PM મોદીની અપીલ બાદ જ્વેલરીના શેર 10% તૂટ્યા:એક વર્ષ સોનું ન ખરીદવા કહ્યું; માગ 10% સુધી ઘટી શકે છે

National5/11/2026, 7:34:06 AM
PM મોદીની અપીલ બાદ જ્વેલરીના શેર 10% તૂટ્યા:એક વર્ષ સોનું ન ખરીદવા કહ્યું; માગ 10% સુધી ઘટી શકે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક નિવેદન બાદ આજે 11 મેના રોજ જ્વેલરી કંપનીઓના શેર 10% સુધી ગગડી ગયા. પીએમ મોદીએ હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન નાગરિકોને અપીલ કરી છે કે તેઓ એક વર્ષ સુધી સોનું ન ખરીદે. આ નિવેદન બાદ રોકાણકારોમાં ગભરાટ છે. કલ્યાણ જ્વેલર્સ અને સેન્કો ગોલ્ડના શેર 10-10% સુધી તૂટી ગયા. જ્યારે, દેશની સૌથી મોટી જ્વેલરી કંપની ટાઇટનના શેરમાં 7%નો ઘટાડો થયો છે. આ ઉપરાંત પીએન ગાડગિલ 8%, થંગમયિલ જ્વેલરી 6% અને અન્ય નાના જ્વેલરી શેરોમાં પણ નબળાઈ જોવા મળી છે. પીએમ મોદીએ શા માટે આવી અપીલ કરી? હૈદરાબાદમાં એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે આ અપીલ કરી છે. તેમણે આ કાર્યક્રમમાં ત્રણ સૂચનો આપ્યા… 1. એક વર્ષ સુધી સોનું ન ખરીદો. 2. વર્ક ફ્રોમ હોમ કલ્ચર અપનાવો. 3. બિનજરૂરી યાત્રાઓ અને વિદેશ પ્રવાસો ટાળો. ટાઇટનનો શેર ખુલતાની સાથે જ ધરાશાયી સૌથી પહેલા સોમવારે તમામ જ્વેલરી સ્ટોક્સમાં આવેલા ઘટાડા વિશે જણાવીએ તો Titan Share ખુલતાની સાથે જ તેના અગાઉના બંધ ભાવ 4517 રૂપિયાથી ઘટીને 4350 રૂપિયા પર ખુલ્યો અને પછી જોતજોતામાં 7 ટકાથી વધુનો ઘટાડો લઈને 4150 રૂપિયાના સ્તરે આવી ગયો. આ મોટા ઘટાડાને કારણે ટાટા ગ્રુપની કંપનીની માર્કેટ વેલ્યુ પણ ઘટીને 3.75 લાખ કરોડ રૂપિયા પર આવી ગઈ. આ જ્વેલરી સ્ટોક્સ પણ ગગડ્યા ટાઇટન સિવાયની અન્ય જ્વેલરી કંપનીઓના શેરોની વાત કરીએ તો, સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે લગભગ તમામમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્કો ગોલ્ડ શેર તો ઓપનિંગ સાથે જ 10% તૂટી ગયો. આ ઉપરાંત કલ્યાણ જ્વેલર્સ શેરમાં 8%નો ઘટાડો નોંધાયો. પીસી જ્વેલર શેર કારોબાર દરમિયાન 5 ટકા સુધી ગગડી ગયો. તો ગોલ્ડિયમ શેર પણ 5 ટકાથી વધુ ગગડીને 408 રૂપિયાના સ્તરે આવી ગયો. ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યુટી વધારી શકે છે સરકાર સેન્કો ગોલ્ડના સુવંકર સેને CNBC સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનની ટિપ્પણી પછી એવી સંભાવના વધી ગઈ છે કે સરકાર સોના પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી શકે છે. જો આવું થાય છે, તો સોનાની માગમાં 10% થી 12% સુધીનો ઘટાડો આવી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે જ્વેલરી એસોસિએશનના પ્રતિનિધિઓ મંગળવારે વડાપ્રધાન કાર્યાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરશે. 30 વર્ષના નીચલા સ્તરે પહોંચી શકે છે આયાત રોઇટર્સના એક રિપોર્ટ અનુસાર, એપ્રિલમાં ભારતની સોનાની આયાત છેલ્લા ત્રણ દાયકાના સૌથી નીચલા સ્તરે પહોંચી શકે છે. બેંકો પર અચાનક 3% ઇન્ટિગ્રેટેડ GSTની માગ આવ્યા પછી તેમણે શિપમેન્ટ રોકી દીધી છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ગોલ્ડ કન્ઝ્યુમર છે. નાણાકીય વર્ષ 2026માં ભારતે દર મહિને સરેરાશ 60 ટન સોનાની આયાત કરી છે. આના પર દર મહિને લગભગ 6 બિલિયન ડોલર એટલે કે લગભગ 57 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. નોલેજ પાર્ટ: ઇમ્પોર્ટ ડ્યુટી: બીજા દેશોમાંથી સામાન મંગાવવા પર સરકાર જે ટેક્સ લગાવે છે, તેને ઇમ્પોર્ટ ડ્યુટી કહે છે. સોના પર આ ટેક્સ વધવાથી દેશમાં સોનાની કિંમતો વધી જાય છે.
Read Original Article →