પાણી પીધું, થોડીવાર બેઠા ને પછીની ક્ષણે લોહીના ફૂવારા ઊડ્યા!:બહેનના સીમંતમાંથી પાછા ફરતાં ખૂની ખેલ ખેલ્યો, પરફેક્ટ મર્ડરની સ્ક્રિપ્ટ કેવી રીતે ફ્લોપ થઇ?

Gujarat6/10/2026, 12:30:00 AM
પાણી પીધું, થોડીવાર બેઠા ને પછીની ક્ષણે લોહીના ફૂવારા ઊડ્યા!:બહેનના સીમંતમાંથી પાછા ફરતાં ખૂની ખેલ ખેલ્યો, પરફેક્ટ મર્ડરની સ્ક્રિપ્ટ કેવી રીતે ફ્લોપ થઇ?
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે કપડવંજના ગરોડ ગામે રહેતો નરેશ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. 10 વર્ષ પહેલાં તેના લગ્ન લક્ષ્મી સાથે થયા હતા. તેમને 2 બાળકો હતા. જ્યારે નરેશ ઘરે મોડો આવતો ત્યારે લક્ષ્મી તેને પૂછતી કે કેમ મોડું થયું? ક્યાં ગયા હતા? રોજેરોજના આવા સવાલોથી નરેશ કંટાળી ગયો હતો. લગ્નના 2 વર્ષ પછીથી જ નરેશને એક યુવતી સાથે સંબંધો હતા. લક્ષ્મીને તેની જાણ થઇ જતાં બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. એક દિવસ લક્ષ્મી નરેશનું ઘર છોડીને પોતાના પિયર જતી રહી. નરેશ જ્યારે લક્ષ્મીને મનાવવા અને ઘરે પાછી લાવવા ગયો ત્યારે તેના પરણેતર સંબંધોની જાણ લક્ષ્મીના પરિવારને થઇ હતી. નરેશ સુધરી જવાની ખાતરી આપી લક્ષ્મીને પોતાની સાથે લઇ ગયો હતો. 14મી મેએ નરેશે 108ને ફોન કરીને પોતાનું અને લક્ષ્મીનું એક્સિડન્ટ થયું હોવાની જાણ કરી હતી. પિકઅપ ડાલાએ ટક્કર મારતા લક્ષ્મી બાઇક પરથી ઉછળીને કેનાલમાં પડી હતી અને તેનું મોત નિપજ્યું હતું. પોલીસે નરેશની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી પણ કોઇ પુરાવા મળતા નહોતા. હવે આગળ વાંચો.... પોલીસને પહેલેથી આ કેસ શંકાસ્પદ લાગતો હતો. હવે પોલીસ સ્ટેશનમાં નરેશની આકરી પૂછપરછ થવાની હતી. નરેશને એક અલગ રૂમમાં લઇ જવાયો. આસપાસ 4-5 પોલીસકર્મીઓ ગોઠવાયા. જેને જોઇને નરેશને ખ્યાલ આવી ગયો કે હવે તેણે સત્ય બોલવું જ પડશે. પોલીસકર્મીઓએ નરેશની ઉલટ તપાસ શરૂ કરી. એક પછી એક એવા ગૂંચવતા સવાલો પૂછ્યા કે તે ભાંગી પડ્યો. તેની આંખોમાં ભય દેખાતો હતો. માથા પર પરસેવો હતો. છેવટે તેણે કબૂલાત કરી લીધી કે 14મી મેએ કોઇ અકસ્માત નહોતો થયો. તે ફક્ત એક સ્ટંટ જ હતો. હકીકતમાં તેણે જ લક્ષ્મીની હત્યા કરી હતી અને પછી લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. નરેશની આટલી કબૂલાત પૂરતી નહોતી. પોલીસ તેની પાસેથી આખો ઘટનાક્રમ જાણવા માગતી હતી એટલે તેની વધુ પૂછપરછ કરી. જેમાં તે એક પછી એક ખુલાસા કરતો ગયો. એ રૂમમાં હાજર એક પોલીસકર્મી પાસે કોરા કાગળનો થપ્પો અને પેડ હતા. હાથમાં બોલપેન પકડેલી હતી. નરેશના વાક્યોને તે શબ્દસઃ કાગળ પર ટપકાવતો હતો. નરેશને અન્ય યુવતી સાથે સંબંધ હતા. જેના પગલે ઘરે અવારનવાર ઝઘડો થતો હતો. લક્ષ્મી તેને સવાલો પૂછતી કે ક્યાં હતા? કેમ મોડા આવ્યા? જેથી નરેશે