હતો. બેંક ઓછા ભણેલા ખેડૂતોના હાથમાં એવી ટેકનોલોજી આપી રહ્યું છે જેથી તેઓ પાકની બીમારી ઓળખી શકે અને માત્ર 25 રૂપિયામાં યોગ્ય કીટનાશક ખરીદી શકે. પ્રશ્ન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમનથી શું નોકરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે? જવાબ: વિકસિત દેશોમાં 'બિગ AI' સર્વિસ સેક્ટર અને કોડિંગ માટે પડકારરૂપ બની શકે છે, પરંતુ ભારત જેવા દેશો માટે 'સ્મોલ AI' વરદાન બનશે. એવું AI જે ફોન પર ઇન્ટરનેટ વિના ખેડૂતને જંતુનાશકની માહિતી આપી શકે અથવા ડૉક્ટરને રોગ ઓળખવામાં મદદ કરે, તે સાચો બદલાવ લાવશે. જો આપણે યુવાનોને યોગ્ય કૌશલ્યો આપીએ, તો ટેકનોલોજી બોજ નહીં, પરંતુ પ્રગતિનો માર્ગ બનશે. પ્રશ્ન: ભારતીય મૂળના CEO વિશ્વની મોટી કંપનીઓનું નેતૃત્વ કરી રહ્યા છે, તેનું રહસ્ય શું છે? જવાબ: તેના ત્રણ મુખ્ય કારણો છે. પ્રશ્ન: યુવાનો માટે તમારી શું વિશેષ સલાહ છે? જવાબ: હંમેશા લવચીક અને અનુકૂલનશીલ રહો. ક્યારેય 'આર્મચેર ક્રિટિક' ન બનો, એટલે કે બહાર બેસીને માત્ર ટીકા ન કરો, પરંતુ મેદાનમાં ઉતરીને પરિવર્તનનો ભાગ બનો. અને સૌથી મહત્વની વાત - હંમેશા આશાવાદી રહો.
Read Original Article →