નક્કી કરી લીધું હતું કે હવે લક્ષ્મીને રસ્તામાંથી હટાવી દેવી છે. લક્ષ્મીની હત્યાના દસેક દિવસ અગાઉથી નરેશના મનમાં આખું પ્લાનિંગ ચાલતું હતું. નરેશની બહેનને ત્યાં સીમંતની વિધિ હતી ત્યાંથી પરત ફરતી વખતે તેણે લક્ષ્મીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. ક્યારે? ક્યાં? કેવી રીતે હત્યા કરવી અને પુરાવા કેવી રીતે છુપાવવા? આ બધું તેણે વિચારી લીધું હતું. તેણે એ પણ નક્કી કરી લીધું હતું કે સીમંતમાંથી પરત ફરતી વખતે અક્સ્માતનું બહાનું કરીને કેનાલની આસપાસ મર્ડર થાય એમ હોય તો ત્યાં મર્ડર કરીને લાશ કેનાલમાં નાખી દઉં અને આખી ઘટના એક્સિડેન્ટમાં ખપાવી દઉં. 14મી મેએ સવારે 10 કે 11 વાગ્યે તેની બહેનને ત્યાં ગયા અને બપોરે 2:30 વાગ્યે ત્યાંથી રિટર્ન થયા. નરેશની બાઇક પાછળ બેસેલી લક્ષ્મીને ખ્યાલ પણ નહોતો કે તે પોતાના જીવનની છેલ્લી સફર પર છે. એ દિવસે કેનાલની નજીક લોકોની અવરજવર વધુ હતી જેથી નરેશ લક્ષ્મીને પોતાના ગરોડ ગામની ગૌચર આગળ લઇ ગયો. એ જગ્યાએ કોઇ નહોતું. તે લક્ષ્મીને એમ કહીને લઇ ગયો કે આપણે બેસવા જવું છે. આ રસ્તો તેના ગામ જવાનો જ હોવાથી લક્ષ્મીને પણ કંઇ અજુગતું લાગ્યું નહોતું. અહીં આવ્યા બાદ બન્ને થોડીવાર માટે બેઠા હતા અને પાણી પીધું હતું. બન્ને પતિ-પત્ની હતા એટલે કોઇને કંઇ શંકા પણ નહોતી ગઇ. હવે નરેશ પોતાનો પ્લાન પાર પાડવાનો હતો. તેના આ પ્લાનથી અજાણ લક્ષ્મી સાવ શાંતિથી બેઠી હતી અને પછી એક જ ક્ષણમાં બધું બદલાઇ ગયું. અચાનક નરેશે પોતાના મોબાઇલની પાછળ રાખેલી બ્લેડ કાઢી. જેવી તેણે બ્લેડ કાઢી કે લક્ષ્મીનું ધ્યાન પડ્યું. લક્ષ્મીને અંદાજો આવી ગયો કે નરેશ શું કરવા માગે છે. તેણે તરત જ પ્રતિકાર કર્યો. જેમાં બન્ને વચ્ચે ઝપાઝપી થઇ. નરેશે લક્ષ્મીને ધક્કો મારીને જમીન પર સૂવડાવી દીધી અને તેની ઉપર ચડી બેઠો. પોતાના ખિસ્સામાં રહેલો રૂમાલ કાઢીને લક્ષ્મીના મોઢામાં ડૂચો મારી દીધો જેથી તે બૂમાબૂમ ન કરી શકે. લક્ષ્મી શરીરે પાતળી હતી. તેનું વજન માંડ 45 કિલો હશે. તે વધારે સમય સુધી નરેશનો સામનો ન કરી શકી. નરેશે લક્ષ્મીના બે હાથને પોતાના ઘૂંટણથી દબાવી દીધા. હવે લક્ષ્મી એકદમ નિઃસહાય હતી. નરેશે બ્લેડથી લક્ષ્મીના ગળા પર લીટા મારી દીધા. આ સાથે જ લોહીના ફૂવારા છૂટ્યા. થોડી જ વારમાં લક્ષ્મીનું મોત નિપજ્યું. કદાચ અંતિમ ક્ષણોમાં તેને પોતાના બાળકો યાદ આવ્યા હશે. હવે પુરાવા છુપાવવાના હતા. નરેશે બ્લેડને ત્યાં જ ફેંકી દીધી. આના પછી નરેશે લક્ષ્મીની લાશને એક કોથળામાં નાખી. આ કોથળો નરેશ પોતાની બહેનને ત્યાં ગયો હતો ત્યારે ત્યાંથી લઇ લીધો હતો. કોથળાને એક થેલીમાં મૂકી દીધો હતો. જેની જાણ લક્ષ્મીને પણ નહોતી અને પરિવારનો કોઇ સભ્યને પણ નહોતી. નરેશે લક્ષ્મીની લાશને કોથળામાં નાખી ત્યાં સુધીમાં અડધો કલાક જેટલો સમય વિતી ચૂક્યો હતો. આના પછી તે કોથળાને બાંધીને બાઇક પર 14 કિલોમીટર દૂર આવેલી લસુંદરા ગામની કેનાલ પાસે લઇ આવ્યો હતો. નરેશ કેનાલ પાસે આવ્યો ત્યારે ત્યાં કેટલાક માલધારીઓ ઢોર ચારતા હતા એટલે તેણે થોડીવાર માટે લાશને ફેંકવાનું માંડી વાળ્યું પણ જેવા માલધારીઓ આઘા પાછા થયા કે તેણે લાશને સિફતપૂર્વક કોથળામાંથી કાઢી અને કેનાલમાં ફેંકી દીધી. પાણીમાં લાશ પડવાનો અવાજ આવ્યો પછી પાણી ફરી શાંત થઇ ગયું. જાણે અહીં કંઇ બન્યું જ નહોતું. કોથળો કેનાલની સામે આવેલા જંગલ જેવા વિસ્તારમાં નાખી દીધો હતો. જો કે કેનાલમાં પાણીનો પ્રવાહ ઓછો હતો. પાણી છીછરૂં હતું એટલે લાશ ત્યાં નજીકમાં જ પડી હતી. આગળ નહોતી ગઇ. રાત્રે 10:30 વાગ્યા સુધીમાં તો પોલીસને લક્ષ્મીના લાશ પણ મળી ગઇ હતી. લક્ષ્મીનું મોત ડૂબી જવાથી નહોતું થયું. તેના શરીર પર હુમલાના નિશાન હતા. પોલીસને ગેરમાર્ગે દોરવા પોતે સ્ટંટ કરીને બાઇકને પછાડી દીધી હતી. નરેશે પોતાના પગ, કમર અને માથા પર ઇજા કરી હતી જેથી પોલીસને એવું લાગે કે ખરેખર આ ઘટના અકસ્માતની જ છે. નરેશની સ્થિતિ જોઇને પોલીસને શંકા તો ગઇ હતી પણ તે ઘાયલ હતો એટલે પોલીસે કડકાઇ વાપરવાને બદલે પહેલા અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો. ઘટનાના બીજા દિવસે નરેશે પોલીસને કહ્યું હતું કે અમે મારી બહેનના ઘરેથી નીકળ્યા બાદ આટલી-આટલી જગ્યાએ ફર્યા હતા. પોલીસે તે બધી જગ્યાએ તપાસ કરી હતી પણ નરેશ અને લક્ષ્મીની કોઇ હાજરી મળી નહોતી. જેથી પોલીસની શંકા વધુ મજબૂત થઇ હતી. પત્નીની લાશને કોથળામાં પેક કરીને બાઇકની ટાંકી પર મૂકીને ફરતા નરેશના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યાં હતા. હવે પોલીસ સામે 2 પરિસ્થિતિ હતી. જો નરેશના કહેવા પ્રમાણે અકસ્માતની ઘટના સાચી નીકળે તો? વળી તેની પત્નીનું મોત થયું હતું એટલે તપાસ દરમિયાન પોલીસ નરેશ પર વધુ પ્રેશર કરી શકે તેમ પણ નહોતી પરંતુ એકાદ દિવસમાં પોલીસને ખબર પડી ગઇ હતી કે નરેશ ખોટું બોલે છે. તેના ચહેરા પર પત્નીના મોતનું કોઇ દુઃખ નહોતું. આમ પત્નીની હત્યા કરીને તેને અકસ્માતમાં ખપાવવાની ઘટનામાં આરોપી તેનો પતિ જ નીકળ્યો હતો. જેને પામવા માટે નરેશે પત્નીની હત્યા કરી તે પ્રેમિકા કોણ છે? ક્યાંની છે? તે સામે નથી આવ્યું. નરેશ અને લક્ષ્મીના પરિવારો પણ આ પ્રેમિકાથી અજાણ છે. આ કેસમાં એક હકીકત એ પણ હતી કે લક્ષ્મી અને તેની બહેનના લગ્ન એક જ ઘરમાં થયા હતા. લક્ષ્મીની નાની બહેનના લગ્ન નરેશના નાના ભાઇ સાથે થયા છે. લક્ષ્મીની હત્યા થઇ ગઇ છે અને તેની હત્યાના આરોપસર નરેશ જેલમાં છે. હાલ તો તેમના 2 સંતાનો નિરાધાર બની ગયા છે. પરણેતર સંબંધે આખો પરિવાર બરબાદ કરી નાખ્યો છે. આ પણ વાંચો પાણી પીધું, થોડીવાર બેઠા પછીની ક્ષણે લોહીના ફૂવારા ઊડ્યા! પાર્ટ-1
Read Original Article →